Haryana,તા.17
હરિયાણાની મોડેલ શીતલ ચૌધરી હત્યાના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસે જણાવ્યું કે શીતલના બોયફ્રેન્ડ સુનિલે હત્યા કરી છે. સુનિલ પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. સુનિલે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને પોલીસને જણાવ્યું છે કે તેણે શીતલની હત્યા કરી હતી અને તેના મૃતદેહને કાર સાથે નહેરમાં ફેંકી દીધો હતો.
અહેવાલો અનુસાર, શનિવારે (14મી જૂન) મૃતક શીતલ ચૌધરી હરિયાણાના પાણીપતના અહર ગામમાં મ્યૂઝિક આલ્બમના શૂટિંગ માટે ગઈ હતી. સુનિલ પણ રાત્રે લગભગ 10:30 વાગ્યે ત્યાં પહોંચ્યો અને બંને ત્યાંથી કારમાં રવાના થઈ ગયા. આ પછી, બંનેએ કારમાં બેસીને દારૂ પીધો પરંતુ આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો. રાત્રે 1:30 વાગ્યે શીતલે તેની બહેન નેહાને વીડિયો કોલ કરીને કહ્યું કે, ‘મારો સુનીલ સાથે ઝઘડો થયો છે અને તે મને માર મારી રહ્યો છે.’ ત્યારબાદ શીતલનો ફોન બંધ થઈ ગયો.
રવિવારે (15મી જૂન) શીતલની બહેન નેહાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે રવિવારે તેમને પાણીપત નજીક એક નહેરમાં સુનીલની કાર મળી, પરંતુ શીતલ ક્યાંય મળી નહીં. બીજી તરફ, સુનીલ પોતે હોસ્પિટલમાં પહોંચ્યો અને દાખલ થયો. તેણે દાવો કર્યો કે, ‘મારી કાર અકસ્માતમાં નહેરમાં પડી ગઈ હતી.હું તરીને બહાર આવ્યો હતો પરંતુ શીતલ ડૂબી ગઈ છે.’પોલીસને પહેલી શંકા સુનિલ પર હતી અને તેને પૂછપરછ માટે લઈ ગયા. પોલીસે સુનિલની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી કે તેણે શીતલની હત્યા કરી છે. હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શીતલ કરનાલમાં સુનિલની હોટલમાં કામ કરતી હતી. અહીંથી જ બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.
સોમવારે (16મી જૂન) પોલીસને સોનીપતના ખરખૌડા નજીક નહેરમાંથી શીતલનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહનું માથું કપાયેલું હતું અને શરીર પર છરીના નિશાન હતા. શીતલની ઓળખ તેના શરીર પરના ટેટૂ દ્વારા થઈ હતી. શીતલનો મૃતદેહ પાણીમાં તરતો 80 કિલોમીટર દૂર પહોંચ્યી ગયો હતો.