ધોધ જોવા ગયેલા બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ મિત્રો ડેમમાં ઉતર્યા; બેનો સ્થાનિકોના સહયોગથી બચાવ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૪
Jamnagar લાલપુર તાલુકાના ચાંદનગર નજીક આવેલા ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા જામનગરના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેની સાથે આવેલા તેનાજ પિતરાઈ ભાઈ સહિત અન્ય બે યુવાનો ને સ્થાનિકોએ બચાવી લીધા છે. કાલાવડ ફાયર ની ટીમે પાણીમાંથી મૃતદેહ ને શોધી કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ-૪૯ વિસ્તારમાં આવેલા નહેરુનગર, શેરી નં. ૧૧માં રહેતા રાકેશ મહેન્દ્રભાઈ બગડા (ઉ.વ. ૨૧), અને તેનોજ પિતરાઈ ભાઈ જયદીપ ગિરધરભાઈ બગડા (ઉ.વ. ૨૦) તથા સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા નિકુંજ કરણભાઈ રાઠોડ (ઉ.વ. ૧૭) રવિવારે લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામે આવેલા પ્રખ્યાત પાણીના ધોધની મુલાકાતે ગયા હતા.
જ્યાં હાલ ધોધ વરસાદ ના અભાવે બંધ છે દરમિયાન ત્રણેય મિત્રો નજીક આવેલા ખડખંભાળિયા ડેમ પર ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા. દરમિયાન તેઓ ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોના સહયોગથી જયદીપ અને નિકુંજનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો, પરંતુ રાકેશ મહેન્દ્રભાઈ બગડા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજા તેમની ટિમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પાણીમાં ડૂબી ગયેલા રાકેશને શોધવા માટે કાલાવડ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. જે ભાયર ટીમની ભારે શોધખોળ બાદ રાકેશનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય મિત્રોમાંથી કોઈને પણ સારી રીતે તરતા આવડતું ન હોવા છતાં તેઓ ડેમમાં ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ લાલપુર પોલીસે અકસ્માત મોત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.ચોમાસાની ઋતુમાં ખડખંભાળિયા ધોધ અને ડેમ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોવાથી પાણીના ઊંડાણ અને પ્રવાહને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

