એક નગરમાં એક મધ્યમ આવકનો સ્ત્રોત ધરાવતા,સાચા,ઇમાનદાર શેઠ હતા.તેમની દુકાનના ઓટલા ઉપર નગરના એક ભક્ત સવાર-સાંજ સમય પસાર કરવા માટે આવીને બેસતા હતા અને શેઠને સત્સંગની વાતો સંભળાવતા હતા.શેઠ ધાર્મિક વૃત્તિના હતા પરંતુ કોઇ સંત કે સદગુરૂના શરણમાં જઇ પરમાત્માના દર્શન કર્યા નહોતા તેમછતાં તેમને એટલો તો વિશ્વાસ હતો કે ભક્તના વશમાં ભગવાન હોય છે અને જો પ્રભુ ભક્ત સાચા દિલથી પ્રાર્થના કરે તો ભગવાન સાંભળે છે.એકવાર શેઠે ભક્તને કહ્યું કે શું તમારા ભગવાન મારા ઘેર ભોજન લેવા આવે ખરા? ત્યારે ભક્તે કહ્યું કે આજે હું ધ્યાન અવસ્થામાં ભગવાનને પ્રાર્થના કરીશ.ભક્તે પૂજાના સમયે ભગવાનનું ધ્યાન ધરીને શેઠના ઘેર ભોજન લેવા પધારવા વિનંતી કરી તો ભગવાને તેનો સ્વીકાર કર્યો અને કહ્યું કે હે મારા વ્હાલા ભક્ત ! આવતીકાલે સવારે બાર વાગે તમારી પ્રાર્થનાનુસાર શેઠના ઘેર ભોજન-પ્રસાદ લેવા માટે પધારીશ.ભક્તે આ વાત શેઠને કરી તો શેઠ ખુશીથી નાચી ઉઠ્યા અને નિર્ધારીત સમય પહેલાં શેઠે ભગવાનના સ્વાગત માટે તથા ભોજનના માટે તૈયારી કરી.
શેઠે પરીવાર સહિત સવારમાં ઉઠીને ભગવાનના સ્વાગતના માટે તૈયારી કરી દીધી.ભગવાનને ચા પીવડાવવા માટે દૂધ-ચાયપત્તી અને નાસ્તા માટે મીઠાઇ લઇ આવ્યા.શેઠે પોતાના નાનકડા ઘરને સાફ કરી ભગવાનની રાહ જોવા લાગ્યા.તે દિવસે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો હતો.થોડીવારમાં શેઠે જોયું તો એક સફાઇ કામદાર વરસાદમાં પલડી જતાં થરથર ધ્રુજી રહ્યો હતો.શેઠને તેના ઉપર દયા આવી તેથી ભગવાનના માટે લાવવામાં આવેલ દૂધમાંથી સરસ મજાની ચા બનાવી તથા બજારમાંથી લાવેલ ગરમ-ગરમ નાસ્તો પેલા સફાઇ કામદારને ચા-નાસ્તો કરાવ્યો.
સમય પસાર થતો ગયો,બપોર થયો છતાં ભક્તે કહ્યા અનુસાર ભગવાન તો ના આવ્યા પણ બપોરના બાર વાગે એક મહીલા નનકડા બાળકને લઇને આવે છે અને શેઠને વિનંતી કરે છે કે શેઠ ! મેં બે દિવસથી કંઇ ખાધું નથી,મારૂં બાળક પણ સવારથી ભુખ્યું છે તો તેના પીવા માટે દૂધ આપશો તો આપની ઘણી કૃપા કહેવાશે અને પ્રભુ તમારી ઉપર કૃપા કરશે અને તમારી તમામ મનોકામના ભગવાન પુરી કરશે. શેઠે ભગવાન માટે લાવેલ તમામ દૂધ બાળકને પીવા માટે તૈયાર કરીને મોટી બોટલમાં ભરી આપે છે તથા મહિલા કે જે વરસાદમાં પલડી ગઇ હતી તેને એક જોડી નવા કપડા પહેરાવી સન્માન સહિત આસન પાથરી પોતાના ઘરમાં બેસાડી ભગવાનના માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું તેમાંથી ભોજન મિઠાઇ સહિત તે મહિલાને ભરપેટ જમાડે છે.
આમને આમ સાંજના છ વાગી જાય છે તે જ સમયે એક વૃદ્ધ કે જે ચાલી પણ શકતા નથી તે આવે છે અને કહે છે કે હે શેઠ ! હું ભૂખ્યો છું જો આપ મને કંઇક ખવડાવશો તો આપની ઘણી જ મહેરબાની.શેઠે તે વૃદ્ધને ભીના કપડાં બદલાવી એક જોડી નવા કપડા પહેરાવ્યાં અને આદર સહિત આસન ઉપર બેસાડી ભગવાન માટે તૈયાર કરેલ ભોજન તથા મીઠાઇ તે વૃદ્ધને ખવડાવે છે.આમ દિવસ પસાર થાય છે અને રાત પડી જાય છે.
