Surendranagar,તા.06
દસાડા તાલુકામાં કચ્છના નાના રણ તરફ જતાં વોકળામાંથી ચોમાસા બાદ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. પાટડી અને ખારાઘોડા વોકળામાં રેતીની સાથે હવે માટીનું પણ મોટા પાયે ખનન શરૃ થયું છે.
ખારાઘોડા વોકળા પાસે ૨૫થી વધુ ટ્રેક્ટર, એક હીટાચી અને જેસીબી મશીનનો ઉપયોગ કરીને બિન્દાસ માટીની ચોરી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર માટી ખાનગી કંપનીઓમાં ઠાલવવામાં આવતી હોવાની પણ ચર્ચા છે.
તાજેતરમાં જ સરકારે ઘુડખર અભયારણ્ય વિસ્તારથી ૧૦ કિલોમીટરના અંતરે માટીનું ખનન ન કરવા માર્ગદશકા જાહેર કરી છે. તેમ છતાં, ખારાઘોડા ઘુડખર અભયારણ્યની નજીકથી જ માટીનું ખનન થઈ રહ્યું છે, જે કાયદાનું સીધું ઉલ્લંઘન છે. તંત્ર દ્વારા જાણે મૌન સેવી લેવાયું હોય તેમ લાગી રહ્યું છે. બેફામ દોડતા ખનીજ ભરેલા ટ્રેક્ટરોથી અકસ્માતનો પણ ભય રહે છે.
ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરવા બદલ ભૂમાફિયાઓને જાણે છૂટો દોર મળી ગયો છે. આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને કુદરતી સંપત્તિનું રક્ષણ થાય તેવી પ્રકૃતિ પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.

