Gandhinagar,તા.24
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સાત વર્ષની જેલની સજાના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, જળ, જમીન અને જંગલના હકો માટે લડનારા ચૈતર વસાવાને ભાજપે કથિત ષડયંત્રપૂર્વક સજા અપાવી છે. આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે કરવામાં આવી છે.
વિસાવદરના ધારાસભ્ય સહિતના આપ નેતાઓએ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા પર સરકારી કર્મચારી સાથે કથિત દુર્વ્યવહારનો આક્ષેપ છે, પરંતુ શું આવા કેસમાં કોઈને સાત વર્ષની સજા થતી હોય? તેમણે દાવો કર્યો કે વાસ્તવિકતા એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી ભાઈઓના એસટી પ્રમાણપત્રના પ્રશ્ને, વિવિધ પ્રોજેક્ટોના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના હક અપાવવા, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીનના અધિકારો માટે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડતા રહ્યા છે. આ જ કારણે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી અને સરકારી વકીલોના માધ્યમથી તંત્રનો દુરુપયોગ કરીને આ સજા કરાવાઈ છે.આ કેસની કાનૂની પ્રક્રિયાની ગતિ પર આંગળી ચીંધતા દાવો કર્યો કે, જેટલો ફાસ્ટ ટ્રેક કોર્ટનો ઝડપી ચુકાદો આવતો નથી તેટલી ઝડપે ચૈતર વસાવાના કેસમાં ચુકાદો આપી દેવાયો છે, જે અનેક શંકાઓ પેદા કરે છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને એકજૂટ થવા અપીલ કરે છે. હવે આ કેસ જનતાની અદાલતમાં ચાલશે. ભાજપ દ્વારા કરાયેલા કથિત દગા અને અન્યાયનો જવાબ આપવા માટે આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીને મત આપવાનો સંકલ્પ કરે. આ સંઘર્ષ અહીં અટકશે નહીં અને આમ આદમી પાર્ટી હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, વિધાનસભા અને રસ્તા પર ઉતરીને દરેક મંચ પર ન્યાય માટે આ લડત ચાલુ રાખશે.