રાત્રે સ્વપ્નમાં શેઠ ભગવાનને ઘણી જ ફરીયાદ કરે છે કે તમારા ભક્તના વચન ઉપર વિશ્વાસ રાખી આખો દિવસ દુકાન બંધ રાખી.તમારા સ્વાગતના માટે ચા-દૂધની વ્યવસ્થા કરી,અનેક જાતના ભોજન અને મીઠાઇ બનાવી.આખો દિવસ મેં પરીવાર સહિત રાહ જોવા છતાં આપ ના આવ્યા અને અમોને દુઃખી કર્યા. ત્યારે ભગવાન કહે છે કે હે મારા વ્હાલા ભક્ત ! આજે હું એકવાર નહી પરંતુ ત્રણવાર તારા ઘેર આવ્યો હતો અને ત્રણેયવાર તારી સેવા ભાવનાથી ઘણો જ ખુશ થયો છું અને તૂં મારી પરીક્ષામાં પાસ થઇ ગયો છું કારણ કે તારા મનમાં પરોપકાર અને ત્યાગની ભાવના છે.આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે તેને તમે ઘટઘટમાં આત્મારૂપમાં હું જ રહેલો છું એ ભાવનાથી જે સેવા કરેલ છે તે પ્રસંશનીય છે,તેનાથી હું પ્રસન્ન થયો છું.
આ બોધકથામાંથી અમોનેએ બોધ મળે છે કે કોઇપણ મજબૂર કે એવી વ્યક્તિ કે જેને તમારી જરૂર છે તેને મદદ અવશ્ય કરવી જોઇએ કેમકે શાસ્ત્રોમાં કહ્યું છે કે નરસેવા એ જ નારાયણ સેવા છે.મદદની આશા રાખનાર,જરૂરતમંદ અને લાચાર લોકો ધરતી ઉપર ભગવાનનું રૂપ છે,તેમની સેવા કરવાથી આપણને શાંતિ અને સંતુષ્ટિનો ભાવ આવે છે.આ વિશે અન્ય એક બોધકથા જોઇએ..
એક રાજા હતો કે જે મૂર્તિપૂજાનો કટ્ટર વિરોધી હતો.એક દિવસ એક પંડિત રાજ દરબારમાં આવે છે અને રાજાને લલકારે છે કે હે રાજન..તમે મૂર્તિપૂજાનો વિરોધ કેમ કરો છો? ત્યારે રાજાએ કહ્યું કે જો તમે મૂર્તિપૂજાને યોગ્ય સાબિત કરી આપો તો હું અવશ્ય સ્વીકાર કરીશ.પંડિતજી કહે છે કે રાજન..જો તમોને મૂર્તિપૂજામાં વિશ્વાસ ના હોય તો આપના દિવાનખંડમાં આપના સ્વર્ગવાસી પિતાજીની મૂર્તિ મુકેલી છે તેના ઉપર થૂંકીને બતાવો અને જો આપ સ્વર્ગવાસી પિતાજીની મૂર્તિ ઉપર થૂંકી શકો તેમ ના હો તો આજથી મૂર્તિપૂજા કરવાની શરૂ કરી દો.પંડિતની વાતથી સભામાં સન્નાટો છવાઇ ગયો.થોડીવાર પછી રાજાએ કહ્યું કે સારૂં..આપ સાત દિવસ પછી આવજો ત્યારે હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ.
તે સમયે તો પંડિત ચાલ્યા ગયા પરંતુ ચોથા દિવસે પંડિત રાજસભામાં દોડતા આવે છે અને જોર જોરથી રડીને બુમાબુમ કરે છે ત્યારે રાજા કહે છે કે શું થયું છે? ત્યારે પંડિત કહે છે કે રાજન ! રાજના સૈનિકો મારા માતા-પિતાને બંદી બનાવીને લઇ ગયેલ છે અને મારા માતા-પિતાની બે મૂર્તિઓ મારા ઘરમાં મુકી ગયા છે.રાજાએ કહ્યું કે હવે તમારા માતા-પિતા અમારા બંદી રહેશે અને તેમને કંઇ જ ખાવા પીવાનું આપવામાં આવશે નહી પરંતુ આપ તેમની મૂર્તિઓની સારી રીતે સેવા કરજો.તેમની મૂર્તિઓને સારૂં સારૂં ખવડાવજો,સ્નાન કરાવજો અને સારી પથારીમાં સુવડાવજો અને સારા કપડા પહેરાવજો.પંડિતે કહ્યું છે કે રાજન ! તે મૂર્તિઓ તો નિર્જીવ જડ છે તે કેવી રીતે ખાઇ-પી શકશે ! અને તે મૂર્તિઓને ખવડાવવા-પીવડાવવાથી મારા માતા-પિતાનું પેટ કેવી રીતે ભરાવવાનું છે? આમ તો મારા માતા-પિતા ભૂખ્યા તરસ્યા મરી જશે માટે અમારી ઉપર દયા કરો.
