ફિલ્મનું શૂટિંગ બ્રિટનમાં થવાનું હતું તે હવે મુંબઇમાં આટોપી લેવામાં આવશે : આ એક સુપરનેચરલ હોરર થ્રીલર ફિલ્મ હશે
Mumbai, તા.૨૫
અજય દેવગણ તેની આગામી ફિલ્મ ‘ગૃહપ્રવેશ’માં નેગેટિવ ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અગાઉ અજય દેવગણે ૨૧ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘કાલ’માં નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યો હતો. ‘ગૃહ પ્રવેશ’ ફિલ્મ ગરૂડ પુરાણ પર આધારીત હોવાનું જાણવા મળ્યું છે. આ એક સુપરનેચરલ હોરર થ્રીલર ફિલ્મ હશે.‘દૃશ્યમ‘ ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠકના પ્રોડક્શન બેનર તળે જ આ ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નિર્દેશન રોહિત જુગરાજ કરી રહ્યા છે. નિર્માતાઓ ગયા મહિને માર્ચમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાના હતા પણ ‘રેન્જર’ ફિલ્મના શૂટિંગને કારણે આ ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ આવતાં મહિને શરૂ કરવામાં આવશે. ફિલ્મને એક જ શેડયુઅલમાં બ્રિટનમાં શૂટ કરવાની મૂળ યોજના હતી. પણ હવે ફિલ્મ મોડી પડી રહી હોઇ નિર્માતાએ આ ફિલ્મનું શૂટિંગ હવે મુંબઇમાં જ ઝડપભેર આટોપી લેવાનું નક્કી કર્યું છે. જેથી ફિલ્મની ટીમનું કામ આસાન બની રહે.

