ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે. તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા–તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.
એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણના નિયમો વાંચી રહ્યા હતા.તેમની પાસે જઇને આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે મૃત્યુ જ્યારે દરવાજા ઉપર આવીને ઉભું રહે છે ત્યારે આ વ્યાકરણના સૂત્રો કામમાં નહી આવે.હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તૂં એક નિરાકાર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.તમે પોતાની આત્મા અને બુદ્ધિને ભગવાનના ભજનમાં લગાવો.તેમનો આ જ ઉપદેશ ભજ ગોવિંદમ્ નામથી પ્રખ્યાત થયો જેમાં જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર અદ્વેત બ્રહ્મના ઉપાસક હતા.અગાઉ આપણે શ્ર્લોક ૧ થી ૯ વિશે ચિંતન કર્યું છે હવે આગળના શ્ર્લોક જોઇએ..
વયસિ ગતે કઃ કામવિકારઃ શુષ્કે નીરે કઃ કાસારઃ
ક્ષીણે વિત્તે કઃ પરિવારો જ્ઞાતે તત્વે કઃ સંસાર ૧૦
જો અમારૂં શરીર કે મગજ સ્વસ્થ નથી તો અમો શારીરિક સુખ ભોગવી શકતા નથી,યુવાવસ્થા પુરી થતાં મનુષ્યની કામવાસના સૂકાઇ જાય પછી કામવિકાર કેવો? યુવાની જ્યારે તીવ્ર ગતિથી આગળ વધી રહી હોય છે ત્યાં સુધી વાસનાઓ અને લાલસાઓમાં તીવ્રતા હોય છે.ધીરે ધીરે આ જોશ ઠંડો પડી જાય છે, શરીર અશક્ત બની જાય છે પછી વાસનાઓ ધીરે ધીરે ઓછી થાય છે.જેવી રીતે જળ સુકાઈ જાય પછી જળાશયનો કોઇ અર્થ રહેતો નથી,તેવી જ રીતે ધન ઓછું થતાં પરિવાર પણ આપણી સાથે રહેતો નથી. ધન જતાં સમગ્ર પરીવાર વિખરાઇ જાય છે તેવી જ રીતે પરમાત્મા તત્વનું જ્ઞાન થયા પછી સંસાર કેવો? એટલે કે પરમાત્મા-તત્વનું જ્ઞાન થયા પછી આ વિચિત્ર સંસારના બંધનોથી મુક્તિ મળી જાય છે.બાહ્ય આકર્ષણોમાંથી મનને બચાવીને,અજ્ઞાનને દૂર કરીને મનને નિર્મળ અને નિશ્ચલ રાખવાથી જ સત્ય પરમાત્માનાં દર્શન થાય છે,આ જ સત્ય બ્રહ્મ-તત્વ કહેવાય છે.જેને બ્રહ્મતત્વનું જ્ઞાન થઇ જાય છે તે સાંસારીક બંધનોથી મુક્ત થઇ જાય છે,પછી તેનામાં અને પરમાત્મામાં કોઇ અંતર રહેતું નથી.
મા કુરુ ધન-જન-યૌવન-ગર્વં,હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્
માયામયમિદમખિલં હિત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા..૧૧
પોતાની પાસેનાં ધન-પરીવાર અને યૌવનના કારણે ઘમંડ ના કરો કારણ કે પલભરમાં આ તમામનો નાશ થઇ જાય છે.જે કંઇપણ તમારી આસપાસ છે તે તમામ મિથ્યા છે-એ વાતને બરાબર સમજી લો.આવા જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે આ સઘળું જગત માયામય છે એમ સમજી બ્રહ્મને જાણીને બ્રહ્મપદ(બ્રાહ્મીસ્થિતિ) પ્રાપ્ત કરી શકશો.મારો પરીવાર,મારી ચીજવસ્તુઓ,મારી ખુશીઓ..આમ મારૂં મારૂં કરતાં મનુષ્ય સંસારની જાળમાં એવો ફંસાઇ જાય છે કે તે પોતાના આત્માથી દૂર ચાલ્યો જાય છે.તેના વિચાર,ચિંતન વગેરે ફક્ત તેની ભૌતિકતા સુધી જ સિમિત રહી જાય છે,તે ભૂલી જાય છે કે આ સંસાર ક્ષણભંગુર છે,કોઇપ્ણ સબંધ અંત સમય સુધી સાથ આપી શકે તેમ નથી.
