મોટાભાગના દેશોમાં ખેલજગતના સિતારા, સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર્સ અને રાજનેતાની રેલીમાં તેમને સાંભળવા પ્રશંસકોની ભીડ આવે છે. પરંતુ પાકિસ્તાન મામલે આ કહાની થોડી ઉલટી છે. પડોશી દેશ મામલે તમામ સ્ટાર્સ અને પોલિટિશિયન્સ નહીં, પરંતુ લશ્કરે તૈયબા, જૈશે મોહંમદ જેવા સંગઠનો સાથે જોડાયેલા આતંકવાદી ભીડને પોતાના તરફ ખેંચવાનું કામ કરે છે. પહેલગામમાં હિંદુ પ્રવાસીઓનો ધર્મ પૂછીને કરાયેલ હત્યાઓનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તામાં ખુલ્લા મંચ પરથી એક નિવેદન આપી રહ્યો છે. તે કહે છે કે ભારતે મારા પર પહેલગામનો આરોપ લગાવ્યો. હવે આખી દુનિયા મારું નામ જાણે છે. ૨૮ મેથી આ નિવેદન છવાઈ ગયું છે. જે મંચથી સૈફુલ્લાહ કસૂરીએ આ વાત કરી, તેની આસપાસ કેટલાય લોકો બેઠેલા દેખાયા. આ આતંકી પહેલાં તો છૂપાઈને ફરતો હતો, પરંતુ હવે સરેઆમ મંચો પર દેખાવા લાગ્યો છે. આપણે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હાડકાં-પાંસળાં ખોખરાં કરી નાખ્યાં, પરંતુ આ આતંકીઓની તસવીર હજુ પણ સાક્ષી પૂરે છે કે પાકિસ્તાન સુધરવાનું નથી. કઈ રીતે શાહબાઝના બે મંત્રી મંચ પર આતંકીઓ સાથે બેઠેલા જોવાયા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો કસૂર જિલ્લો જ્યાં એક જાહેર રેલીમાં સૈફુલ્લાહ સાથે લશ્કરે તૈયબાને બનાવનારા હાફિઝ સઇદનો પુત્ર તલ્હા સઇદ પણ જોવા મળ્યો. તેમની સાથે શાહબાઝ સરકારના બે મંત્રીઓ અને સેનાના પણ કેટલાક લોકો હાજર રહ્યા!
લશ્કરનો કમાન્ડર સૈફુલ્લાહ કસૂરી મંચ પરથી ભાષણ આપતો હતો ત્યારે પાકિસ્તાનનો ખાદ્ય મંત્રી મલિક રશીદ અહમદ ખાન અને પંજાબ વિધાનસભાનો અધ્યક્ષ મલિક મુહંમદ અહમદ ખાન મંચ પર બેસીને તેનું ભાષણ સાંભળતા હતા. પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોના વાર્ષિક સ્મરણોત્સવ યૌમ-એ-તકબીરના અવસરે પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ (પીએમએમએલ) દ્વારા રેલી આયોજિત કરવામાં આવી. આ એ દિવસ છે જ્યારે પાકિસ્તાન પોતાના પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ ઉજવે છે. પરંતુ હંમેશની જેમ આ વખતે પણ ભારત વિરુદ્ઘ પોતાનો નાપાક ઇરાદો જાહેર કર્યો અને તેની સાથે જ આતંકીઓને પાકિસ્તાને પોતાના રાષ્ટ્રીય પ્રતીક ગણાવ્યા. ભીડને સંબોધિત કરતાં આતંકી કસૂરીએ મુદસ્સિર શહીદના નામે બહાવલપુરના ઇલાહાબાદમાં એક સેન્ટર, સડક અને હોસ્પિટલ બનાવવાની યોજનાની જાહેરાત કરી. ગુપ્તચર સૂત્રો અનુસાર મુદસ્સિર અહમદ પહેલગામ નરસંહાર બાદ ભારતના જવાબી ‘ઓપરેશન સિંદૂર’ હુમલામાં માર્યા ગયેલા કેટલાય હાઇપ્રોફાઇલ આતંકવાદીઓમાંનો એક હતો. કસૂરીએ વડાપ્રધાન મોદીના પહેલંના ભાષણનો હવાલો આપતાં કહ્યું કે તે ગોળીઓથી ડરતો નથી. કસૂરીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સમજે છે કે અમે ગોળીઓથી ડરી જઈશું? એ તમારી ભૂલ છે. લશ્કરે તૈયબા આંતરરાષ્ટ્રીય સ્તર પર અને પાકિસ્તાનની અંદર પ્રતિબંધિત છે, પીએમએમએલ જેવા સમૂહોએ તેના નેતૃત્વને રાજકીય અને વૈચારિક પ્રાસંગિકતા બનાવી રાખવામાં સક્ષમ બનાવ્યું છે.
એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે રેલી કરનારા આતંકવાદીમાં પાકિસ્તાની સુરક્ષા દળોની સાથે સાથે સરકારી અધિકારી પણ હાજર હતા. કસૂરી સતત ભારત વિરોધી ટિપ્પણીઓ કરી રહ્યો હતો અને પાકિસ્તાની સરકારના બે મંત્રીઓ ત્યાં જ હાજર હતા. આ બંને મંત્રીઓએ વ્યક્તિગત રૂપે કસૂરીનું મંચ પર સ્વાગત કર્યું અને તેને ભેટ્યા. મંત્રી મલિક રશીદે ખુલ્લેઆમ ઘોષણા કરી કે આજે ૨૪ કરોડ પાકિસ્તાનીઓનું પ્રતિનિધિત્વ હાફિઝ સઈદ એ સૈફુલ્લા જેવા લોકો કરી રહ્યા છે.