Ahmedabad, તા.10
ગુજરાતમાં ફરી એક વખત બોમ્બ વિસ્ફોટની ધમકી શરુ થઈ છે અને આજે મળેલી ધમકી મુજબ અમદાવાદ તથા ગાંધીનગરમાં 10 જૂનથી 20 સપ્ટેમ્બર સુધી અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઈમેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. અલગ અલગ આઈડી પરથી આ ઈમેઈલ મોકલાયા છે.
જેમાં મુખ્યમંત્રી ઓફીસને બપોરે 1.11 કલાકે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ઓફિસને બપોરે 3.11 કલાકે અને આરએસએસ કાર્યાલયને 5.11 કલાકે બોમ્બથી ઉડાવી દેવાશે તેવી ધમકી મળતા જ અને તે તા.10 જૂનથી 20 સપ્ટેમ્બર દરમ્યાન આ ધમકીનો અમલ કરાશે તેવું જણાવાતા સુરક્ષા એજન્સી માટે તપાસ વધુ મુશ્કેલ બની છે.
આ ઉપરાંત અમદાવાદ દાણાપીઠ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કચેરી ખાલી કરાવીને તપાસ શરુ કરવામાં આવી છે.તેવી જ રીતે મુખ્યમંત્રી કાર્યાલય તેમજ આરએસએસ કચેરીમાં પણ તપાસ શરુ કરાઈ છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ઓફીશ્યલ વેબસાઈટ પર અલગ અલગ આઈડીથી આ ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા અને સુરક્ષા એજન્સીઓ હવે આ ઈમેઈલનું પગેરુ પણ શોધવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી આજે દિલ્હી ગયા છે અને તેમની ગેરહાજરીમાં સીએમ સહિતના વિસ્તારોની ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં હજુ કંઈ મળ્યુ નથી પરંતુ અન્ય સ્થળોએ પણ ત્યારબાદ તપાસ શરુ કરવામાં આવી હતી. રાજયમાં અગાઉ શાળાઓ અને અદાલતો અને અન્ય મહત્વના સંકુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી તે તમામ પોકળ પુરવાર થઈ છે પણ સુરક્ષા એજન્સીઓ કોઈ ભ્રમમાં હળવાશથી રહેવા માંગતી નથી તેથી સઘન તપાસ શરુ થઈ છે.
બોમ્બથી ઉડાવવાની ધમકીની 6 મહિનામાં 9 ઘટનાઓ
* 17 ડિસેમ્બર 2025 :: અમદાવાદ, ગાંધીનગરની શાળાઓને ધમકી.
* 5 જાન્યુઆરી 2026 : અમદાવાદ સીટી અને સિવિલ સેશન્સ કોર્ટને ધમકી.
* 6 જાન્યુઆરી 2026 : ગુજરાત હાઇકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ, કચેરી ઉડાવી દેવાની ધમકી.
* 23 જાન્યુઆરી 2026 : અમદાવાદની અનેક શાળાઓને ધમકી
* 28 જાન્યુઆરી 2026 : અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
* 16 ફેબ્રુઆરી 2026 : અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની અનેક શાળાઓને ધમકી
* 27 ફેબ્રુઆરી 2026 : પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસોને ઉડાવવાની ધમકી
* 10 માર્ચ 2026 :વડોદરાની પારૂલ યુનિવર્સિટી, રાજ્યની વિવિધ પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
* 18 માર્ચ 2026 : ગુજરાત વિધાનસભા, અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
સીએમઓ સહિતની ઓફિસોને મળેલી બોમ્બ ધડાકાની ધમકીમાં પંજાબ કનેકશન પણ બહાર આવ્યુ છે. જેમાં ખાલીસ્તાની નેશનલ આર્મી જેવા શબ્દનો ઉપયોગ કરાયો છે. પંજાબમાં અગાઉ તા.25 મે ના રોજ લુધીયાણામાં નગરનિગમના એક અધિકારીને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો.
જેમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજ તથા લુધીયાણાના મેયર ઈન્દ્રજીત કૌરની ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી અને આજના ઈમેઈલમાં એવું જણાવાયું છે કે આરએસએસ જે આજે ભાજપ છે.
તેણે 1984માં ઓપરેશન બ્લુસ્ટારને સમર્થન કર્યુ હતું અને ઓપરેશન વુડરોઝ કે જે પંજાબમાં શિખ આતંકવાદ સામે કરવામાં આવ્યું હતું તેમાં 20 હજાર શિખ યુવાનો માર્યા ગયા છે.
આ ઈમેઈલમાં હિન્દુઓ તમે બચાવી લ્યો બદલા બદલા બદલા. બીજેપી અને આરએસએસ ખતમ, ખાલીસ્તાની નેશનલ આર્મી એન્જીનીયર ગુરનખ સિંહ (રકુન શાવાલા) અને ડો.ગુરનીરવેર સિંહ (ખાન રાજાદા)ના નામ લખાયા છે.
ગુજરાત અને અમદાવાદમાં ખાલીસ્તાની ગુંજેગા તેવું પણ જણાવાયું છે. આ ધમકીના પગલે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સહિતની કચેરીઓને પણ ચકાસવામાં આવી હતી.

