૨૩ જૂન, ૧૯૮૫ના રોજ મોન્ટ્રિયલથી મુંબઈ જતી ફ્લાઇટમાં આતંકીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો : આ હુમલામાં ૩૨૯ લોકોના મોત થયા હતા
New Delhi, તા.૨૬
વર્ષ ૧૯૮૫માં થયેલા એર ઈન્ડિયાના વિમાન બ્લાસ્ટ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે એક બહુ મોટો ખુલાસો થયો છે. કેનેડાની સરકારી એજન્સીએ આખરે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે કે આ ભયાનક આતંકી હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો. ભારત શરૂઆતથી જ આ વલણ પર કાયમ હતું, પરંતુ કેનેડાએ આ સત્ય સ્વીકારવામાં ૪૧ વર્ષ જેટલો લાંબો સમય લગાડી દીધો. કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (ઝ્રજીૈંજી) દ્વારા આ હુમલાને તેમના દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવવામાં આવ્યો છે.
આ ઘટના ૨૩ જૂન, ૧૯૮૫ના રોજ ઘટી હતી. કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ૧૮૨ (સમ્રાટ કનિષ્ક)એ મુંબઈ આવવા માટે ટેક ઓફ કર્યું હતું, જેનું લંડનમાં હોલ્ટ હતું. આ વિમાન જ્યારે આઇરિશ કોસ્ટથી આશરે ૨૦૦ માઇલ દૂર એટલાન્ટિક મહાસાગર પર ૩૧,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, ત્યારે અચાનક રડારમાંથી ગાયબ થઈ ગયું. આતંકી સંગઠન બબ્બર ખાલસાના આતંકવાદીઓએ વિમાનના કાર્ગો હોલ્ડ (સામાન રાખવાની જગ્યા)માં બોમ્બ ગોઠવ્યો હતો. હીથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થાય તેના ૪૫ મિનિટ પહેલા જ હવામાં આ બોમ્બ ફાટ્યો અને ૮૨ બાળકો તેમજ ૪ નવજાત શિશુઓ સહિત કુલ ૩૨૯ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માત સમુદ્રની ઉપર થયો હોવાથી એટલાન્ટિક મહાસાગરમાંથી માત્ર ૧૩૧ મૃતદેહ જ મળી શક્યા હતા.
આતંકવાદના પીડિતોની યાદમાં મનાવવામાં આવતા રાષ્ટ્રીય દિવસ પર ઝ્રજીૈંજીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત જાહેર કરી છે. એજન્સીએ લખ્યું કે, ૨૩ જૂન, ૧૯૮૫ના રોજ કેનેડામાં સક્રિય ખાલિસ્તાની ચરમપંથીઓએ વિમાનમાં બોમ્બ મૂક્યો હતો, જેના કારણે તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા. તે સમયે ઝ્રજીૈંજીની સ્થાપનાને ૧ વર્ષથી પણ ઓછો સમય થયો હતો અને આ ભયાનક ટ્રેજેડીએ તેમની સુરક્ષા વ્યવસ્થાના વિકાસને એક નવી દિશા આપી હતી. કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પણ આ હુમલાને દેશના ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, અમારો દેશ તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે કેનેડા સરકારે ૨૦૦૫માં સત્તાવાર રીતે ૨૩ જૂનને આતંકવાદના પીડિતોની યાદમાં રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ જાહેર કર્યો હતો.
આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તે જ દિવસે આ ફ્લાઈટ બ્લાસ્ટના ૧ કલાક પહેલા જાપાનના ટોક્યો એરપોર્ટના બેગેજ એરિયામાં પણ એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ૨ લોકોના મોત થયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ બંને હુમલાઓનો કનેક્શન એક જ હતો અને તે પણ બબ્બર ખાલસા સંગઠને જ કર્યો હતો, પરંતુ સદનસીબે તે બેગ પ્લેનમાં ચઢે તે પહેલા જ એરપોર્ટ પર ફાટી ગઈ હતી.

