રાજા અકબરે પોતાના સત્સંગના સભાખંડમાં એક બિલાડી પાળી રાખી હતી જે ઘણી જ સમજુ હતી. રાજાએ બિલાડીને એવી તાલીમ આપી હતી કે જ્યારે સભાખંડમાં તમામ સભાજનો સત્સંગ માટે ભેગા થાય ત્યારે રાત્રીના સમયે અંધકારને દૂર કરવા માટે રાજા એક દીવો બિલાડીના માથા પર મૂકી દેતાં હતાં અને જ્યાં સુધી સત્સંગ ચાલે ત્યાં સુધી દીવો માથા પરથી નીચે પડી ન જાય તે માટે બિલાડી સ્થિરતા ધારણ કરી એકાગ્રતાથી કોઈપણ પ્રકારની હલચલ કર્યા વગર બેસી રહેતી હતી. આ જોઇ રાજા અકબર ઘણા ખુશ થતા અને બિલાડીની એકાગ્રતાના બિરબલ આગળ વખાણ કરતા હતા.
આ દ્રશ્ય જોઈને સત્સંગમાં આવતાં સત્સંગીઓને ઘણી જ નવાઇ લાગતી હતી પરંતુ તેઓ કશું બોલતા ન હતા, પ્રશ્ન નહોતા કરતાં. એક દિવસ બિરબલે બિલાડી વિશે સાચી હકીકત જાણવા માટે એક સુંદર યુક્તિ શોધી કાઢી, તેઓ ક્યાંકથી એક ઉંદરડી પકડી લાવ્યો અને તેને ચાદરમાં સંતાડી ચાદર ઓઢી રોજની જેમ સત્સંગમાં આવ્યો. દરરોજની જેમ બિલાડી આજે પણ માથાં પર દીવો ધારણ કરીને બેઠી હતી. બધા આવી ગયાં એટલે સંતશ્રીએ સત્સંગ શરૂ કર્યો.
થોડીવાર પછી બિરબલે કોઇને ખબર ના પડે તેવી રીતે સંતાડેલ ઉંદરડી ચાદરમાંથી કાઢી બિલાડીની તરફ છોડી દીધી. બિલાડીએ જેવી ઉંદરડી જોઇ કે તરત જ બધું ભૂલીને ઉંદરડી પર તૂટી પડી તે સાથે જ દીવો નીચે પડી ઓલવાઇ ગયો અને અંધારૂં પથરાઇ ગયું.
આપણાં બધાંની સ્થિતિ પણ આ બિલાડી જેવી છે. જ્યાં સુધી સત્સંગ કરીએ છીએ, ચિત્ત એમાં પરોવાયેલું છે ત્યાં સુધી તેમાં મગ્ન રહીએ છીએ, જ્ઞાનની વાતો કરીએ છીએ અથવા કોઈ ઇચ્છીત વસ્તુ આપણી સામે નથી કે તે પ્રાપ્ત કરવાનો વિચાર મન પર કબ્જો નથી જમાવતો ત્યાં સુધી આપણે બિલાડીની જેમ શાંત રહીએ છીએ પરંતુ જેવી આપણી સમક્ષ આપણે ઇચ્છેલી વસ્તુ આવી જાય છે અથવા જેવા સાંસારિક વ્યવહાર તરફ આપણું મન ખેંચાઈ છે તો આપણે સત્સંગને ભૂલી લૌકિક પ્રવૃત્તિ કે ધર્મથી વિમુખ કરતી પ્રવૃત્તિમાં જોડાઈ જઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ પણ રહેતો નથી કે રોજ સત્સંગ દ્વારા આપણે જ્ઞાન અને સમજણ મેળવી રહ્યાં હતાં તેનું અચાનક બાષ્પિભવન કેવી રીતે થઈ ગયું..? આપણે આપણો જ્ઞાનરૂપી દીવો અજાણપણે હાથમાંથી પડી જવા દઈએ છીએ. જેનાથી અજ્ઞાન રૂપી અંધકાર છવાય જાય છે, આપણું પતન થાય છે.
કોઈપણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી લે, જ્ઞાની બની જાય તે મોટી વાત નથી, મોટી વાત તો તે છે કે પ્રાપ્ત જ્ઞાનને અનુભવની કસોટીની એરણ પર ઘસીને જીવનમાં ઉતારવું પડે છે. આ સમજણ આપણા જીવનમાં વિકસે તે માટે દરેક સત્સંગી મહાપુરૂષોએ પોતાના મનને બહિર્મુખ કરનાર જીવોનો સંગ છોડવાની આજ્ઞા કરે છે કે જેનો સંગ કરવાથી કુબુદ્ધિ ઉપજે. ભગવદ્ ભજનમાં ભંગ પડે, ભક્તિમાં ભાવ ન રહે, ક્રિયા ન રહે. મનમાં સંશય આવવાથી શ્રદ્ધા ન રહે. ભગવાનમાં કુભાવ જાગે એવા પરિણામોથી બચવું હોય તો દરેકે દુ:સંગથી બચવું જોઈએ. અતિદુષ્ટ જીવોને સંગ મળે તો પણ લાભ થતો નથી. સાપને દૂધ પીવડાવવાથી દૂધનું પણ ઝેર જ થઈ જાય છે. જે ઉત્તમ વસ્તુનો અધિકારી નથી તેને ઉત્તમ વસ્તુ મળવી પણ વ્યર્થ છે. કાગડાને ઉત્તમ સુગંધી પદાર્થો ખવડાવીએ તો પણ એ હીન વસ્તુ ખાવાનો સ્વભાવ નહીં છોડે. ગધેડાને ગંગા-સ્નાન કરાવ્યા બાદ ચંદન વગેરે દ્રવ્યોથી લેપ કરે તો પણ જયાં સુધી “ગધેડો ધૂળમાં આળોટશે નહી ત્યાં સુધી તેને સુખ નહીં થાય. આ બધા ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થવા છતાં પોતાનો સ્વભાવ છોડી શકતા નથી તેમ ઉત્તમ સંગ થવા છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી માટે સતકર્મ કરવા ઇચ્છતા જીવોએ તો ખોટાં વિચારો, દુષ્ટનો સંગ સર્વથા ત્યજવો.
જૂઠી વાત કરવી તેના કરતાં મૌન રહેવું સારૂં, ૫રસ્ત્રી ગમન કરવું તેના કરતાં નપુંસક હોવું સારૂં, ધૂર્તની વાતોમાં લોભાવું તેના કરતાં મરણ સારૂં અને પારકા ધનથી મીઠા ભોજનનો સ્વાદ કરવો તેના કરતાં ભીખ માંગીને ખાવું સારૂં, વૈશ્યા સ્ત્રી સારી ૫રંતુ કૂળની દુરાચારીણી વહુ સારી નહી તથા પ્રાણ ત્યાગ કરવો સારો ૫ણ દુષ્ટ માનવીનો સંગ સારો નહી.જે દુષ્ટ છે તે ક્યારેય પોતાનો જાતિ સ્વભાવ છોડતો નથી. દુષ્ટ સાથે બેસવા-ઉઠવાનો ય સં૫ર્ક રાખવો જોઇએ નહી,ભલે સેકડો રૂપિયાનું નુકશાન થાય તેમ છતાં લડાઇ કરવી નહી..આ મત બુદ્ધિમાનોનો છે અને વિના પ્રયોજન ક્લેશ ઉભો કરવો તે મૂર્ખાઓનું લક્ષણ છે.
સત્યભાષી માનવી જો સમજ્યા વિચાર્યા વિના સહુ કોઇને પોતાના જેવા જ સમજે તો સામાવાળા દુષ્ટ માણસો તેને ઠગી જાય છે.સજ્જન પુરૂષો નારીયેળની માફક ઉ૫રથી કઠણ ૫ણ અંદરથી નરમ હોય છે, જ્યારે દુષ્ટ માણસો બોરની માફક બહારથી સુંદર દેખાય છે પરંતુ અંદરથી કઠોર હોય છે.
જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે તેમ દુષ્ટ ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે પરંતુ દૈવયોગથી જ્યારે કોઇવાર સજ્જન કુસંગતિમાં ૫ડી જાય છે ત્યારે તે ત્યાં ૫ણ સા૫ના મણિની જેમ પોતાના ગુણોનું જ અનુસરણ કરે છે એટલે કે મણિ સા૫ના વિષને ગ્રહણ કરતો નથી અને પોતાના સહજ ગુણ પ્રકાશનો છોડતો નથી તેવી જ રીતે સાધુ પુરૂષ દુષ્ટોના સંગમાં રહેવા છતાં બીજાને પ્રકાશ જ આપે છે અને દુષ્ટોની તેમના ઉ૫ર કોઇ જ અસર થતી નથી.
કબીરજીએ કહ્યું છે કે સંત-મહાપુરૂષોની સંગતિ કરવી જોઇએ કારણ કે અંતમાં તેનાથી કલ્યાણ થાય છે. દુષ્ટોનો સંગ ના કરવો જોઇએ કારણ કે તેમના સંપર્કમાં આવતાં જ મનુષ્યનું પતન થઇ જાય છે. સંતોનો સંગ કરવાથી હંમેશાં અમારૂં હિત થાય છે જ્યારે દુષ્ટ લોકોનો સંગ ગુણવાન માણસોનું પણ પતન કરે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)