જન્મ-મરણ અને માતાના ગર્ભમાં વારંવાર જવું..આ ચક્ર નિરંતર ચાલતું રહે છે.
શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા, તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.
એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણના નિયમો વાંચી રહ્યા હતા.તેમની પાસે જઇને આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે મૃત્યુ જ્યારે દરવાજા ઉપર આવીને ઉભું રહે છે ત્યારે આ વ્યાકરણના સૂત્રો કામમાં નહી આવે, હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તૂં એક નિરાકાર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.તમે પોતાની આત્મા અને બુદ્ધિને ભગવાનના ભજનમાં લગાવો.તેમનો આ જ ઉપદેશ ભજ ગોવિંદમ્ નામથી પ્રખ્યાત થયો જેમાં જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર અદ્વેત બ્રહ્મના ઉપાસક હતા.અત્યાર સુધી શ્ર્લોક ૧ થી ૨૦ વિશે ચિંતન કર્યું છે હવે આગળના શ્ર્લોક જોઇએ..
પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનમ્
ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયાऽપારે પાહિ મુરારે.. ૨૧
જન્મ-મરણ અને માતાના ગર્ભમાં વારંવાર જવું-સંસારમાં આ ચક્ર નિરંતર ચાલતું રહે છે.આ અત્યંત દુસ્તર-અપાર સંસારમાં હે મુરારી..કૃપા કરી આપ મારૂં રક્ષણ કરો,મને આપની શરણમાં લઇ લો,હું આ જન્મ અને મૃત્યુના ચક્કરથી મુક્તિ મેળવવા ઇચ્છું છું,મને આ સંસારરૂપી વિશાળ સમુદ્રને પાર કરવાની શક્તિ આપો.જગતમાં જે પ્રાણીનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ અવશ્ય થાય છે જ,આ ચક્રથી કોઇ બચી શકતું નથી.અમે અમારા અહંકાર અને વાસનાઓ દ્વારા પ્રેરીત થઇને અનેક કર્મો કરીએ છીએ.કેટલાક કર્મોનું ફળ તો અમોને આ જન્મમાં જ મળી જાય છે પણ કેટલાક કર્મોનું ફળ બાકી રહી જાય છે,આ બાકી રહી ગયેલ કર્મોના ફળ ભોગવવા માટે અમારે બીજો જન્મ લેવો પડે છે અને અમે સત્ય પ્રભુ પરમાત્માને ઓળખી શકતા નથી.પોતાના શરીરને,વાસનાઓને,ચારે બાજુઓની ચીજો અને ઘટનાઓને જ સત્ય અને ચિરંતન માનીને ચાલીએ છીએ.સ્વાર્થના મોહમાં અમે એવા ફંસાઇ જઇએ છીએ કે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને જન્મ-મરણના ચક્કરમાં ફર્યા કરીએ છીએ.આ અનંત યાતનાઓમાંથી ફક્ત પ્રભુ પરમાત્મા જ અમોને બચાવી શકે છે,તે અત્યંત દયાળુ છે,અમારા પાપોને ક્ષમા કરીને અમારો ઉદ્ધાર કરવામાં તે સમર્થ હોય છે એટલા માટે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને વારંવાર કહ્યું છે કે સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ એટલે કે તમામ ધર્મોને આશ્રય ત્યજીને તૂં એકમાત્ર મારા શરણે આવી જા હું તને બધાય પાપો થી મુક્ત કરી દઇશ તું ચિંતા ના કર.શ્રીમદ ભગવદગીતા(૯/૨૨)માં કહ્યું છે કે..
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે
એષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્
જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતાં મારી સારી રીતે ઉપાસના કરે છે,મારામાં નિરંતર લાગેલા તે ભક્તોનો યોગક્ષેમ(અપ્રાપ્તિની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા) હું પોતે વહન કરૂં છું.
તુલસીદાસજીએ પણ વિનયપત્રિકામાં વારંવાર એ જ પ્રાર્થના કરી છે કે હે શ્રીરામ ! મને જન્મ-મૃત્યુ તથા માતૃ ગર્ભવાસની કઠિન યાતનાઓમાંથી મુક્તિ આપો.
રથ્યા ચર્પટ વિરચિત કન્થઃ પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થઃ
યોગી યોગનિયોજિત ચિત્તો રમતે બાલોન્મત્તવદેવ ૨૨
જેણે ખભા ઉપર શેરીમાં પડેલા ચીંથરાની બનાવેલી ગોદડી પહેરી છે,પુણ્ય અને પાપની પરવા વગર પોતાના પથ ઉપર,યોગમાં તલ્લિન થઇ જે યોગી ચાલે છે તે એક અબોધ બાળકની જેમ કે એક પાગલની જેમ પ્રસન્નચિત્ત રહે છે.જે યોગી સાંસારીક બંધનોથી મુક્ત થઇ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવામાં સક્ષમ બની જાય છે તેને કોઇ વાતનો ડર રહેતો નથી અને તે નીડર બની,એક ચંચળ બાળકની જેમ પોતાનું જીવન વ્યતીત કરે છે.
