Surendranagarતા.28
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી મનપાની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ત્યારે રોષે ભરાયેલ વઢવાણ શહેરી વિસ્તારની મહિલાઓએ પાણીનું વિતરણ કરતા સંપ પર હોબાળો મચાવ્યો હતો અને નિયમીત પાણી પુરૃ પાડવાની માંગ કરી હતી.
વઢવાણના ધોળીપોળ, શિયાળીપોળ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા એકાંતરે આપવામાં આવતું પાણી પાંચ દિવસે વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે મહિલાઓ સહિત સ્થાનીક રહિશોને હાલાકી પડી રહી છે અને ન છુટકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં બહારથી વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે. જે મામલે અનેક વખત મનપા તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં રોષે ભરાયેલ સ્થાનીક મહિલાઓ વઢવાણ ખાતે આવેલ પાણી વિતરણના સંપ પર એકત્ર થયા હતા અને પાણીની સમસ્યા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. આ તકે સ્થાનીક મહિલાઓના જણાવ્યા મુજબ ધોળીધજા ડેમ પાણીથી ભરેલો હોવા છતાં મનપા તંત્રની અણઆવડતના કારણે પાંચ દિવસે પાણી મળી રહ્યું છે ત્યારે તાત્કાલીક રાબેતા મુજબ એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.