Tehran, તા.22
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અનિશ્ચિત મુદત સુધી ઈરાન સામે યુદ્ધ વિરામની જાહેરાત કરી તેમાં અમેરિકાની લાચારી હોવાનું પણ બહાર આવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગના વડામથક પેન્ટાગોન એ સ્વીકાર્યુ છે કે 40 દિવસના યુદ્ધ પછી પણ ઈરાનની સૈન્ય તાકાત હજુ પણ મજબૂત છે અને તેનાથી યુદ્ધમાં વધુ સમય સુધી તે ટકી શકે છે.
જો કે અગાઉ જ અમેરિકી જાસૂસી એજન્સી સીઆઈએએ આ યુદ્ધમાં જતા પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રિપોર્ટ આપ્યો હતો કે ઈરાનની સૈન્ય શક્તિને ઓછી આંકવાની ભુલ કરતા નહી. યુદ્ધના એક સપ્તાહ પછી અમેરિકા અને ઈઝરાયેલે એવો દાવો કર્યો હતો કે ઈરાન તરફથી વળતુ આક્રમણ નબળુ પડી ગયુ છે પરંતુ તે ફકત ધારણા જ પુરવાર થઈ.
40 દિવસ સુધી ઈરાન એ મુકાબલો કર્યા પછી પણ હજુ તે યુદ્ધ વિરામ સ્વીકારવા તૈયાર નથી. ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગશેટ એ જણાવ્યું હતું કે અમારા હુમલાથી ઈરાનની સેનાને ભારે નુકશાન પહોંચ્યું છે તે કમજોર થઈ ગઈ છે અને તેના મિસાઈલ તેમજ ડ્રોન નિર્માણ સેન્ટરને પણ ઉડાવી દેવાયા છે. પરંતુ તેમ છતાં ઈરાને જે રીતે હુમલા ચાલુ રાખ્યા અને તે પણ મકકમ રીતે આ હુમલા કર્યા તે દર્શાવે છે કે ઈરાનની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ મોટી ભુલ કરી હતી.
એટલું જ નહી બીજો પ્રશ્ન એ પણ ઉઠે છે કે શું અમેરિકા પાસે પણ હથિયારોની તંગી ઉભી થઈ છે. જે રીતે અમેરિકાએ સતત આક્રમણ બાદ પણ ઈરાનને નમાવી શકયુ નહી તે પણ પ્રશ્ન છે. ટ્રમ્પે જે રીતે યુદ્ધ વિરામ લંબાવ્યુ તેના પર એક અભ્યાસમાં સેન્ટ્રલ ફોર સ્ટેટેજીક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના જણાવ્યા મુજબ અમેરિકાએ તેના અત્યંત મહત્વના ગણાતા મિસાઈલનો 45 ટકા જથ્થો વાપરી નાંખ્યો છે.
એટલું જ નહી ઈરાનના ગલ્ફમાં હુમલાનો જવાબ આપવા તેના થાદ ઈન્ટરસેપ્ટર અને પેટ્રીએટ એર ડિફેન્સ મિસાઈલના પણ 50 ટકાનો ઉપયોગ કરી લીધો છે. આમ અમેરિકાને પણ આ યુદ્ધમાં ભારે સૈન્ય નુકશાન થયું છે. એટલું જ નહી તેના મહત્વના ગણાતા ટોમહોક મિસાઈલનો 35 ટકા અને અન્ય લશ્કરી સામગ્રીનો પણ મોટો ઉપયોગ કર્યો છે.

