Gondal, તા.24
ગોંડલમાં રાજકુમાર જાટ સાથે પૂર્વ ધારાસભ્યના બંગલે મારકૂટ થઈ હતી. જે અંગે અંતે પોલીસે અજાણ્યા શખ્સ સામે કેસ દાખલ કર્યો છે. જે તે સમયે મૃતકના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો કે, બંગલે તહેનાત માણસોએ માર માર્યો હતો.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર, મૂળ રાજસ્થાન પણ વર્ષોથી ગોંડલમાં રહેતા પરિવારનો યુવાન રાજકુમાર રતનલાલ જાટ ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને તેનો પુત્ર બાઈક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે બંગલાની બહાર તહેનાત શખ્સો તેને અને તેના પુત્રને બંગલાની અંદર લઈ ગયા હતા અને તેના પુત્રને મારકૂટ કરી હતી. જે પછી રાજકોટ તાલુકાના અમદાવાદ હાઇવે પર આવેલ તરઘડિયા નજીકથી લાશ મળી હતી. જે પછી રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં થયાનું જાહેર કરી દીધું છે.
આ દરમ્યાન બંગલે મારકૂટ થઇ એ માટે કોઈ કાર્યવાહી થયાની જાણ નહોતી મળી પણ હાલ જાણવા મળેલ છે કે, ગોંડલ બી. ડિવિઝન પોલીસે બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજિસ્ટર કર્યો છે. જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો માર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જે તે સમયે રતનલાલે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહીં હોવાનું કહ્યું હતું. જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.