આ શ્ર્લોકના માધ્યમથી મનુષ્યને સાવધાન કરવામાં આવે છે કે હે અજ્ઞાની મનુષ્ય ! આવા નશ્વર સંસારને અનશ્વર માનીને તૂં ભ્રમિત ના થઇશ.લક્ષ્મી ચંચળ હોય છે.ધન-યૌવન-અધિકાર અને અવિવેક- આ ચાર મનુષ્યના પતનના મૂળ કારણ છે એટલે તેના ભ્રમમાં ના ફસાઇશ.વિવેકી બનીને વિચાર કર કે શું શાશ્વત છે અને શું નાશવાન છે? જે સત્ય છે,અમર છે,અનશ્વર છે એવા બ્રહ્મપદને ઓળખી લો.(૧૧)
દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસન્તૌ પુનરાયાતઃ
કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ તદપિ ન મુચ્ચત્યાશાવાયુઃ ૧૨
દિવસ અને રાત્રિ,સવાર અને સાંજ,શિશિર અને વસંત ઋતુનું આવાગમન ચાલતું રહે છે.સમયની ગતિમાં જીવન પણ સમાપ્ત થઇ જાય છે તેમછતાં મનુષ્યની વાસનાઓનો અંત આવતો નથી.કાલચક્ર ફરતું રહે છે અને અમે ક્ષણે ક્ષણે મૃત્યુની નજીક જઇ રહ્યા છીએ.ભવિષ્ય વર્તમાનમાં બદલાઇ જાય છે તો વર્તમાન પણ ધીરે ધીરે ભૂતકાળમાં પરિવર્તિત થઇ જાય છે.સમય નિરંતર ગતિશીલ છે તે કોઇના માટે રોકાતો નથી-આ બધુ જાણવા છતાં પણ મનુષ્યની કામનાઓની જ્વાળાઓ ધધકતી રહે છે,મનુષ્ય ક્યારેય તૃપ્ત થતો નથી.સંસારના માટે આદર્શ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ સુવર્ણના હરણની ઘટના દ્વારા ઉદાહરણ રાખ્યું છે.વાસ્તવમાં સોનાનું હરણનું અસ્તિત્વ જ હોતું નથી તેવી જ રીતે મનુષ્યની લાલસાઓનો અંત કે તેનાથી તૃપ્તિ શક્ય નથી પરંતુ અજ્ઞાનવશ તે નિરંતર આ મૃગતૃષ્ણા પાછળ દોડે છે.જ્યારે તે દોડીને થાકીને જમીન ઉપર પડી જાય છે ત્યારે તે કાળનો કોળીયો બની જાય છે.(૧૨)
કા તે કાન્તા ધનગતચિન્તા વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા
ત્રિજગતિ સજ્જન સંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા..૧૩
હે વ્યાકુળ મનુષ્ય ! તમે પત્ની-ધન વગેરે માટે ચિંતા શા માટે કરો છે? તમારૂં માર્ગદર્શન કરવાવાળા પરમાત્માનું ચિંતન કરો.ત્રણે લોકમાં સત્સંગ જ ભવસાગર તરવા માટેની એકમાત્ર નૌકા છે.શું તારો કોઈ નિયંતા નથી? સાંસારીક મોહમાયા-ધન અને સ્ત્રીના બંધનમાં ફંસાઇને ખોટી ચિંતા કરીને અમોને કંઇજ પ્રાપ્ત થવાનું નથી.શા માટે અમે પોતાને આ ચિંતાઓમાં ઘેરાયેલા રાખીએ છીએ? શા માટે અમે સંત-મહાત્માઓ સાથે જોડાઇને તેમના ઉપદેશોનું પાલન કરીને અમે સાંસારીક બંધનો તથા ખોટી ચિંતાઓથી મુક્ત થતા નથી?
