Vadodara,તા.૧૦
વડોદરા શહેરના વકીલ હિતેશ ગુપ્તા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદને લઈને વિવાદ વકર્યો છે. ફરિયાદના વિરોધમાં વડોદરાના મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા અને રેન્જ ૈંય્ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વકીલોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ‘પોલીસ હાય હાય’ના નારા લગાવ્યા હતા.
વકીલોના પ્રતિનિધિમંડળે રેન્જ આઇજી કચેરી ખાતે રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ ફરિયાદ રદ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
હિતેશ ગુપ્તા સામે ફરિયાદ નોંધાયા બાદ વડોદરાના વકીલોમાં નારાજગી જોવા મળી હતી. આ મામલે વકીલો મોટી સંખ્યામાં એકત્ર થયા અને રેન્જ આઇજી કચેરી તરફ કૂચ કરી હતી.વિરોધ દરમિયાન વકીલોએ પોલીસની કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર મામલે ઉતાવળે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદની હકીકતોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ વકીલો દ્વારા કરવામાં આવી હતી.
રેન્જ આઇજી કચેરી ખાતે પહોંચેલા વકીલોના પ્રતિનિધિમંડળે સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી. વકીલોનું કહેવું હતું કે ફરિયાદની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને હકીકતો સામે આવ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.વકીલોએ પોલીસ ફરિયાદ રદ કરવાની પણ માંગ કરી હતી. આ સાથે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસ સ્ટેશનમાં ૨૬ વર્ષીય યુવતીએ હિતેશ ગુપ્તા , તેમના પત્ની અને તેમના જુનિયર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મ સહિત એટ્રોસિટી સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેનો અંતિમ નિર્ણય પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ થઈ શકે છે.
બીજી તરફ, હિતેશ ગુપ્તાએ પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેમને ફસાવવા માટે કથિત રીતે ષડયંત્ર કરવામાં આવ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેઓ ફરિયાદ કરનાર યુવતીને મળ્યા જ નથી.હિતેશ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેઓ પોતાના ખર્ચે નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે.
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને આરોપી પક્ષના દાવા વચ્ચે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