રાજાએ કહ્યું કે આપ આ દશ હજાર સોનામહોરો લઇ જાઓ અને તમારા માતા-પિતાની મૂર્તિઓના રહેવા માટે એક સરસ મહેલ બનાવી દો ત્યારે પંડિતજીએ કહ્યું કે મારા માતા-પિતા બંદીગૃહમાં રહે અને હું તેમની મૂર્તિઓની સેવા કરૂં? આ તો મહામૂર્ખતા છે.રાજા કહે છે કે હું એ જોવા માંગું છું કે આપના માતા-પિતાની મૂર્તિઓની સેવા કરવાથી આપના અસલી માતા-પિતાની સેવા થાય છે કે નહી?પંડિત રડતાં રડતાં કહે છે કે તેમની મૂર્તિઓની સેવાથી મારા માતા-પિતાની સેવા થઇ શકતી નથી.રાજાએ કહ્યું કે જ્યારે આપ સર્વશક્તિમાન સર્વવ્યાપક પરમેશ્વરની મૂર્તિ બનાવીને પૂજન કરી શકો છો અને તેમાં સર્વ શક્તિમાન સર્વવ્યાપક પરમેશ્વરની પૂજા થાય છે તેમ માનો છો તો પોતાના માતા-પિતાની મૂર્તિની સેવાથી આપના માતા-પિતાની સેવા કેમ થઇ શકતી નથી? આ સાંભળીને પંડિત કંઇ જ બોલતા નથી અને નજર નીચી કરી દે છે ત્યારે ફરીથી રાજા કહે છે કે આપના માતા-પિતામાં જે ગુણ છે જેવા કે મમતા,સ્નેહ,વાત્સલ્ય,જ્ઞાન, માર્ગદર્શન કરવું,રક્ષા કરવી,ચેતનતા વગેરે તેમની મૂર્તિઓમાં હોતા નથી.આમ પણ મૂર્તિમાં પરમેશ્વરના ગુણ જેવા કે સર્વવ્યાપક,સર્વશક્તિમાન,સર્વજ્ઞ,સર્વાન્તર્યામી,સૃષ્ટિ,દયાલુતા,ન્યાયકારીતા,ચેતનતા વગેરે હોતા નથી તો પછી એવી મૂર્તિની પૂજા કરવાનો કોઇ લાભ નથી.ત્યારબાદ થોડા સમય સુધી રાજસભામાં સન્નાટો છવાઇ જાય છે.પંડિતજી નિરૂત્તર બની ગયા હતા.
પંડિતે કહ્યું કે રાજન ! મને માફ કરી દો તમે મારી આંખો ખોલી નાખી છે.મને મારી ભૂલની ખબર પડી ગઇ છે.હવે હું આવી ભૂલ ફરીથી નહી કરૂં. છેલ્લે રાજાએ કહ્યું કે જેમ અમે અમારા કપડાંને ગંદા નહી પરંતુ ચોક્ખા રાખીએ છીએ તેમનું સન્માન કરીએ છીએ તેવી જ રીતે અમારા પૂર્વજો મહાપુરૂષોના ચિત્રો અને મૂર્તિઓને સાફ રાખવાની છે,પૂજાઅર્ચના કરવાની છે,તેને નષ્ટ થતાં બચાવવાના છે.
જાઓ તમારા માતા-પિતાને સન્માનથી લઇ જાઓ અને હા, પૂજા નિર્જીવ મૂર્તિઓની નહી પરંતુ પોતાના માતા-પિતાની કરો.માતા-પિતાથી મોટું આ દુનિયામાં કોઇ નથી,માનવતા એ જ ધર્મ છે.કર્મ એ જ પૂજા છે.વૃદ્ધ-સેવા તથા જ્ઞાનીઓની સેવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે.જ્યાં સુધી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના માધ્યમથી નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ ના થાય ત્યાં સુધી મૂર્તિ પૂજા જરૂરી સાધન છે.મૂર્તિની મદદથી પોતે પ્રભુ પરમાત્માના સાચા સ્વરૂપને યાદ રાખી શકે છે અને જ્યારે પોતે એવા સ્ટેજ પર પહોંચે છે ત્યારે પોતે નિર્ગુણ નિરાકાર પ્રભુનો અનુભવ કરે ત્યારે તેમનો આધાર એની મેળે જ ખસી જશે.સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.
જો અમારી ભક્તિ પૂજા-પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે? ૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે? જ્યારે અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)