Vadodara,તા.29
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલી પીએમ ઈ-બસ સેવાનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પીએમ ઈ-બસ યોજના હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 250 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં 30 ઈ-બસોનું લોકાર્પણ કરીને સેવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી તબક્કામાં બાકીની બસો પણ તબક્કાવાર શહેરના વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ત્રણ મુખ્ય રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ઉત્તર-દક્ષિણ રૂટ પર માણેજા, મકરપુરા, સુશેન સર્કલ, લાલબાગ, લક્ષ્મીવિલાસ પેલેસ, નર્મદા ભવન, કાલાઘોડા અને નિઝામપુરા સહિતના સ્ટોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂર્વ-પશ્ચિમ રૂટ પર ગોત્રી સર્કલ, હરિનગર, ચકલી સર્કલ, કાલાઘોડા, સયાજી હોસ્પિટલ, ન્યાયમંદિર, પાણીગેટ અને સયાજીપુરા એપીએમસી સુધી બસ સેવા ઉપલબ્ધ રહેશે.
જ્યારે ત્રીજો રૂટ જેતલપુર બ્રિજથી પાદરા સુધીનો રાખવામાં આવ્યો છે. આ રૂટ પર અકોટા વીરાંજલિ પ્રતિમા, શ્રેણિક પાર્ક, દિવાળીપુરા, ઇસ્કોન મંદિર, સંત કબીર સર્કલ, ભાયલી, લક્ષ્મીપુરા સહિતના સ્ટોપ બાદ પાદરા સુધી બસ સેવા મળશે.

