આપણા પુરાણો અને શ્રીમદ ભાગવતમાં જ્યાં લીલા શબ્દ આવે છે ત્યાં લીલા એટલે બનેલી ઘટના નહી પરંતુ તેના માધ્યમથી ભગવાન વેદ-વ્યાસજી આપણને આધ્યાત્મિક અર્થ સમજાવવા માંગે છે.
પ.પૂ.મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજે શ્રી કૃષ્ણ લીલા રહસ્ય પુસ્તકમાં હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ,રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા-વિસંગતિ તથા વિસંવાદો દૂર કરવા પ્રયત્નો કર્યા છે.
શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ કોઈ વ્યવહારીક ઘટનાઓ નથી,કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ આ લીલાઓ પરમહંસો,અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો આપણું સમાધાન થાય અને આ સમાધાનમાં આપણને લાગે કે મારા શાસ્ત્રો,મારો ધર્મ,મારી પરંપરા દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે.
ભાગવતકારે કૃષ્ણનું જે રૂપ બનાવ્યું છે એ રૂપ શું છે? કૃષ્ણ એ પ્રેમ છે.પ્રેમથી કોઈ મોટો ગુણ નથી.પ્રેમ આવ્યા પછી કોઈ અપૂર્ણતા રહેતી નથી એટલે પ્રેમ એ જ પરમેશ્વર છે.હવે અહીં પ્રેમ એ કૃષ્ણ છે અને કામ એ કંસ છે એટલે એ બંન્ને સાથે ન રહી શકે.પ્રેમનો સૌથી મોટામાં મોટો દુશ્મન યોગ છે. વાસનાના કારણે બંધાયેલા સંબંધો ક્ષણિક હોય છે માટે પ્રેમ અને કામ ના ભેદને સમજો.
કંસે શ્રી કૃષ્ણને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા.સૌથી પહેલા અઘાસુર પછી બકાસુર શકટાસુર પછી વૃત્રાસુર મોકલ્યો.આ અસુરો કોણ છે? સંસ્કૃતમાં “અધ” શબ્દનો અર્થ પાપ થાય છે.સાધનાનું પહેલું પગથિયું માળા ફેરવવી કે દીવો કરવો એવું નહિ પણ પહેલું પગથિયું છે પાપનો ત્યાગ કરવો..પછી જ સાધનાની શરૂઆત થાય છે. જેણે અઘાસુર નથી માર્યો તે સાધના કરી શકે નહીં. જેણે સાધના-ઉપાસના કરવી હોય, પરાકાષ્ટાએ પહોંચવું હોય તેણે પહેલાં પાપ છોડવું પડે.જેણે અઘાસુર માર્યો હોય તે આગળની સાધના માટે તૈયાર થાય.નાવમાં વાસના રૂપી પાંચ કાણાં પડ્યા હોય તો સામે કિનારે પહોંચી શકાતું નથી. નવા નવા પાપ જીવનમાં આવતા હોય છે.પાપ પહેલાં માણસને ધ્રુજારી આપે પણ પછી ધીરે ધીરે માણસ રીઢો થાય પછી એને પાપ કર્યા વિના ચાલતું નથી એટલે ભાગવતકારે પહેલો અસુર અઘાસુરને મારવો એમ સમજી પ્રસંગ મુક્યો છે.
