આજે ચૈત્રી વદ એકાદશી એટલે કે વરુથીની એકાદશી અને આ દિવસે વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો જન્મ થયો હોવાથી, તમામ પુષ્ટિ પંથના વૈશ્નવો માટે એક બહુ મોટાં ઉત્સવનો દિવસ છે, પરંતુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ સ્થાપેલ આ પુષ્ટિ માર્ગ ક્યારે? અને શું કામ આટલો પ્રસારિત થયો? એમનાં જન્મની શું કથા છે! અને અન્ય સંપ્રદાયથી એ કંઈ રીતે જુદો પડે છે?
વિશ્વને વૈષ્ણવતાનો દિવ્ય સંદેશ આપનાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યનુ પ્રાક્ટય સં. ૧૫૩૫ ચૈત્ર વદી એકાદશીએ ગુરુવારે એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષ્મણ ભટ્ટ શ્રી ઈલ્લમ્માગારુજીને ત્યાં હાલના છત્તીસગઢના ચંપારણ્ય થયો હતો. એમનાં જન્મ સાથે એક વાત જોડાયેલી છે, કે અધૂરા માસે જન્મ થતાં બાળક મૃતવત્ જણાતાં માતાપિતા આઘાત સાથે બાળકને ખીજડાનાં વૃક્ષની બખોલમાં મૂકીને હિંસક પશુઓથી બચાવવાં વૃક્ષની ફરતે અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતાં. આ જ દિવસે શ્રીજીબાવાનું મુખારવિંદ પ્રાક્ટય જતીપુરામાં વ્રજમાં ગિરિરાજ એટલે કે ગોવર્ધન પર્વત ઉપર થયું હતું. પ્રભુની કૃપા મેળવવાનો સરળ માર્ગ શ્રીવલ્લભે જગતને આપ્યો છે. આજે દેશભરમાં કરોડો વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં છે, અને શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર ચારેબાજુ ગુંજે છે. પાંચ વર્ષની નાની વયે જ ચાર વેદ, ઉપનિષદ અને છ દર્શનનો અભ્યાસ કર્યો હતો. તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીનાં તીર્થોમાં ત્રણવાર પદ યાત્રા કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ્ ભાગવતની કથા અને પારાયણ કર્યા, આજે એ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાય છે.
પણ આપણને પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગ કે સંપ્રદાય ની સ્થાપના શું કામ થઈ? તો એક હજાર વર્ષ પહેલાં જ્યારે વૈદિક યજ્ઞોમાં હિંસા સામે પ્રશ્નો ઊભો થયાં, ત્યારે વિષ્ણુ તેમજ એમનાં વિવિધ અવતારોની અર્ચના,ઉપાસના,ષોડશોપચાર પૂજાનો વૈષ્ણવમાર્ગ વિકસ્યો. પછી એની પરંપરામાં શ્રી રામાનુજાચાર્યનો ‘શ્રીસંપ્રદાય’ એટલે કે વેદાંત સિદ્ધાંત કે જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત પર આધારિત સંપ્રદાય કહેવાય છે. શ્રી વિષ્ણુસ્વામીનો ‘ભક્તિસંપ્રદાય, કે જે વેદાંત સિદ્ધાંતથી પણ આગળ વધી સિદ્ધી નહીં પણ ‘શુદ્ધાદ્વૈત એટલે કે સંસારીઓમાં
ભક્તની શુદ્ધિને મહત્વ આપતો સંપ્રદાય શરૂ થયો. શ્રી નિંબાર્કાચાર્યનો ‘ભક્તિસંપ્રદાય તો વેદાંત-સિદ્ધાંતથી આગળ વધી દ્વૈતાદ્વૈત એટલે કે જે દ્વૈત છે એ જ અદ્વૈત છે, સાકાર થી નિરાકાર તરફની ગતિ કરાવતો અનૂભૂતિથી ભરેલો સંપ્રદાય. શ્રી મધ્વાચાર્યનો ભક્તિસંપ્રદાય’ વેદાંત સિદ્ધાંત કે જે માત્ર સાકાર અને સગુણ બ્રહ્મની ઉપાસના પર એટલે કે હું અને તું એમ દ્વૈત’ અને એ સમયમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પુષ્ટિસંપ્રદાયનો અગિયારમી સદીથી પંદરમી સદી સુધીમાં વિકાસ થયો, અને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો. બીજા ભક્તિસંપ્રદાયોમા સાધનો નો આગ્રહ પણ છે, અને અનુસરનાર માટે થોડી મર્યાદા પણ છે! આ બધાં સંપ્રદાય આકરી અર્ચના, ઉપાસના, કે પૂજાનાં માર્ગ છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજીનો માર્ગ, ‘નિ:સાધન માર્ગ’ છે, એમાં એવી કોઈ આકરી તપશ્ચર્યા કે નિયમો નથી, જે સંસારી નિભાવી શકે નહીં,જોકે તે પણ નવધા ભક્તિને અનુસરતી સાધના પ્રણાલીનું જ આહવાન કરે છે. પરંતુ અંતમાં ભક્ત પુષ્ટ થતો થતો એટલે કૃપાથી પૂર્ણ પોષણ મેળવીને ભગવાન સાથે એકાકાર થઈ જાય છે, એટલે ભગવત્ તત્વને પામી જાય છે.
