Jamnagar,તા ૧૧,
જામનગરમાં તેજપ્રકાશ ઉપાશ્રય, શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાઓના સાંનિધ્યે આયંબિલ ઓળી પર્વના સાતમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરને ઉલ્લાસભાવે ઉજવવા જામનગરના ટાઉનહોલમાં ઓડિટોરિયમમાં વિશાળ સંખ્યામાં ભાવિકોની સાથે અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજીએ ભગવાન મહાવીર ભગવાન કેવી રીતે બન્યાં ?એ ભાવોને પ્રભુના જીવન પ્રસંગો દ્વારા ફરમાવી પ્રેરણા આપી હતી કે, આજે માત્ર પ્રભુનો જયજયકાર અને ગુણગ્રામ ન કરતાં, ભગવાન કેવી રીતે બન્યાં એના ઉપર ચિંતન કરી ભગવાનના એ ગુણોને આચરણમાં લાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
પ્રભુ જન્મોત્સવના વધામણા કરવા જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગરના જિલ્લા કલેકટર કેતનભાઈ ઠક્કર ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, જી.જી. હોસ્પિટલના એચ.ઓ.ડી. ડો. મનીષભાઈ મહેતા, વી.પી. મહેતા, રિલાયન્સના સિનિયર ઓફિસર અતુલભાઇ મહેતા, વિજયભાઈ સંઘવી, વિનોદભાઈ મહેતા( કન્વીનર પારસધામ અને બિલ્ડર), આર.ટી.ઓ. ઓફિસર શ્રી જે.વી.શાહ, કિરીટભાઈ મહેતા, પારસ ભાઈ મોદી (મોદી સ્કૂલ), પ્રફુલ્લભાઈ મહેતા, ભરતભાઇ પટેલ, પ્રદીપભાઈ ખજૂરીયા, જીતુભાઈ મહેતા, પ્રમોદભાઈ મહેતા, રાજુભાઇ કોલસાવાળા, શરદભાઈ શેઠ, ભાણજીભાઈ પાંભર (વિભાપર), વિપુલાબેન પટેલ (સમાજ સેવિકા), સહિતના અગ્રણીઓ કામદાર વાડી જૈન સંઘ, રાજગોર ફળી જૈન સંઘ, કે ડી શેઠ જૈન સંઘ, લાલવાડી જૈન સંઘ , દેવબાગ ઉપાશ્રય, લોકાગચ્છ વાડી, રણજીત નગર ઉપાશ્રય, શ્રી પટેલ કોલોની ઉપાશ્રય, જ્યોતિવિનોદ ઉપાશ્રય, તેજ પ્રકાશ ઉપાશ્રય, જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશિયલ નવાનગર, અને પારસધામના ભાવિકો ઉપસ્થિત હતા.
કોણ અને કેવા હતાં મારા ભગવાન? એવા અનોખા ભાવો સાથે પ્રભુ મહાવીરની ઓળખ કરાવનાર હૃદયસ્પર્શી નાટિકા ‘મેં પહેચાન ન પાયા’ ને ભાવિકો જિજ્ઞાસા સાથે અનિમેષ નિહાળી અહોભાવિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આયંબિલ ઓળીમાં વડીલો સાથે નાના-નાના બાળકો પણ સ્વાદ વિજય – આયંબિલ ઓળી તપની આરાધનામાં જોડાયા છે. બેંક કોલોની સંઘમાં ૧૫૦ થી વધુ ભાવિકો પૂર્ણ આયંબિલ ઓળી કરવાના ભાવ સાથે આગળ વધી રહ્યાં છે. જ્યારે ૨૯ જેટલા નાના બાળકો આખી ઓળી કરવાના દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહ્યાં છે.
જ્ઞાન અને પ્રેરણારૂપ પ્રવચન, તપસાધના સાથે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા માનવતા અને જીવદયાની પ્રવૃત્તિઓ પણ સર્વત્ર સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણની સુગંધ પ્રસરાવી રહી છે. ભગવાન મહાવીર માત્ર જૈનોના નહીં સર્વના છે, એવા સંદેશ સાથે જામનગરના અનેક ગરીબ અને જરીરિયાતમંદ પરિવારોને લાડવા અર્પણ કરી ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરની મધુરતા પ્રસરી હતી. આ અવસરે જામનગરના સાધર્મિક ભાવિકોને આત્મનિર્ભર બનાવવાની સદભાવનાથી ૧૦૦ રીક્ષા અર્પણ કરવાની જાહેરાત પરસધામ સંઘ પ્રમુખ ચેતનભાઇ શાહ દ્વારા કરવામાં આવતાં હર્ષ વ્યાપ્ત થયો હતો. માનવતાના સત્કાર્ય અર્થે જી.જી હોસ્પિટલને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.સમસ્ત આયંબિલ ઓળીનો લાભ દેવાનુપ્રિય જલ્પાબેન નિલેશભાઈ મહેતા પરિવારે લીધો હતો. લાઈવ પ્રસારણ દ્વારા દેશ વિદેશના લાખો ભાવિકો એ પ્રભુ મહાવીર ના જન્મ કલ્યાણકનો લાભ લીધો હતો.માતા ત્રિશલાના આવેલ ૧૪ મહા સ્વપ્નના દિવ્ય દર્શન સાથે સ્વપ્નનો લાભ નાનકડા ત્યાગના સંકલ્પ સાથે ભાવિકોએ લીધો હતો.