તમારે મહારાસ કરવો છે? રાસની અનુભૂતિ લેવી છે? કૃષ્ણનો સાક્ષાત્કાર કરવો છે? તો પહેલાં પાપ છોડો. હિંસા હિંસાને વધારે છે,પાપ પાપને વધારે છે અને પૂણ્ય પૂણ્યને વધારે છે.આ અઘાસુર બીજો કોઈ નહિ પણ મારા અને તમારા અંદર બેઠેલો એક પાપી વ્યક્તિ છે.બીજો અસુર આવ્યો તે બકાસુર છે. કેમ આવું નામ રાખ્યું? બગલો બહારથી જુદો અને અંદરથી જુદો છે. એવું લાગે કે તે એક પગે ઊભો રહી જપ કરી રહ્યો છે.પગ મૂકે તો બહુ સાચવીને મૂકે છે કે કોઈ જીવજંતુ પગ નીચે ન આવી જાય.કેટલો દયાળુ છે? આ બગલો કેટલો ધાર્મિક છે? ત્યારે તળાવની અંદર રહેતી માછલી અકળાય ઊઠી અને બોલી કે આ બગલાની શું તમે પ્રશંસા કરો છો? એણે તો મારો વંશ કાઢી નાંખ્યો છે. જે સાથે રહેતો હોય એ જ સહવાસીને જાણી શકે છે.દૂરનો માણસ શું જાણી શકવાનો હતો? આ બગલો શું છે તે હું જાણું છું એટલે માણસના જીવનમાં એક ઢોંગ વૃત્તિ આવે,પાખંડ વૃત્તિ આવે,દંભ આવે આ બધા ભક્તિના દુશ્મનો છે એ બધા અસુરો છે.સાચા માણસમાં પણ ધીરે ધીરે દંભ આવે છે,પાખંડ આવે છે એ બતાવવા માટે ભાગવતમાં આ બકાસુરનું ઉદાહરણ મૂક્યું છે.તમારે ભક્તિ કરવી છે,ઉપાસના કરવી છે તો તમારા જીવનમાં સાવધાની રાખજો નહિ તો લોકો તમને દંભી બનાવી દેશે.બકાસુર આજે પણ છે અને હંમેશાં રહેવાનો છે.માણસની એક ખાસ દુર્બળતા છે કે પોતે સારો છે એવું દેખાડવા માટે ધીરે ધીરે પોતે ઢોંગ કરતો થઇ જાય છે એટલે કબીરજી પોતાના ભજનોમાં પોતાની જાતને કબીરા કહે છે,નરસિંહ મહેતા પોતાની જાતને નરસૈંયો કહે છે.
બીજો એક શગટાસુર આવ્યો. “શકટ” શબ્દનો અર્થ છે જે ચાલતી વખતે કટ કટ બોલે એનું નામ શકટ ગાડું. ભક્તિમાર્ગમાં ઉપાસનામાં જીવ એક કક્ષાએ જઈને શગટાસુર થઇ જાય છે.આ શગટાસુર મંદિરમાં પણ આખા ગામની નિંદા કરાવે છે એટલે તમે જો જો મંદિરના ઓટલા ઉપર જેટલી નિંદા થાય છે એટલી નિંદા તો ગામના ચોરા ઉપર પણ નહિ થતી હોય એટલે શાસ્ત્રકાર એમ કહેવા માંગે છે કે જેણે ઉપાસના કરવી હોય, સાધના કરવી હોય એણે વધુ બોલ બોલ કરવું નહીં. અતિશય બોલનારો સાધના ન કરી શકે. જે બહુ બોલ બોલ કરે છે એના ઉપર શગટાસુર ચડી બેસે છે.આવા ઘણા બધા અસુરો આવ્યા તે બધાને કૃષ્ણે મારી નાંખ્યા.
હવે ઇન્દ્ર કોપાયમાન થયો.દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરે છે.કૃષ્ણે કહ્યું યજ્ઞ નહિ કરવાનો કારણ કે વરસાદ લાવવો એ ઈન્દ્રનું કર્તવ્ય છે એટલે ઇન્દ્રે કોપાયમાન થઇ બારે મેઘ વરસાવ્યા. ચારે તરફ જળ બંબાકાર થયું. ટચલી આંગળીએ વ્હાલે ગોવર્ધન તોળ્યો..એવું આપણે ગાઇએ છીએ.કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચક્યો અને ગોવાળીયાઓને કહ્યું કે તમે લાકડીનો ટેકો આપી નીચે ઊભા રહો જેથી ગોવર્ધન પડી ના જાય.આમાંથી એ શિખવાનું છે કે તમે કોઈ સંસ્થાના આગેવાન હોવ,સંસ્થા ચલાવતા હોવ તો સહયોગીઓને યશ દેજો,બધો યશ પોતે ન લઇ લેશો. કૃષ્ણ કહે છે કે તમારી લાકડીઓના ટેકાથી આ ગોવર્ધન ટકી રહ્યો છે.આવો માણસ હંમેશાં લોકપ્રિય થાય.
