Mumbai,તા,22
આપણને વર્લ્ડ કપ રમવાનાં સપના જોવાની લાલચ થાય તે સ્વાભાવિક છે. પરંતુ એનાથી પણ મોટો સવાલ આપણી ઘરઆંગણે રમાતી ટૂર્નામેન્ટનો છે. ભારત 2027ના એશિયન કપ માટે પણ ક્વોલિફાય કરી શક્યું નથી, જેમાં એશિયાની ટોચની 24 ટીમો રમે છે. આ એક જ વાત બતાવવા માટે કાફી છે કે ભારતીય ફૂટબોલની હાલત અત્યારે કેવી છે.
વર્લ્ડ કપમાં 48 ટીમો થવાનાં કારણે ફેન્સને લાગ્યું કે હવે ભારત માટે રસ્તો સરળ થઈ ગયો છે. પરંતુ હકીકત એ છે કે તે મોટા સ્ટેજ સુધી પહોંચતા પહેલાં ભારતે હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે.
ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબેએ પણ ફેન્સને ખોટા સપના વેચવાનું ટાળ્યું છે. પદ સંભાળતી વખતે જ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ ખોટી સમયમર્યાદા આપીને વર્લ્ડ કપના સપના નહીં વેચે, પણ રમતને પાયાથી સુધારવા પર ધ્યાન આપશે. તેમની આ વાત આજે પણ સાચી સાબિત થઈ રહી છે.
ભારતીય ફૂટબોલની સમસ્યાઓ ઘણી ઊંડી છે. ઇન્ડિયન સુપર લીગનું ભવિષ્ય હજુ સ્પષ્ટ નથી. રાજ્યોની લીગ મેચો, જેમાંથી અસલી ખેલાડીઓ બહાર આવવા જોઈએ, તેની હાલત ખરાબ છે. નાના બાળકો માટેનાં પ્રોગ્રામ્સ માત્ર કાગળ પર કે વચનો પૂરતા મર્યાદિત દેખાય છે, અને ખેલાડીઓની ઉંમરમાં થતી હેરાફેરી જેવી મુશ્કેલીઓ હજુ પણ ચાલું જ છે.
આપણે ત્યાં હંમેશા શોર્ટકટ શોધવાની ટેવ છે-કોચ બદલી નાખો, ટીમની સ્ટાઇલ બદલો કે ખેલાડીઓ બદલો. આ બધું કરવું સહેલું છે કારણ કે તેનાથી લોકોને લાગે કે કંઈક કામ થઈ રહ્યું છે. પણ માત્ર કોચ બદલવાથી વર્ષો જૂની સિસ્ટમની ખામીઓ દૂર નહીં થાય.
જોકે, બધું જ નકારાત્મક નથી. પૂર્વ કેપ્ટન સુનિલ છેત્રીએ હંમેશાં કહ્યું છે કે આપણે નાની શરૂઆત કરવી જોઈએ. છેત્રીએ કહ્યું હતું કે, “આપણે એક-એક ડગલું આગળ વધવું પડશે. પહેલા આપણે એશિયાની ટોચની 15-20 ટીમોમાં જગ્યા બનાવવી પડશે, ત્યાર પછી જ વર્લ્ડ કપ વિશે વિચારી શકાય.”
આ હિસાબે જોઈએ તો હજુ બહુ લાંબી સફર બાકી છે. અત્યારે વિદેશમાં રહેતાં ભારતીય મૂળનાં ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે, જેનાથી ટીમ થોડી મજબૂત થઈ શકે છે. પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નથી. વિદેશી ખેલાડીઓ મદદ કરી શકે, પરંતુ તેઓ આપણાં દેશનાં યુવા વિકાસ, સારા કોચિંગ અને સ્થાનિક ફૂટબોલની જગ્યા ન લઈ શકે.

