Mumbai,તા.18
સ્વાદ રસિકો માટે એક દુઃખદ સમાચાર છે. મુંબઈ તેમજ અમદાવાદ શહેરની ઓળખ સમા સ્વાતિ સ્નેક્સના સ્થાપક આશાબેન ઝવેરીનું 14 જૂનના રોજ લાંબી માંદગી બાદ 79 વર્ષની વયે નિધન થયું. રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થયું હતું અને તે જ દિવસે સાંજે વર્લી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મુંબઈમાં તાડદેવમાં 1963માં સ્વાતિ સ્નેક્સની શરૂઆત આશાબેન ઝવેરીના માતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ લગભગ 50 વર્ષ બાદ નરીમન પોઈન્ટમાં તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટનું ઓપન કિચન, જ્યાંથી રસોઈ બનતી જોઈ શકાય છે અને ઘર જેવું જ ભોજન તેની ઓળખ બની ગઈ. આ જ માહોલ અમદાવાદની લો ગાર્ડન અને આંબલી રોડ બ્રાન્ચમાં પણ જોવા મળે છે.
આશાબેન ઝવેરીનો જન્મ અને ઉછેર મુંબઈના એક ગુજરાતી વેપારી પરિવારમાં થયો હતો. તેમના માતા એક કુશળ ગૃહિણી હતા અને તેમને પરંપરાગત વાનગીઓ બનાવવાનું પસંદ હતું. આથી તેમણે પોતાના રસોડાથી સ્વાદિષ્ટ નાસ્તા બનાવીને સ્વાતિ સ્નેક્સની સ્થાપના કરી. ધીમે ધીમે આ પ્રયાસ એક રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગયો પરંતુ 1989 માં આશાબેનના માતાનું અવસાન થયું અને ઘરની સૌથી મોટી દીકરી હોવાને કારણે, આશાબેને સ્વાતિ સ્નેક્સની જવાબદારી પોતાના ખભા પર લીધી. તેમના નોંધપાત્ર પ્રયાસોથી સ્વાતિ સ્નેક્સ મુંબઈની ઓળખ બની ગયું.
વર્ષ 1979માં આશાબેન ઝવેરીએ માતાના અવસાન પછી કોઈ વ્યાવસાયિક તાલીમ વગર જ, માત્ર દ્રઢ નિશ્ચય અને સહજ વૃત્તિથી ફેમિલી બિઝનેસમાં પ્રવેશ કર્યો. જેમાં તેમણે મુંબઈના એક સામાન્ય ચાટ સ્ટોલને મુંબઈના લોકોની પ્રિય જગ્યા બનાવી દીધી. આ માટે આશાબેને સ્ટોલની કામગીરીને સુવ્યવસ્થિત કરીને મેનુને નવજીવન આપ્યું. આ બધા ફેરફાર કરતી વખતે તેમણે સ્વાતિ સ્નેક્સની ઓળખ અને તેના સ્વાદને પણ જાળવી રાખ્યો. આશાબેને વ્યક્તિગત રીતે દરેક ડિશનું પરીક્ષણ કર્યું, તેમના કિચનને આધુનિક બનાવ્યું અને ખાતરી કરી કે આ પરિવર્તન બાદ પણ દરેક ડિશ તેના મૂળ સાથે જોડાયેલી રહે.
આશાબેન ઝવેરીને જે બાબત અલગ પાડતી હતી તે એ હતી કે સ્વાતિ સ્નેક્સનું કોઈ આકર્ષક મેનુ નહોતું. 70ના દાયકાના અંતમાં જયારે તેમણે માતાનો બિઝનેસ સંભાળ્યો ત્યારે તેમને બધું જ બદલવાનો પ્રયત્ન ન કરતા જે હતું તેમાં જ સામાન્ય ફેરફારો કર્યા. જેથી સ્વાતિ સ્નેક્સને વિશેષ બનાવતી અનુભૂતિ જળવાઈ રહે.
જો તમે અહીં પાનકી, ક્રિસ્પી ખીચુ કે સંપૂર્ણ મસાલાવાળી દહીં-બટાકા પુરી ખાધી હશે, તો સ્વાતિ સ્નેક્સ માટે સ્વાદ શું છે એ તમને ખબર હશે. અહીં દરેક વાનગી એકદમ યોગ્ય પ્રમાણમાં છે, પરંપરાગત છે અને કંઈક નવીન પણ છે. આ બાબતો સ્વાતિ સ્નેક્સને વિશેષ બનાવે છે. આ ઉપરાંત તેમણે આ જગ્યા પર એક એવું વાતાવરણ ઊભું કર્યું કે ગ્રાહકોને ઘર જેવું જ ભોજન મળી રહે અને એક હૂંફ મળે. જેના માટે ક્યારેય કોઈ બાબતે સમાધાન કરવામાં આવ્યું નથી. આ કારણસર આ રેસ્ટોરન્ટ મુંબઈના સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ સેલિબ્રિટીઝમાં પણ લોકપ્રિય બની ગઈ.
આશાબેનને લાઇમલાઇટમાં રહેવું પસંદ ન હતું આથી તેઓ ભાગ્યે જ ઇન્ટરવ્યૂ આપતા. પરંતુ જે રીતે તેમણે મુંબઈના ફૂડ કલ્ચરમાં પોતાની વિશેષ ઓળખ બનાવી કે જે બહુ ઓછા લોકો કરી શક્યા છે.