મહાપ્રભુ વલ્લભાચાર્યજી પર લખવું હતું માટે દ્વારકેશલાલજી નું પ્રવચન સાંભળ્યું. એમણે કહ્યું કે પરમાત્મા લૌકિક દુઃખ આપીને આપણો સંસાર પ્રત્યે અનાસક્તિ ભાવ જગાડે છે. ચિંતનનાં જીવે અહીં પણ ચિંતન કર્યું, કે આનો અર્થ એમ થાય કે દુઃખથી ગભરાવું નહીં, બસ પરમાત્મા તરફથી આપણાં વૈરાગ્યની ભૂમિકા તૈયાર થાય છે, અને આપણે એની પર ચાલી એની સમિપે પહોંચવાનું છે. બીજું એમણે કહ્યું કે નિત્ય થતી પાઠ પૂજા એ ખેતર કે બાગ ફરતે કરાતી વાડ જેમ કાળથી આપણું રક્ષણ કરે છે, અને આપણને કળિયુગ એટલો સ્પર્શતો નથી! એમણે તો એ પુષ્ટિ માર્ગ માટે કહ્યું, પણ ટૂંકમાં ઈશ્વર એક જ છે, એટલે ઈશ્વરનાં કોઈ પણ સ્વરૂપ માટે થતાં પાઠ પૂજા આપણું કાળથી રક્ષણ કરશે, અને કળિયુગથી દૂર રાખશે, તો જેટલું થાય એટલું હરિનામ સ્મરણ કે ભજન કરીએ. આમ તો અમારા ઘરે હિન્દુ શાંકર મત મુજબ પંચદેવની પૂજા છે, પણ શાલિગ્રામની જગ્યાએ બાલ કૃષ્ણનું લાલજી સ્વરૂપ છે, અને એને ઉઠાડવાથી શરું કરી સ્નાન શણગાર ભોજન કઢિયેલ દૂધ પીવડાવી પોઢાડવા સુધીની દૈનિક ભક્તિ થાય છે, એટલે તત્વતઃ શ્રીકૃષ્ણ પ્રેમાવતાર છે, અને એ આપણા ભાવને સ્વીકારે તો જીવ પુષ્ટ થાય છે, એ સત્ય સમજાય છે.
