New Delhi તા. 5
દેશભરમાં આગામી દિવસોમાં એટીએમ માંથી રોકડા નાણાં મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. કરન્સીની ભારે અછતને કારણે દેશભરની એટીએમ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અને સૌથી મોટી અસર ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં જોવા મળશે.
એટીએમ સંચાલકોના સંગઠન ‘કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી’ (CATMi) એ આ ગંભીર નાણાકીય કટોકટી અંગે ‘ઇન્ડિયન બેંક્સ એસોસિએશન’ (IBA) ને સત્તાવાર રીતે પત્ર લખીને એલર્ટ કર્યા છે.
પત્રમાં જણાવ્યાં અનુસાર, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સીધાં લાભ ટ્રાન્સફર (DBT) મેળવનારા લાખો ગરીબ પરિવારો માટે પોતાની રકમ ઉપાડવાનું મુખ્ય સાધન એટીએમ જ છે.
એવામાં એટીએમ ખાલી રહેવાથી સામાન્ય જનજીવન અને ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે દેશનાં અસંખ્ય રાજ્યોમાં બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાંથી એટીએમમાં લોડ કરવા માટે પૂરતાં પ્રમાણમાં રોકડા નાણાં ઉપાડવામાં એજન્સીઓને સતત અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
ચલણમાં રહેલી કરન્સીના પ્રવાહની સ્થિતિ
જો દેશમાં ચલણી નોટોના કુલ પ્રવાહના ટ્રેન્ડ પર નજર કરીએ તો, વર્ષ 2012માં દેશની અંદર કુલ રૂ.10.55 ટ્રિલિયન (લાખ કરોડ) ની કરન્સી ચલણમાં હતી, જે વર્ષ 2013 માં વધીને રૂ.11.77 ટ્રિલિયન થઈ હતી.
આ આંકડો વર્ષો-વર્ષ સતત વધીને રેકોર્ડબે્રક રૂ.42.54 ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે. જો કે, દેશનાં કુલ જીડીપીના પ્રમાણમાં જોઈએ તો આ ચલણ માર્ચ 2013 માં 12.1 ટકા હતું, જે હાલ ઘટીને આશરે 11.9 થી 12 ટકાની આસપાસ સ્થિર થયું છે, જે દર્શાવે છે કે બજારમાં હજુ પણ કેશની માંગ કેટલી ઊંચી છે.
કયાં રાજ્યો સૌથી વધુ ભોગ બન્યા?
રોકડ નાણાંની અછતને કારણે દેશનાં પાંચ રાજ્યોની હાલત સૌથી વધુ કફોડી બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકમાં એટીએમ માટે જરૂરી નાણાંની સામે માત્ર 36 ટકા કેશ જ સપ્લાય થઈ શકી છે, એટલે કે ત્યાં 64 ટકા જેટલી નાણાંની ભારે તંગી છે.
આ જ રીતે આંધ્રપ્રદેશમાં 61 ટકા નાણાંની અછત સાથે માત્ર 39 ટકા કેશ સપ્લાય થઈ છે. તેલંગાણા અને મિઝોરમ બંને રાજ્યોમાં 59 ટકા અછત સામે માત્ર 41 ટકા રકમ મળી શકી છે, જ્યારે અણાચલ પ્રદેશમાં 52 ટકા અછત સાથે 48 ટકા કેશ ઉપલબ્ધ થઈ શકી છે.
માર્ચ-એપ્રિલમાં માંગ સામે ખૂબ ઓછી રોકડ મળી
આ વર્ષનાં માર્ચ અને એપ્રિલ મહિનાનાં સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ કેટલી નાજુક છે. આ બે મહિના દરમિયાન દેશભરનાં એટીએમ નેટવર્કને ચલાવવા માટે કુલ રૂ.94,000 કરોડની રોકડ રકમની જરૂરિયાત નોંધાઈ હતી. તેની સામે બેંકો તરફથી માર્ચમાં માત્ર રૂ.61,000 કરોડ અને એપ્રિલમાં રૂ.54,000 કરોડ જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.
આમ, જરૂરિયાતની સરખામણીમાં માત્ર અનુક્રમે 64 ટકા અને 57 ટકા નાણાં જ પૂરા પાડી શકાયાં હતાં. આ ગંભીર ડેટા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કરન્સી મેનેજમેન્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.
કટોકટી પાછળનાં આર્થિક કારણો
એટીએમ ઉદ્યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ જેમ કે એટીએમ ઉત્પાદકો, વ્હાઇટ-લેબલ ઓપરેટર્સ, કેશ-ઇન-ટ્રાન્ઝિટ અને સિકયોરિટી સર્વિસનું કહેવું છે કે આ સમસ્યા પાછળ ‘ઇન્ટરચેન્જ ફી’ નું માળખું જવાબદાર છે. જ્યારે કોઈ ગ્રાહક અન્ય બેંકનાં એટીએમનો ઉપયોગ કરે છે ત્યારે બેંકે ચૂકવવી પડતી આ ફી હાલ રૂ.19 નિર્ધારિત છે, જે વાસ્તવિક ઓપરેટિંગ ખર્ચ કરતાં ઘણી ઓછી છે.
આ ઉપરાંત, પશ્ચિમ એશિયાનાં તણાવને કારણે ડીઝલના ભાવ આસમાને પહોંચ્યાં છે અને નવા વેતન કાયદાના કારણે કર્મચારીઓનો ખર્ચ પણ વધ્યો છે. આ તમામ વધતાં ખર્ચાઓ સામે આવક મર્યાદિત હોવાને કારણે એટીએમ ઓપરેશન આર્થિક રીતે અસક્ષમ બની રહ્યાં છે અને આ જામની સ્થિતિ ઉભી થઈ છે.

