New Delhi,તા.5
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ નિયમોમાં મોટો ફેરફાર કરતાં ઇક્વિટી યોજનાઓને સોનું અને ચાંદીમાં 35 ટકા સુધી રોકાણ કરવાની મંજૂરી આપી છે. સાથે જ યોજનાઓના વર્ગીકરણમાં કડકાઈ અને ઓવરલેપ મર્યાદિત કરવા માટેના નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આથી પારદર્શિતા વધશે અને રોકાણકારોને વધુ સ્પષ્ટતા મળશે.
ભારતના મૂડીબજારના નિયામક સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે મોટા બદલાવોની જાહેરાત કરી છે. નવા નિયમો મુજબ હવે સક્રિય રીતે સંચાલિત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પોતાની કુલ સંપત્તિનો વધુમાં વધુ 35 ટકા હિસ્સો સોના અને ચાંદીમાં રોકી શકશે. સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvITs) માં પણ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ બદલાવ એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે સોનાં જેવા `હાર્ડ એસેટ’ ની માંગ વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફમાં ઇક્વિટી ફંડની સરખામણીએ વધુ નાણાં રોક્યાં હતા, જે બજારમાં અસ્થિરતા વચ્ચે સુરક્ષિત વિકલ્પોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.
શું બદલાયું છે?
હમણાં સુધી ઇક્વિટી ફંડ મુખ્યત્વે શેરોમાં રોકાણ કરતા હતા અને મર્યાદિત હિસ્સો મની માર્કેટ અથવા લિક્વિડ સાધનોમાં રાખતા હતા. નવા નિયમો મુજબ પોતાના મુખ્ય રોકાણ હેતુને પૂર્ણ કર્યા બાદ બાકી રહેલા હિસ્સામાંથી 35 ટકા સુધી સોનું અને ચાંદીમાં પણ રોકાણ કરી શકાશે.
આનો અર્થ એ નથી કે ઇક્વિટી ફંડ હવે સોનાં ફંડ બની જશે. તેમની મુખ્ય ઓળખ ઇક્વિટી ફંડ તરીકે જ રહેશે, પરંતુ રોકાણના વિકલ્પો વધશે. આથી ફંડ મેનેજર બજારની સ્થિતિ અનુસાર વધુ સારું વૈવિધ્યકરણ (ડાયવર્સિફિકેશન) કરી શકશે.
SEBI એ હાઇબ્રિડ ફંડને પણ સોના અને ચાંદીના ઇટીએફમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે.
લાઇફ-સાયકલ ફંડને મંજૂરી
સેબીએ નવી શ્રેણી `લાઇફ સાયકલ’ અથવા `ટારગેટ-ડેટ’ ફંડને મંજૂરી આપી છે. આ ફંડ ખાસ કરીને લક્ષ્ય આધારિત રોકાણ (જેમ કે નિવૃત્તિ યોજના) માટે હશે. આ ફંડની નક્કી મુદત 5 થી 30 વર્ષ વચ્ચે રહેશે.
એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એક સમયે વધુમાં વધુ 6 સક્રિય લાઇફ સાયકલ ફંડ શરૂ કરી શકશે. આ ફંડોને પોતાની કુલ સંપત્તિમાંથી 10 ટકા સુધી સોનું-ચાંદીના ઇટીએફ, કોમોડિટી ડેરિવેટિવ અને ઇન્ફ્રા ટ્રસ્ટમાં રોકાણ કરવાની મંજૂરી મળશે.
સોલ્યુશન-ઓરિએન્ટેડ યોજનાઓ બંધ
સેબીએ સોલ્યુશન-ઓરિએન્ટેડ યોજનાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલની યોજનાઓને નવા નિયમો મુજબ સમાન અન્ય યોજનાઓમાં વિલીન કરવી પડશે. આ માટે નિયામક મંજૂરી જરૂરી રહેશે.
યોજના વર્ગીકરણમાં કડકાઈ
સેબીએ માત્ર રોકાણની છૂટ આપી નથી, પરંતુ યોજનાઓના વર્ગીકરણને પણ વધુ કડક બનાવ્યું છે. હેતુ એ છે કે અલગ-અલગ ફંડ કેટેગરી વચ્ચે અનાવશ્યક ઓવરલેપ ઘટે અને રોકાણકારોને સ્પષ્ટ ખબર રહે કે તેઓ કયા પ્રકારના ફંડમાં રોકાણ કરી રહ્યાં છે.