ભારતીય સંસ્કૃતિ ઋષિ પરંપરા ધરાવે છે, અને એને અનુસરે છે, એટલે અહીં ધર્મ અને આધ્યાત્મ એ બંને એટલી હદે જોડાયેલ છે કે, એને કારણે ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિ માટે સંન્યાસ એ જ સર્વોત્તમ માર્ગ છે, એવી એક માન્યતા એ સમયના સમાજમાં પ્રચલિત હતી. આ ઉપરાંત ત્યારે એ સમયના સમાજમાં મુસલમાનોનાં નવાબનું સામ્રાજ્ય હતું, અને હિન્દુ સ્ત્રીઓનું એમની બેરહમીથી ડરીને ઘરની બહાર નીકળવાનું બંધ કરી હતું! ત્યાં ધર્મ માટે મંદિર કે અન્ય યજ્ઞ યાગ થઈ શકતાં નહોતાં! અને ત્યારે વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ પુષ્ટિ માર્ગને પ્રચલિત કર્યો, જેમાં ઘરમાં જ ઠાકોરજીની પૂજા અર્ચના કરી, ભગવાન પ્રત્યેનાં પુષ્ટિ ભાવનું પોષણ મેળવવાનું હતું! એટલે કે સંન્યાસનાં અદ્વૈત સિધ્ધાંતની બદલે તું અને હું એમ દ્વૈતનું અનુસંધાન કરવાનું હતું! પોતે જે કક્ષાએ છે, ત્યાંથી જ તેને ઈશ્વર તત્વને પોકારવામાં સરળતા રહેતી. ઉપરથી પોતાની જેવી જ જૈવિક ક્રિયાઓ કરતાં કરતાં એને ભજી એને મેળવવાનો હોય! એટલે અન્ય સંપ્રદાયમાં ઈશ્વર તત્વ વિશેની સમજ સહજ બને, જ્યારે પુષ્ટિ માર્ગમાં ભક્તિ કરનારો જીવ કે બ્રહ્મ સંબંધી જીવ ઘણો પુષ્ટ થાય છે, અથવા તો ઈશ્વરને પણ પોતાનાં વિશે વિચારતાં કરી કૃપા પ્રાપ્ત કરીને એ ભગવાનને મેળવી લે છે, એનું સાનિધ્ય મહેસુસ કરે છે. ટૂંકમાં નિરાકાર ને નિર્ગુણ બ્રહ્મની વ્યાપકતા તો દરેક સમજી શકે નહીં, અને બની શકે એમાં બ્રહ્મ નિર્ગુણ હોવાથી નિરસતા પણ આવે! પણ આ રીતે દ્વૈતનું અનુસંધાન કરીએ, તો ભક્તિ રસને કારણે સાકાર અને સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર જીવ ઝડપથી કરી શકે છે, એટલે કે પાઠ પૂજા દ્વારા ભગવાન સાથેનો સંવાદથી ભગવાન હોવાની વાતની એને પ્રતિતિ થાય છે, અને એ ભાવથી પુષ્ટ બને છે.
પુષ્ટિ માર્ગનાં સાધકો કે ભક્તો મૂળ જય શ્રીકૃષ્ણ અને શ્રી કૃષ્ણ શરણં મમ, કે ૐ નમો ભગવતે વાસુદેવાય! એટલે કે કૃષ્ણ કનૈયાની ભક્તિ કરનારા છે. પુષ્ટિ એટલે પ્રેમથી, સ્નેહથી,એકાગ્ર મનથી સતત ચિંતન કરતાં મનન કરતાં કરતાં ઈશ્વરને ભજવું, તેમની સેવા કરવી, આ પુષ્ટિ માર્ગનો ધર્મ અથવા પ્રેમ ભક્તિ કહેવાય છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ઘરે રહીને શ્રી ગોકુલ નિવાસી શ્રીનાથજીની નિરંતર તન,મન,ધન અને હ્ર્દયની ભાવભરી લાગણીથી સેવા કરીને પ્રભુને રિઝવવાં.આવી પ્રેમ ભક્તિ દ્વારા જ ઇશ્વરની કૃપા આપણાપર ઉતરે છે,અને સંસારના દરેક બંધનોથી આપણને છોડાવે છે. પુષ્ટિ ધર્મનાં ઈષ્ટદેવ શ્રીનાથજી છે, અને એમની માટે શ્રીનાથજી જ સર્વેસર્વા છે! તેમની કૃપા વગર જીવન અસાધ્ય અને અપૂર્ણ રહે છે. જ્યારે મનુષ્યનાં હ્રદયમાં પુષ્ટિ ભાવ સિદ્ધ થઇ જાય છે, ત્યારે તે પરમ ભગવદીય વૈષ્ણવ બની જાય છે. જીવનમાં બીજાને સુખ આપવાનું ધ્યેયને જ પોતાનું સુખ માને છે, પરમાર્થમયી જીવન હોય છે. પુષ્ટિ ધર્મમાં પોતાનું સર્વ અર્પણ કરી દેવાની ભાવના મુખ્ય છે, અને તે જ સાચો પુષ્ટિ માર્ગી કહેવાય છે. તો આ છે દ્વૈતનું મહાત્મ્ય ગાતાં પુષ્ટિ સંપ્રદાયની કથા, તો બોલો શ્રીકૃષ્ણ શરણં મમ શ્લોકને વિશ્વમાં ગુંજતો કરનારા વલ્લભાધિષની જય!
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

