એક શેઠ હતા જે રસોઇના વાસણો ભાડે આપી કમાણી કરતા હતા.એકવાર એક સજ્જનને ભાડેથી રસોઇના વાસણો આપ્યાં.પ્રસંગ પતી ગયા પછી એ ભાઇ ભાડું તથા વાસણો પાછા આપી ગયા પરંતુ વાસણો જ્યારે પાછા આપ્યા ત્યારે બે-ત્રણ વાસણ વધારે આપ્યાં.શેઠે પુછ્યું કે શું વાત છે? તમે મે ભાડે વાસણો આપ્યાં હતાં તેના કરતાં વધારે વાસણ પાછાં કેમ આપ્યાં? ત્યારે તે ભાઇ કહે છે કે વાસણોને સંતાન થયાં છે એટલે તેને પણ આપ સાચવો.શેઠ ઘણા જ પ્રસન્ન થાય છે કે ઘણો સારો ગ્રાહક મળ્યો છે, આ મને ઘણો જ લાભ કરાવશે.વાસણોનું ભાડું તો મળે છે સાથે સાથે વાસણ પણ વધુ મળે છે.આમ કેટલાક દિવસો પસાર થયા.તે વ્યક્તિ ફરીથી વાસણો ભાડે લઇ ગયો અને થોડાં વાસણ વધારે આપી ગયો અને શેઠને કહ્યું કે તમારા વાસણોને બાળકો થયાં છે.શેઠ ઘણા ખુશ થાય છે અને ચુપચાપ વાસણો રાખી લે છે.
છ મહિનાનો સમય પસાર થાય છે.તે વ્યક્તિ શેઠ પાસે આવે છે અને કહે છે કે મારા ઘેર ખાસ મહેમાન આવવાના છે એટલે કૃપા કરીને આપની પાસે જે સોના-ચાંદીનાં વાસણો છે તે મને આપો.પહેલાં તો શેઠ વિચારમાં પડી જાય છે,પછી વિચાર્યું કે આ ભાઇને મેં જ્યારે પણ રસોઇના વાસણો ભાડે આપ્યાં તેનાથી વધારે પરત આપી જાય છે.આ વખતે હું સોના-ચાંદીનાં વાસણો ભાડે આપીશ તો મને વધારે વાસણો પાછાં મળશે અને મને વધુ ફાયદો થશે આમ વિચારીને તેને સોના-ચાંદીના વાસણો ભાડે આપે છે. ઘણો સમય પસાર થયો પરંતુ તે ભાઇ સોના-ચાંદીના વાસણો પાછા આપવા ના આવ્યા તેથી શેઠ ઘણા પરેશાન થાય છે અને તે ભાઇના ઘેર જાય છે અને કહે છે કે ભલા માણસ ! તમે તો મારા સોના-ચાંદીના વાસણો ભાડે લઇ ગયા હતા તે પાછા આપવા જ ના આવ્યા ! તે વ્યક્તિ ઘણો જ નિરાશ થઇને કહે છે કે શેઠજી ! શું કરૂં આપે જે સોના-ચાંદીનાં વાસણો મને ભાડે આપ્યાં હતાં તેમનું તો મૃત્યુ થયું છે.
શેઠને ઘણો જ ગુસ્સો આવે છે અને કહે છે કે તૂં કેવી વાત કરે છે? હું તને જેલમાં અંદર કરાવી દઇશ. શું ક્યારેય વાસણોનું મૃત્યુ થાય ખરૂં? ત્યારે તે વ્યક્તિ કહે છે કે શેઠજી ! જ્યારે મેં કહ્યું હતું કે વાસણોને બાળકો થયાં છે તે સમયે તો તમે સત્ય માન્યું હતું.જો વાસણોને બાળકો થાય તો તેમનું મૃત્યુ ના થાય?
આવી જ સંસારની સ્થિતિ છે.માયાની પાછળ મનુષ્ય એટલો આંધળો થયો છે કે તેને કશું સમજમાં આવતું નથી.મહાત્માઓ,સંતજનો દરેક સમયે મનુષ્યને ચેતવણી આપે છે કે હે માનવ ! તૂં જે મહાત્માઓના વચનો સાંભળે છે,વાંચે છે તેના ઉપર સત્યને જાણીને દ્રઢતા લાવ. લાલચમાં પડીને સત્યનો સાથ ના છોડીશ નહી તો પાછળથી પસ્તાવો પડશે.ધનની લાલચ અને આશા ઘણી ખરાબ છે.અમારે પણ જીવનમાં કોઇપણ પ્રકારના લોભ-લાલચમાં ફસાયા વિના જીવન જીવવાનું છે.
લોભનો વિરોધી શબ્દ છે સંતોષ..મનુષ્ય પોતાના જીવનમાં મોહ-માયા અને લોભ-લાલચમાં એટલો ડુબી જાય છે કે તેને પરમતત્વની પ્રાપ્તિ થતી નથી.જ્યારે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે સંતોષ આવે છે.સંસારમાં લોભથી તુચ્છ વિનાશકારી તત્વ બીજું કોઇ નથી,તમામ અનર્થોનું મૂળ લોભ છે,લોભથી મનુષ્યની બુદ્ધિ અને વિવેક નાશ પામે છે તેથી તે પાપકર્મમાં પ્રવૃત્ત થાય છે.ગીતામાં કામ,ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે.લોભના મોહમાં માનવને સારા નરસાનું ભાન રહેતું નથી તેથી તે ન કરવાના કાર્યો કરી બેસે છે.લોભ સમાન કોઇ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી. પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળ્યું છે તેમાં સંતોષ માની જીવન જીવવું પણ લોભ ન રાખવો.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)