Amreli,તા.19
અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો અને ભારે ખાનાખરાબી પણ સર્જાઈ હતી. ત્યારે રાજુલા ખાખબાઈ ગામના 60 વર્ષીય ખેડૂત જેરામ હડિયા ધાતરવડી નદીના પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર, ટીડીઓ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ઘરી હતી. ત્યારે ગુરૂવારે (19મી જૂન) ધાતરવડી નદીમાંથી ખેડૂતનો મૃતદેહ મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ખાખબાઈ ગામના જેરામ હડિયાનો મૃતદેહ ગુરૂવારે ધાતરવડી નદીમાંથી મળ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધાતરવડી નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં 60 વર્ષીય ખેડૂત તણાયા હોવાની આશંકા છે. હાલ પોલીસ આ મામેલ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમરેલી જિલ્લામાં નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, ફાયર બ્રિગેડ,108 અને પોલીસ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક સ્થળોએ લોકો ફસાયા હોવાના અને જાનહાનિના દુર્ભાગ્યપૂર્ણ બનાવો પણ સામે આવ્યા છે.