એક સંત. અત્યંત પ્રભુભક્ત. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા જોરદાર. ગમે તેવી ઘટનામાં પણ તેમની શ્રદ્ધામાં હાનિ ના થાય. એકવાર તેઓ અનેક યાત્રિકો સાથે જહાજમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક જહાજ હાલક-ડોલક થવા લાગ્યું. સમુદ્રમાં મોજા જોર-જોરથી ઉછળવા લાગ્યા. મોજાનું પાણી ઉછળી-ઉછળીને જહાજમાં ભરાવા લાગ્યું. જહાજ ક્યારે ડુબી જશે તે કંઈ જ કહી શકાય તેવું ન હતું.
જહાજમાં બેસેલા સૌ યાત્રિકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! તું અમને બચાવી લે. અરે, જહાજમાં કેટલાક નાસ્તિકો પણ બેઠા હતા. તે પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ! મૃત્યુ સામે દેખાય ત્યારે તો સૌ ભગવાનને માનવા જ લાગે ને ! સંત એ વખતે પુસ્તકનું વાંચન કરી રહ્યા હતા. તોફાન આવ્યા પછી પણ તેઓ તો પોતાનાં વાંચનમાં જ ડૂબેલા હતા. જાણે તોફાનથી તેમને કોઈ ફરક જ ના પડયો હોય ! તેમને વાંચતા જોઈ આજુ-બાજુવાળાં અકળાવા લાગ્યા. એક યુવાને તો હિંમત કરીને કહી દીધું કે તમે સંત છો કે કોણ છો ? આટલું ભયંકર મરણાંત તોફાન આવ્યું છે, છતાં તમે તમારાં પુસ્તકમાં પાગલ થઈને બેઠા છો. હવે પુસ્તક બાજુમાં મૂકી પ્રાર્થના કરો પ્રાર્થના ! સંત છો છતાં પ્રાર્થના કરતા નથી !
તેમણે સહજ સ્મિત સાથે યાત્રિકોને કહ્યું ઃ ‘હું પ્રાર્થના એટલા જ માટે નથી કરતો, કારણ કે હું સંત છું. મારો દ્રષ્ટિકોણ તમે સમજો. હું તો એ વિચારું છું કે પ્રભુ જે ઈચ્છતા હશે, તેવું હું કરીશ. અર્થાત્ અત્યારે પ્રભુ મને ડૂબાડવા માંગતા હશે તો હું તૈયાર છું. હું શા માટે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઉ ? અને તેને બચાવવો હશે તો તે જાતે જ તોફાન સંહરી લેશે. પછી હું શા માટે પ્રાર્થના કરું ? અને સૌથી મહત્વની વાત તો આ છે કે મારે ઉપરવાળાની નહીં, પરંતુ મારી ઈચ્છા છે, એટલે જીવવું છે. અર્થાત્ મારી ઈચ્છા પ્રમાણે પ્રભુએ કરવાનું હોય તો હું પ્રાર્થના કરું ? અન્યથા શા માટે કરું. મારે તો ઉપરવાળો જે કરે તે મને મંજૂર છે. એટલે જ હું પ્રાર્થના નથી કરતો.લ્લ સંતનું મગજમાં ન બેસે તેવું રહસ્ય સાંભળી સૌ યાત્રિકો અવાક થઈ ગયા.