Mumbai,તા,22
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ODI સિરીઝની અંતિમ મેચ શનિવાર (20 જૂન)ના રોજ રમાઈ હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું છે. ભારતને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેણે માત્ર 28.4 ઓવરમાં જ મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ODI સિરીઝમાં અફઘાનિસ્તાનના સૂપડાં સાફ કરી દીધા છે.
ચેપોક ODIમાં ભારતની જીતમાં યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ પાંચ વિકેટ લીધી છે. યશસ્વી જયસ્વાલે અણનમ 110 રનથી પોતાની બીજી વનડે સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ 79 રન કર્યા છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝ જીતી ચૂકી હતી. ધર્મશાલા વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ લખનઉમાં રમાયેલી મેચમાં તેઓએ મુલાકાતી ટીમને 170 રનથી હરાવી દીધી હતી. હવે ભારતીય ટીમે ચેપોકમાં પણ પોતાનું વર્ચસ્વ બતાવ્યું છે.

