(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯
મોરબીનો યુવાન સાહિલ માજોઠી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હાલ યુક્રેનની કેદી છાવણીમાં બંધ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ દીપા જોસેફે યુક્રેનની સંસદના માનવ અધિકાર કમિશનર ડીમીટ્રો વેલેરીયોવિચ લુબીનેટ્સને એક સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી છે. વકીલે આ પત્રમાં ભારતીય યુવાનને માનવતાના ધોરણે વહેલી તકે ભારત પરત મોકલવા માટે અપીલ કરી છે.
વકીલ દીપા જોસેફે પત્રમાં જણાવ્યું છે કે સાહિલ માજોઠી ડિસેમ્બર ૨૦૨૩માં માત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા ગયો હતો. પરંતુ ત્યાં આર્થિક તંગી અને પ્રતિકૂળ સંજોગોને કારણે તે ફસાઈ ગયો અને તેની મરજી વિરુદ્ધ તેને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો. યુક્રેનની સરહદમાં પ્રવેશતા જ સાહિલે સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું અને તે ક્યારેય કોઈ હિંસામાં સામેલ થવા નહોતો માંગતો. યુક્રેન સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી તેની સાથે રખાયેલા માનવીય વ્યવહારની પણ વકીલ દીપા જોસેફે પત્રમાં પ્રશંસા કરી છે.
આ પત્રમાં મુખ્યત્વે માનવતાવાદી અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે. સાહિલની માતા હસીના બાનુ સિંગલ પેરેન્ટ છે અને હાલ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, તેમજ તાજેતરમાં તેમને હૃદયની તકલીફ પણ થઈ છે. દીકરાના વિરહમાં તેમની તબિયત વધુ લથડી રહી છે. આ કેસ હાલ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ભારત સરકાર રાજદ્વારી સ્તરે પ્રયત્નશીલ છે. વકીલે યુક્રેન સરકારને અપીલ કરી છે કે એક બીમાર માતા પોતાના એકમાત્ર દીકરાને મળી શકે તે માટે કાયદાકીય અને માનવતાના ધોરણે સાહિલને મુક્ત કરી વતન મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.

