New Delhi,તા.12
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર વૈશ્વિક મંચ પરથી અમેરિકા અને યુરોપના બેવડા વલણને ખુલ્લું પાડ્યું છે. ફિનલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાના મુદ્દે પશ્ચિમી દેશોને જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને સંભળાવી દીધું કે, તે ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું બંધ કરે, કારણ કે અમેરિકાનો આ ઓઇલ પાછળનો આખો ખેલ ભારત બહુ સારી રીતે સમજે છે. ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે એક મોટો ખુલાસો કરતા યાદ અપાવ્યું કે, આજે જે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બાબતે ભારત પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, એ જ રશિયન ઓઇલ ખરીદવા માટે એક સમયે અમેરિકાએ પોતે ભારતને આગ્રહ કર્યો હતો. વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે વૈશ્વિક ઓઇલ બજાર તૂટી ન પડે અને કિંમતો કાબૂમાં રહે તે માટે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા આજીજી કરી હતી.
પરંતુ ત્યારબાદ જ્યારે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતમાં ઓઇલની ખરીદી વધારી, ત્યારે અમેરિકાએ પહેલા ટૅરિફ લગાવ્યા અને પછી પ્રતિબંધોમાં ઢીલ આપી. જયશંકરે અમેરિકાના આ વલણ પર કટાક્ષ કરતા કહ્યું કે, આમાં કોઈ મોટો સિદ્ધાંત નથી, આ બધું ‘ઓન-ઓફ’ જેવું છે. જ્યારે તમને સૂટ થાય ત્યારે બધું સાચું અને ન સૂટ થાય ત્યારે ખોટું! અમે બધા સમજદાર છીએ અને આ રમત જાણીએ છીએ.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું કે, વર્ષ 2022 પહેલાં ભારત રશિયા પાસેથી બહુ મોટી માત્રામાં ઓઇલ ખરીદતું ન હતું. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ પછી બદલાયેલી પરિસ્થિતિએ ભારતને નવો વિકલ્પ શોધવા મજબૂર કર્યું હતું. તે સમયે યુરોપીય દેશો મિડલ ઇસ્ટમાંથી મોટા પાયે ઓઇલ ખરીદી રહ્યા હતા, જે વાસ્તવમાં ભારતનું પરંપરાગત સપ્લાયર રહ્યું છે.