હવે વેલ્યુ અને કોન્ટ્રા ફંડ બંને ચલાવી શકાય, પરંતુ તેમના પોર્ટફોલિયોમાં 50 ટકાથી વધુ ઓવરલેપ ન હોવો જોઈએ. તેવી જ રીતે થીમેટિક ફંડને પણ અન્ય ઇક્વિટી કેટેગરી સાથે 50 ટકાથી વધુ સમાનતા રાખવાની મંજૂરી નહીં હોય. મોટા કેપ ફંડ આ નિયમથી બહાર રહેશે.
થીમેટિક ફંડને નવા નિયમો મુજબ પોતાને ઢાળવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય ફંડને છ મહિનામાં અનુપાલન કરવું પડશે. સાથે જ એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ દર મહિને પોતાની વેબસાઇટ પર કેટેગરી મુજબ ઓવરલેપની માહિતી જાહેર કરવી પડશે.
રોકાણકારો માટે તેનો શું અર્થ?
નિષ્ણાતોનું કહેવું છે કે આ બદલાવોથી ઇક્વિટી અને હાઇબ્રિડ ફંડને વધુ લવચીકતા મળશે. સોના અને ચાંદીમાં રોકાણની મંજૂરીથી પોર્ટફોલિયોમાં જોખમનું સંતુલન વધુ સારી રીતે થઈ શકશે, ખાસ કરીને ત્યારે જ્યારે શેરબજારમાં અસ્થિરતા હોય.
બીજી તરફ, ઓવરલેપ પર કડકાઈ અને પારદર્શિતા વધારવાના પગલાંથી રોકાણકારોને સ્પષ્ટતા મળશે કે તેમનું નાણું ક્યાં અને કેવી રીતે રોકાઈ રહ્યું છે. ઝડપથી વધતા 900 અબજ ડોલરના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ બદલાવ લાંબા ગાળે રોકાણકારો માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
સોના-ચાંદીના મૂલ્યાંકનનો નવો નિયમ
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પાસે રહેલા ભૌતિક સોના અને ચાંદીનું મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. 1 એપ્રિલ 2026થી સોના-ચાંદીની કિંમત નક્કી કરવા માટે માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવતા `પોલ્ડ સ્પોટ પ્રાઈસ’ નો ઉપયોગ થશે. આ જ કિંમતો ડેરિવેટિવ કરારોના સેટલમેન્ટ માટે વપરાય છે, જેમાં વાસ્તવિક સોનું અથવા ચાંદીની ડિલિવરી થાય છે.
હાલ સુધી ગોલ્ડ-સિલ્વર ઇટીએફ પોતાની હોલ્ડિંગનું મૂલ્ય લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (કઇખઅ) ની એએમ ફિક્સિંગ કિંમતના આધારે નક્કી કરતા હતા, જેને રૂપિયામાં રૂપાંતર કરીને અને કર તથા અન્ય ખર્ચ ઉમેર્યા બાદ સ્થાનિક કિંમત નક્કી થતી હતી. નવા નિયમથી મૂલ્યાંકન સ્થાનિક બજારની નજીક રહેશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં નોંધણી નંબર ફરજિયાત
સેબીએ તમામ નોંધાયેલ માર્કેટ મધ્યસ્થી અને તેમના એજન્ટોને સૂચના આપી છે કે તેઓ સોશિયલ મીડિયા પર શેરબજાર સંબંધિત કોઈપણ સામગ્રી પોસ્ટ કરતી વખતે પોતાનું નોંધાયેલ નામ અને નોંધણી નંબર સ્પષ્ટ રીતે દર્શાવે.
આ નિયમ સ્ટોક બ્રોકર, મ્યુચ્યુઅલ ફંડ, એસેટ મેનેજમેન્ટ કંપની, રોકાણ સલાહકાર, સંશોધન વિશ્લેષક, વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) અને પોર્ટફોલિયો મેનેજર સહિત તમામ પર લાગું પડશે.
જો કોઈ સંસ્થા પાસે એકથી વધુ નોંધણી હોય તો તેને પોતાની વેબસાઇટની લિંક અને સંબંધિત વિગતો પણ આપવી પડશે. આ નિયમ 1 મે 2026થી અમલમાં આવશે. તેનો હેતુ ખોટા અને અનરજિસ્ટર્ડ લોકો પાસેથી રોકાણકારોને સુરક્ષિત રાખવાનો છે.

