Vadodara,તા.13
મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગની કામગીરીમાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. આરટીઓ દ્વારા આરસી ફેલ જાહેર કરવામાં આવેલા તેમજ ફિટનેસ ફેલ થયેલા ફાયર વિભાગના વાહનોને વીવીઆઈપી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
તિરંગા યાત્રા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યપાલના વડોદરા પ્રવાસ દરમિયાનના વીવીઆઈપી બંદોબસ્તમાં ફાયર વિભાગના વાહનો તૈનાત કરાયા હતા, જે પૈકી કેટલાક વાહનોની આરસી ફેલ અથવા ફિટનેસ નહીં હોવા છતાં તેમને બંદોબસ્ત માટે ફાળવી જોખમ ખેડયું હતું. ખાસ કરીને વીવીઆઈપીના બંદોબસ્તમાં સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત સક્ષમ અને નિયમસરના વાહનો જ તૈનાત થવા જોઈએ.
ફાયર વાહનોનો ઉપયોગ સામાન્ય વાહનોની જેમ માત્ર પરિવહન માટે થતો નથી. આગ, અકસ્માત કે અન્ય કટોકટી સમયે તેમની કામગીરી સીધી રીતે જીવન બચાવવા સાથે સંકળાયેલી હોય છે. આવા સમયે ફિટનેસ ફેલ વાહન રસ્તામાં જ બંધ પડી જાય અથવા તેની કામગીરીમાં ખામી સર્જાય તો મોટી દુર્ઘટના સમયે બચાવ કામગીરીને અસર થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુદા જુદા ફાયર સ્ટેશનના કુલ ૨૬ વાહનો પૈકી ૧૭ વાહનોની ફિટનેસ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત, ચાર વાહનોની આરસી કેન્સલ છે, જેમાં પાણીના ટેન્કર, ઇમરજન્સી રેસ્ક્યુ વાહન, એમ્બ્યુલન્સ સહિતનાં વાહનોનો સમાવેશ થાય છે.
એક વિસ્તારના ફાયર સ્ટેશનનાં પાણીના ટેન્કરોને અન્ય વિસ્તારમાં દોડાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે મકરપુરા જીઆઈડીસીની ગાડીઓને ખોડિયારનગર તરફ અને ભાયલી વિસ્તારની ગાડીઓને સમા તરફ દોડાવવામાં આવી રહી છે. વાહનોનું બિનજરૃરી લાંબુ સંચાલન થવાથી ઇંધણનો ખર્ચ, સમયનો વ્યય અને મેન્ટેનન્સનો બોજ પણ વધે છે.ફાયર વિભાગના કેટલાક વાહનોની આર.સી. કેન્સલ થઈ ગઈ હોવા છતાં અથવા વાહન વધુ જૂનું હોવા છતાં તેના પાછળ તોતિંગ ખર્ચ કરાયો છે. કેટલાક વાહનો તો ૧૫થી ૩૯ વર્ષ જૂનાં છે. આવા વાહનો પર સમયાંતરે રિપેરિંગ, મેન્ટેનન્સ અને અન્ય ખર્ચ કરવામાં આવ્યો હોય તો તેની જરૃરિયાત અને મંજૂરીની તપાસ થવી જોઈએ.