આ શ્ર્લોકમાં વાતુલનો અર્થ છે જે પોતાના લક્ષ્યથી દૂર થઇ ગયો છે.માનવમાત્રનું એક માત્ર લક્ષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનું છે પરંતુ માનવ પોતાના લક્ષ્યને ભુલીને કામિની-કંચન અને અન્ય વાસનાઓ માં ડૂબીને તેને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લે છે અને પોતાના અસલ લક્ષ્યથી દૂર થઇ જાય છે એટલે હે માનવ તું પોતાની ધન-દૌલતના વિશે નિરંતર ચિંતામગ્ન ના રહીશ.જે પોતાના મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે તેનો વિવેક જાગૃત થાય છે અને તેને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને આ બધુ સજ્જનોના સંગથી સંભવ બને છે.સજ્જનો સંસારમાં રહેવા છતાં સંસારથી જલકમળવત્ રહે છે.(૧૩)
જટિલો મુણ્ડી લચ્ચિત કેશઃ કાષાયામ્બર-બહુકૃતવેષઃ
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢઃ ઉદરનિમિત્તં બહુકૃતવેષઃ ૧૪
કોઈ સાધુ જટાધારી,કોઈ માથું મુંડાવેલો,કોઈએ ચૂંટીને માથાના વાળ જેણે કાઢી નાખ્યા છે તેવો તો વળી કોઈ ભગવાં વસ્ત્રધારી-પેટને ખાતર દરેકે અવનવા વેશ ધારણ કરેલ છે તે તમામ પોતાનું પેટ ભરવા માટે જાતજાતના રૂપ ધારણ કરે છે.તેઓ આંખોની આગળ જે સત્ય છે તેને ન જોઇ શકનારા મૂર્ખ છે.
આ ચૌદમા શ્ર્લોકથી શરૂ કરી કુલ ચૌદ શ્ર્લોકોને આદિ શંકરાચાર્યના ચૌદ શિષ્યોએ કહ્યા છે.તેઓ પોતાના ગુરૂની જેમ જ વિદ્વાન અને મહાન પંડીત હતા.આજની પેઢી ઇચ્છે છે કે ઓછામાં ઓછો પરીશ્રમ કરીને વધુમાં વધુ સુખ-સંપત્તિ મળે,તેના માટે તેઓ ગમે તે હદ સુધી ખોટી નીતિઓ અપનાવવા તૈયાર થાય છે.કેટલાક પોતાના કર્તવ્ય છોડીને સંન્યાસી બની જાય છે.આ શ્ર્લોકમાં શંકરાચાર્યના સૌથી મુખ્ય શિષ્ય પદ્મપાદે ભગવા વસ્ત્ર ધારણ કરી લોકોની માન્યતાઓ અને મનોવિજ્ઞાનનો ખોટો ફાયદો ઉઠાવનારથી લોકોને સાવધાન કર્યા છે.(૧૪)
અઙ્ગં ગલિતં પલિતં મુણ્ડં દશનવિહીનં જાતં તુણ્ડમ્
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં તદપિ ન મુચ્ચતિ આશાપિણ્ડમ્ ૧૫
શરીરમાં ઘડપણ આવી ગયું છે,વાળ સફેદ થઇ ગયા છે,દાંત પડી ગયા છે,વૃદ્ધ લાકડીનો સહારો લઈને હરેફરે છે તો પણ તેમની ઇચ્છાઓ પુરી થતી નથી.ભૌતિક સુખ-લાલસાઓનો કોઇ અંત નથી.આ સુખોની તરફ દોડતા મનને રોકવું સહેલું નથી હોતું એટલે જ જ્ઞાનીજનોએ કહ્યું છે કે બાળપણથી જ ઇચ્છાઓને વશમાં કરવી જોઇએ.જોઇએ.મનની લાલસાઓ જ અશાંતિને જન્મ આપે છે,મનનો સંયમ જ ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખી શકે છે.અમે મનના દાસ ના બનીએ પરંતુ મન જ અમારૂં દાસ બને એટલે કે મનમાં જેવી ઇચ્છા જાગૃત થાય તે જ સમયે ઇમાનદારીથી વિચાર કરવો જોઇએ કે આ ઇચ્છાની પૂર્તિ કરવાથી અમારૂં શું સારૂં થવાનું છે? જવાબ નકારાત્મક મળે તો તે ઇચ્છાનો ત્યાગ કરી દેવાથી જ અમારૂં કલ્યાણ સંભવ છે.આ શ્ર્લોકમાં શંકરાચાર્યના સૌથી મુખ્ય શિષ્ય તોટકાચાર્યજી એ લખેલ છે.(૧૫)
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)