ઇન્દ્ર થાક્યો હાર્યો અને કહ્યું કે હવે મારે યજ્ઞો નથી કરાવવા.પાછું એવુંને એવું થઇ ગયું.કોઈવાર તમે વિચાર કર્યો કે આ પહાડ કંઈ છત્રી છે કે એને એમ ઊંચકી શકાય ! પહાડ જેટલો ઊંચો દેખાય એટલા ઊંડા એના મૂળ હોય છે.પહાડને ઊંચો કરો તો નીચે મોટો ખાડો પડે અને એ ખાડામાં માણસ ઊભો રહે તો પહેલા એ જ મારે.બચવાનો રસ્તો તો એ છે કે પહાડની ઉપર ચઢી જાવ તો બચી શકાય.કેમ કોઈને આવી શંકા નથી થતી? આ કોઈ ઘટના નથી પણ રૂપક છે.
વ્રજના ચોરાસી કોષની શરીર સાથે સરખામણી કરી છે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે.અંદર છે એ જ બહાર છે.પેલું વ્રજ તો છે જ પણ આપણી અંદર પણ એક વ્રજ છે.આમાં યમુના છે,ગંગા છે,સરસ્વતી છે, કાલિંદીનો ધરો છે, કૃષ્ણ છે, કાલીનાથ છે, ગોપ-ગોપીઓ, મથુરા, કંસ, બધુંજ છે અને આપણી પાસે જ છે. ભગવાન ગોવર્ધન લઈને ઊભા છે એના પાછળનો આધ્યાત્મિક અર્થ છે કે “ગોવર્ધન” ગો શબ્દના સોળ અર્થ છે. “ગો” એટલે બ્રહ્મવિદ્યા,ગાય,ઇન્દ્રિય,પૃથ્વી વિગેરે..ઇન્દ્ર કર્મનો,સ્વર્ગનો સકામવૃત્તિનો દેવ છે. સ્વર્ગ અપાવનારા જે સકામ કર્મો છે એ સકામ કર્મોરૂપી જે યજ્ઞો છે એમાંથી છૂટવા માટે કૃષ્ણે કહ્યું કે આ સકામ વૃત્તિઓ બંધ કરો.તમારે જો મારી જ જરૂર હોય તો નિષ્કામ કર્મ કરો.ઇન્દ્રને આ ગમતું નથી.આમ એકેએક માણસ અહીંયા સકામ વૃત્તિમાં રહે છે.મારા માટે એ કર્મ કરે એટલે હું એને ફળ આપ્યા કરૂં છું.સકામ વૃત્તિમાંથી કોઈ છટકી જાય એ ઇન્દ્રને ગમતું નથી એટલે ઈન્દ્રનું અભિમાન ઉતારવા,એના કોપમાંથી બચવા માટે આ ગોવર્ધન લીલા થઇ હતી.
બ્રહ્મવિદ્યાનો જે પર્વત છે એના નીચે આખું વ્રજ આવીને બેઠું છે.હવે ઇન્દ્ર બાર મેઘ આપે તો એ આ ક્ષેત્રને આંચ આવવાની નથી.માયાનું ક્ષેત્ર જ્યાં ના જઈ શકે એને ગોવર્ધન કહેવાય.માયાનું ક્ષેત્ર એટલે તમે આ કરો તો હું તમને આ આપું.(શ્રીકૃષ્ણ લીલા રહસ્યમાંથી સાભાર..)
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)