શ્રી નિત્યાનંદ સ્વામી વિરચિત આ શ્ર્લોકમાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી યોગીની માનસિક સ્થિતિનું સુંદર ચિત્રણ કર્યું છે.ત્યારે તે યોગીની સ્થિતિ જેમ એક છળકપટ રહિત એક બાળકની હોય છે તેવી સરળ-સ્વચ્છ અને અમલિન બની જાય છે.જે ભીડમાં રહેવા છતાં પણ પોતાની દુનિયામાં મસ્ત રહે છે.સંત-મહાપુરૂષો પોતાના માટે કશું જ ઇચ્છતા નથી,તેમની આવશ્યકતાઓ મર્યાદિત હોય છે.આજનો માનવ લાલચ અને આવશ્યકતાથી વધારેવધારે મહત્વકાંક્ષાથી જેટલું બને તેટલું વધુ દુનિયામાંથી ઉલેચી પોતાની તિજોરી ભરવામાં લાગ્યો છે અને એ જ તેની અશાંતિ અને દુઃખનું કારણ છે.(૨૨)
કસ્ત્વં કોऽહં કુત આયાતઃ કા મે જનની કો મે તાતઃ
ઇતિ પરિભાવય સર્વમસારમ્ વિશ્વં ત્યક્ત્વા સ્વપ્નવિચારમ્ ૨૩
તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? મારી માતા કોણ? મારા પિતા કોણ? સમસ્ત અસાર, કલ્પનાજન્ય જગતને છોડીને આ પ્રમાણે વિચાર કર.અમારૂં આ સંસારમાં શું છે? આ બધી વાતો વિશે ચિંતા કરીને અમારે અમારો સમય વ્યર્થ ના ગુમાવવો જોઇએ,આ સંસાર એક સ્વપ્નની જેમ જૂઠો અને ક્ષણભંગુર છે.માનવજન્મ વિચિત્ર છે.સંસારમાં કરોડો પ્રાણીઓ છે જે જન્મ લે છે,પોતાનું જીવન જીવે છે અને તેમની જીવનલીલા સમાપ્ત થઇ જાય છે પરંતુ માનવ એક એવું પ્રાણી છે જેના જન્મથી લઇને મૃત્યુ સુધી અનેક સગાં-સબંધીઓના બંધન હોય છે.ફક્ત લોકોનાં જ નહી પોતાની આસપાસની વસ્તુઓની સાથે પણ અતૂટ બંધન બાંધી લે છે.તે ભૂલી જાય છે કે આ તમામ બંધનો નશ્વર છે.આ સંસાર અને અહીની તમામ વસ્તુઓ એક કલ્પનામય સ્વપ્નલોક જેવી છે.જેવી રીતે ઉંઘમાંથી જાગ્યા પછી સ્વપ્ન તૂટી જાય છે તેવી જ રીતે જીવનનો અંત(મૃત્યુ) આવતાં આ સંસાર કે સગા-સબંધી રહેતાં નથી એટલે અમારે જળકમળવત્ જીવન જીવવાનું છે.આંધળા મોહનો ત્યાગ કરીને સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે કે જે અમોને મુક્તિનો માર્ગ બતાવે છે.(૨૩)
ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુઃ વ્યર્થં કુપ્યસિ મય્યસહિષ્ણુઃ
ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાઞ્છસ્યચિરાદ્યદિ વિષ્ણુત્વમ્ ૨૪
તારામાં-મારામાં અને બીજે બધે તમામ સ્થાનોમાં એક જ ઈશ્વર પ્રભુ પરમાત્માનો વાસ છે.આ વાતને ન સમજીને તું નકામો મારી સાથે ક્રોધ કરે છે.જો તું તુરંત વિષ્ણુત્વ(ઇશ્વરની સાયુજ્ય મુક્તિ) ઈચ્છતો હોય તો તારે તમામ લોકો સાથે તમામ પરિસ્થિતિઓમાં સમત્વનો વ્યવહાર કરવાનો છે.
સમત્વ અને સંતુલિત વ્યવહાર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તેનો જવાબ આપતાં ભગવાન ગીતામાં કહે છે કે અભ્યાસેન તૂં કૌન્તેય વૈરાગ્યૈણ ચ ગુહ્યતે..ફક્ત વારંવાર અભ્યાસ કરવાથી અને સાંસારીક વિષયવાસનાઓના પ્રત્યે નિર્લિપ્ત બનીને મનને શાંત અને સંતુલિત રાખી શકાય છે.મન સંતુલિત થાય તો ઉંચ,નીચ,મહાન,તુચ્છ,પશુ-પક્ષી વગેરેના પ્રત્યે સમદ્રષ્ટિ રાખવામાં સરળતા રહે છે અને જેનામાં સમદ્રષ્ટિ આવી જાય છે તે મનુષ્ય મહાન અને તમામના માટે વંદનીય બની જાય છે.(૨૪)
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)