ભારત સરકારે પાકિસ્તાનની પોલ ખોલવા ૪૦ સાંસદોની સાત ટીમ જુદા જુદા દેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ડેલિગેશન ઓપરેશન સિંદૂર અંગે સાચી વાતો જુદા જુદા દેશોને જણાવશે અને આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિની જાણકારી આપશે. વિદેશમાં ભારતીય ડેલિગેશને બચાવની કે સહાનૂભૂતિ ઉઘરાવવાની ભૂમિકામાં રહેવાનું નથી. તેણે તો સોય ઝાટકીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની કુટિલ અને નિર્લજ્જ રાજનીતિને ઉઘાડી પાડીને અન્ય દેશો પાકિસ્તાનનાં સમર્થનમાં ઊભા જ ન રહે એવી સ્થિતિ ઊભી કરવાની છે. જેમાં કોંગ્રેસે આપેલાં નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાર અને ડૉ. સૈયદ નસીર હુસેનનાં નામો હતાં, પણ કેન્દ્ર સરકારે એને બાજુ પર રાખીને શશિ થરૃરનું નામ પસંદ કર્યું. થરૃરે સોનિયા ગાંધીનાં નેતૃત્વ સામે સવાલો ઉઠાવેલા એટલે કોંગ્રેસની ગુડ બુકમાં તેઓ નથી. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સર્વાનુમતે ચૂંટવાની કોંગ્રેસની મનસા પર થરૃરે ચૂંટણીમાં ઝંપલાવીને પાણી ફેરવી દીધેલું. થરૃર ત્રણેક ટર્મથી દેશના ઘડાયેલા સાંસદ છે. વધારામાં, યુનાઈટેડ નેશન્સમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે. ઓવૈસીનું નામ બંધારણના જાણકાર વકીલ તરીકે અને મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે પણ વિચારી શકાયું હોત. ઓવૈસી ડેલિગેશનમાં છે એ ખરું. પણ આ ડેલિગેશનથી પાકિસ્તાન સુધરી જશે એમ બનવાનું નથી. એ તો ફરી એકવાર લશ્કરી શાસનનો નમૂનો પૂરો પાડવાની ફિરાકમાં જણાય છે. પાક સરકારે અસીમ મુનીરને આર્મીનું ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ આપી દીધું છે. શાહબાઝ સરકારે સત્તા ટકાવવા આર્મી ચીફ મુનીરને રાજી કર્યા હોય, પણ અગાઉના આર્મી ચીફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા તેવું મુનીર કરે તો.?
કટોકટીની પળોમાં દેશ એક છે, એ વાતમાં વિપક્ષની ભૂમિકા સંદિગ્ધ છે. થરૃરની ઘટના અને ભારતના વિદેશમંત્રી જયશંકરની વાત, બંને વાતો એક જ દિવસે સામે આવી છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિદેશમંત્રી જયશંકરને એક સવાલ પૂછે છે કે ઓપરેશન સિંદૂરની વાત પાકિસ્તાનને અગાઉથી જણાવી દેવાઈ હતી કે કેમ? વિદેશ મંત્રાલયે રાહુલના દાવાને રદિયો આપતાં કહ્યું છે કે વિદેશમંત્રી જયશંકરની વાતને રાહુલ ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. છતાં રાહુલ ગાંધીએ કહેવાનું ચાલુ જ રાખ્યું છે કે વિદેશ મંત્રીએ સાર્વજનિક સ્તરે એ સ્વીકાર્યું છે કે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરનો મેસેજ મોકલ્યો જ છે. સામે ભાજપના ઈન્ફર્મેશન ટેકનોલોજીના ચીફ અમિત માલવીયે રાહુલ ગાંધીને તે વખતના અંગ્રેજોના મદદગાર મીરજાફરનું પોસ્ટર બહાર પાડી પાકિસ્તાનના મદદગાર ગણાવી ઠેકડી ઉડાવી, તો કોંગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ એક પોસ્ટર બહાર પાડી વિદેશમંત્રી જયશંકરને જયચંદની ઓળખ આપી, જેણે પણ અંગ્રેજોને મદદ કરી હતી. આવું પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક છે. તૃણમૂલ કોંગ્રેસનાં મંત્રી એવી દલીલ કરે છે કે વિદેશ જનારાં ડેલિગેશનનાં નામો સરકાર પસંદ ન કરી શકે. સીએમ મમતાનાં દબાણમાં વડોદરાના ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે ડેલિગેશનથી કિનારો કરી લીધો. દેશનો દુશ્મન એની જગ્યાએ જ ઉભો છે અને સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ સામસામે આવી જાય એ કોઈ રીતે ઇચ્છનીય ગણી શકાય નથી. પાકિસ્તાની આતંકી ડેસ્ટીનેશન પરના હુમલા વખતે તમામ વિપક્ષો સરકારની સાથે રહ્યા હોય ને ઓપરેશન સિંદૂર અટક્યું નથી, તે સમયમાં સૌ સાથે જ હોય, તે સંજોગોમાં આવા આક્ષેપો અને ચર્ચાઓ દેશહિતની વાત નથી.