શ્રી સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને મહાઆરતી સાથે વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે પ્રાર્થના કરાઈ
Rajkot તા.૧૧
PM Modiના અવિરત ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સુશાસનને સમર્પિત વિવિધ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના આયોજન હેઠળ આજે રામનાથપરા સ્થિત શ્રી સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ તથા ભવ્ય મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલભાઈ શુક્લ, શહેર ભાજપના આગેવાનો, કોર્પોરેટર, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો. ધ્વજારોહણ બાદ મહાદેવજીની મહાઆરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને ભાવિકોએ રાજ્ય અને દેશની સુખાકારી, સમૃદ્ધિ, સુરક્ષા તથા વિકસિત ભારતના સંકલ્પની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, PM Modiના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ગરીબ કલ્યાણ, ખેડૂતોના ઉત્થાન, મહિલા સશક્તિકરણ, યુવાનો માટે નવી તકો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ક્રાંતિ જેવા ક્ષેત્રોમાં થયેલા પરિવર્તનોએ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતના લોકશાહી ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. યશસ્વી PM Modiએ સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે ૪૩૯૯ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીના લાંબા કાર્યકાળનો રેકોર્ડ પાછળ છોડી નવો ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ માત્ર એક આંકડાકીય ઉપલબ્ધિ નથી, પરંતુ દેશના ૧૪૦ કરોડ નાગરિકોના અતૂટ વિશ્વાસ, લોકશાહી પ્રત્યેની આસ્થા અને શ્રી મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વને મળેલા જનસમર્થનની અભિવ્યક્તિ છે.
તેમણે સૌને PM Modiના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને જીવનમાં ઉતારી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

