(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધુવાવ ગામે કનૈયા પાન પાસે રહેતા અને મજૂરીકામ કરતા પરેશભાઈ શામજીભાઈ કણઝારિયા (ઉ.વ. ૩૯) તા. ૦૪/૦૬/૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦૦૦ વાગ્યે પોતાના બાઇક નાં જીજે-૧૦-એજે -૧૭૭૪ લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગર-રાજકોટ હાઇવે પર રોયલ હોટલ સામે પહોંચતા સામેથી આવી રહેલી ઇક્કો ગાડી નંબર જીજે-૧૦-ડીઆર-૬૭૮૭ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતમાં પરેશભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી તેમજ કપાળના ભાગે છોલાછાલી સહિતની ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે ઇક્કો ગાડીના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવની વધુ તપાસ પંચ એ ડિવિઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

