Prabhas Patan તા.15
ગીર રક્ષિત વિસ્તારના ઈકો સેન્સેટીવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર અને મદદનીશ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વ્યાપક સમજૂતી આપવામાં આવી હતી. કલેક્ટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.
ગીર એ એશિયાઈ સિંહોનું રહેઠાણ છે અને અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ઓળખ ધરાવે છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણમાં સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ હંમેશા મળતો આવ્યો છે. નિયમોનુસાર તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા ગીર રક્ષિત વિસ્તારના ઈકો સેન્સેટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અનુસાર ઈકો સેન્સેટીવ ઝોનની હદ 2.78 કિ.મીથી 9.50 કિ.મી સુધીની છે. જે હાલના સરેરાશ 10 કિ.મીથી ઓછી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હયાત ગામતળ અથવા તો ભવિષ્યમાં નવું નીમ થનારા ગામતળમાં કોઈપણ વ્યક્તિગત, સામૂહિક કે સરકારી પ્રવૃત્તિઓ જેવી કે, દવાખાના, આંગણવાડી, શાળા-પંચાયત કે કચેરી વગેરે માટે વનવિભાગની મંજૂરીની જરૂર નથી. જેથી ખેડૂતો અથવા ગ્રામજનોએ સાચી હકીકતથી વાકેફ થવું અને ગેરમાર્ગે દોરાવું નહીં.
નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરે ખેડૂતો તેમજ ખેતપ્રવૃત્તિને લગતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સિટીવ ઝોન અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં ખેતી કરવા તેમજ રાત્રિ-દિવસ દરમિયાન ટ્રેક્ટર ચલાવવા, કૂવો ખોદવા, વીજ કનેક્શન લેવા, સિંચાઈ પદ્ધતિથી રાત-દિવસ ખેતી કરવા, ખેતરમાં 24 કલાક અવર-જવર, ગામ-ખેતર જવાના જાહેર રસ્તાનો કોઈપણ સમયે ઉપયોગ અને સમારકામ, ખેતરમાં મકાન/ગોડાઉન બાંધવા, ખેતર ફરતે વંડી કરવા, કોઈપણ પ્રકારનો પાક ઉગાડવા વગેરે જેવી ખેતીને લગતી પ્રવૃત્તિઓ અંગે કોઈ રોકટોક નથી.
પશુપાલન પ્રવૃત્તિ અન્વયે પોતાના ખેતરમાં કે ગામ વિસ્તારમાં તબેલો કે ગૌશાળા બનાવવા વન વિભાગની મંજૂરીની જરૂર નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરના ઈકો સેન્સેટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અનુસાર માત્ર 196 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં ગીર સોમનાથના 65 ગામનો સમાવેશ થાય છે. ગીર સોમનાથની મુખ્ય 5 અને 12 ઉપનદી એમ કુલ મળી 17 નદી આસપાસ સિંહની અવર-જવર છે. ઈકો સેન્સિટીવ વિસ્તાર નક્કી કરવા રેડિયો કોલર ડેટા, સિંહનો કાયમી વિસ્તાર, વધુ વનવિસ્તાર ધરાવતા ગામડાઓ, સિંહની વધુ અવર-જવર વગેરે અલગ-અલગ ધારાધોરણો અનુસરવામાં આવે છે.
ઈકો સેન્સેટિવ ઝોન અંગે સમજ આપતા તેમણે ઉમેર્યું હતું કે,પર્યાવરણ સુરક્ષા અધિનિયમ-1986ની જોગવાઈ હેઠળ ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે છે. નામ.સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ફરતે 10 કિ.મી સુધીના વિસ્તારને ઈકો સેન્સેટિવ ઝોન તરીકે ગણવાનો રહે છે. જે 10 કિ.મીનું જાહેરનામું હાલ ગીર, પાણિયા અને મીતીયાળા અભયારણ્ય ફરતેના વિસ્તારોમાં અમલમાં છે.
સિંહોના સંવર્ધન અને સંરક્ષણ અંગે તેમણે કહ્યું હતું કે, સિંહનું રક્ષણ કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સરકારની નીતિ અને ધારાધોરણો અનુસાર ઈકો સેન્સેટિવ વિસ્તારમાં માઈનિંગ, ઉદ્યોગ સહિતની અલગ અલગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે. વન્યપ્રાણી મુક્ત રીતે ગમે ત્યાં વિચરી શકે છે. ઈકો સેન્સીટીવ ઝોનમાં પ્રવર્તમાન નીતિ નિયમોની અમલવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
આ પ્રેસ કોન્ફરન્સમાં ગીર(પશ્ર્ચિમ)ના મદદનીશ વન સંરક્ષક વિકાસ યાદવ, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિત ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.