Mumbai,તા,22
ટેલિવિઝન જગતની લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં પોતાની દમદાર એક્ટિંગથી ઘર-ઘરમાં જાણીતા બનેલા વરિષ્ઠ અભિનેત્રી ઉષા નાડકર્ણી આજે 80 વર્ષની ઉંમરે પણ અભિનય ક્ષેત્રે સતત સક્રિય છે. ગ્લેમર વર્લ્ડમાં અનોખી ઓળખ ધરાવતા ઉષાજીએ તાજેતરમાં જ પોતાના કરિયર, એકલતા અને અંગત જીવનના અનેક વણસ્પર્શ્યા પાસાઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.એક તરફ પડદા પર તેમના પાત્રો ધમાકેદાર હોય છે, તો બીજી તરફ તેમની અસલી જિંદગી એકલતાથી ભરેલી છે. ઉષા નાડકર્ણી છેલ્લા 40 વર્ષથી સંપૂર્ણપણે એકલા જ રહે છે. આ ઉંમરે પણ તેઓ રોજ સવારે વહેલા 5 વાગે ઊઠી જાય છે અને પોતાના શૂટિંગ માટેનું ટિફિન (શાક, રોટલી, દાળ, ભાત અને છાશ) જાતે જ તૈયાર કરે છે. તેમના જણાવ્યા મુજબ, એકવાર કામ કરવાની આદત પડી જાય પછી મનમાં બીજા કોઈ નકારાત્મક વિચારો આવતા નથી. હવે ઘર અને કામ, બસ આ બે જ વસ્તુઓ તેમની નાનકડી દુનિયા બની ગઈ છે.
સામાન્ય રીતે લોકો 60 વર્ષની ઉંમર વટાવ્યા પછી નિવૃત્તિ વિશે વિચારવા લાગે છે, ત્યારે ઉષા નાડકર્ણી આજે પણ ટીવી, બોલિવૂડ અને થિયેટરમાં જોશપૂર્વક કામ કરી રહ્યા છે. બાળપણથી જ અભિનયનો શોખ ધરાવતા ઉષાજીએ જણાવ્યું કે, તેમની માતા પોતે શિક્ષિકા હોવાથી તેમને આ પ્રોફેશન બિલકુલ પસંદ નહોતું. મધ્યમવર્ગીય પરિવારની વિચારસરણી અને ‘લોકો શું કહેશે’ તેવા ડર વચ્ચે તેમણે પોતાના સપના સાકાર કર્યા હતા.જાણીતા હોસ્ટ રાજીવ ખંડેલવાલના લોકપ્રિય ટીવી શો ‘તુમ હો ના’માં ખાસ વાતચીત દરમિયાન ઉષા નાડકર્ણીએ પોતાના દિલની વાત શેર કરતા કહ્યું હતું કે, “હું જ્યારે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ મેં એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે હું 80 વર્ષની ઉંમરે પહોંચી ગઈ છું અને હજુ પણ અથાક મહેનત સાથે કામ કરી રહી છું. અભિનય એ માત્ર મારો શોખ નથી, પરંતુ મારો વ્યવસાય છે. મને લોકોના ટ્રોલિંગ કે વાતોની કોઈ પરવા નથી. જ્યાં સુધી આપણે કોઈ ખોટું કામ નથી કરતા અને આપણા માતા-પિતાનું નામ ખરાબ થતું નથી, ત્યાં સુધી દુનિયાની વાતો પાછળ સમય બગાડવાની કોઈ જરૂર નથી.”અભિનેત્રીએ સ્વીકાર્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેમને એકલા રહેવાથી ભારે ડર લાગતો હતો. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, “હવે તો આ એકલતા મારી આદત બની ગઈ છે અને માણસ હંમેશા પોતાની આદતોનો ગુલામ હોય છે. પહેલાં જ્યારે હું શૂટિંગ પરથી મોડી ઘરે આવતી ત્યારે સોસાયટીના ચોકીદારને મારી સાથે ઉપર સુધી આવવા કહેતી હતી. જ્યાં સુધી ફ્લેટનો દરવાજો ન ખુલે ત્યાં સુધી તેને ઊભા રાખતી અને વારંવાર પાછળ જોતી હતી કે ક્યાંક કોઈ ભૂત આવીને મને પકડી ન લે! જોકે, હવે સમય સાથે આ બધો જ ડર કાયમ માટે ગાયબ થઈ ગયો છે.”

