Hyderabad,તા.30
હૈદરાબાદમાં એક વૃદ્ધ દંપતી તેમનાં પુત્રનાં મૃતદેહ સાથે ચાર દિવસ સુધી રહ્યું હતું. તેઓ તેને ભોજન અને પાણી માટે સતત બોલાવતાં રહ્યાં હતાં. ક્યારેક તેણે ખાવાનું પૂછયું તો ક્યારેક તેણે પાણી માટે બોલાવ્યો, પરંતુ દરેક વખતે તેનાં પુત્ર તરફથી તેનો કોઈ જવાબ ન આવ્યો હતો.
તે કેવી રીતે આવી શકે કારણ કે તેનો ચાર દિવસ પહેલાં જ શ્વાસ બંધ થઈ ગયો હતો. માતા-પિતા જોઈ શક્યાં ન હતાં અને તેમનાં પુત્રના મૃત્યુ વિશે તેમને કોઈ ખ્યાલ નહોતો.
જ્યારે પુત્રનો મૃતદેહ સડવા લાગ્યો અને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓએ પોલીસને બોલાવી હતી. આ પછી જ્યારે પોલીસ ઘરે પહોંચી તો પરિસ્થિતિ જોઈને બધા ચોંકી ગયાં હતાં.
હૈદરાબાદના નાગોલ પોલીસ સ્ટેશનના અધિકારી સૂર્ય નાયકે જણાવ્યું કે, એક વૃદ્ધ દંપતી તેમનાં 30 વર્ષનાં પુત્ર સાથે બ્લાઇન્ડ્સ કોલોનીમાં રહેતાં હતાં. માતાપિતા બંને અંધ હતાં, ચાર દિવસ પહેલાં તેમનાં પુત્રનું અચાનક મૃત્યુ થયું હતું.
પરંતુ અંધ માતા-પિતાને આ વિશે ખબર ન હતી. તેણે તેનાં પુત્રને ખોરાક અને પાણી માટે બોલાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવતી હતી, ત્યારે પાડોશીઓની સૂચના પર પોલીસ પહોંચી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, એવું લાગે છે કે યુવાનનું ચાર-પાંચ દિવસ પહેલાં ઊંઘમાં મૃત્યુ થયું હતું. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે દંપતી અર્ધબેભાન અવસ્થામાં હતું. તેમને બચાવી લેવામાં આવ્યાં અને તેમને ખોરાક અને પાણી આપવામાં આવ્યું હતું.
યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ અંગે શહેરમાં રહેતાં દંપતીના મોટા પુત્રને જાણ કરવામાં આવી હતી. તેને તેનાં માતા-પિતાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.