નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલે ભારત સરકારના ‘મિસ્ટી’ (MISHTI) પ્રોજેક્ટનું મહત્વ સમજાવી મેન્ગ્રુવને દરિયાકાંઠાનું ‘કુદરતી સુરક્ષા કવચ’ ગણાવ્યું
નિષ્ણાતોએ મેન્ગ્રુવના ઔષધિય ગુણો અને જૈવ-વિવિધતા પર આપ્યું માર્ગદર્શન; દરિયાને આગળ વધતો અટકાવવા મેન્ગ્રુવના સંરક્ષણ માટેનો નિર્ધાર કરાયો
Morbi,તા,21
મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’ વિષય પર એક વિશેષ મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી મેન્ગ્રુવ (ચેર) ના જંગલોનું મહત્વ અને તેની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વર્કશોપમાં મોરબી નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને એક ‘વિશિષ્ટ વનસ્પતિ’ ગણાવતા જણાવ્યું હતું કે, ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે ‘ગ્રીન બેલ્ટ’ સમાન છે. તેમણે ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘મિસ્ટી’ (MISHTI – Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યું કે, દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. મેન્ગ્રુવ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક માછીમારો અને જૈવ-વિવિધતા માટે પણ સમૃદ્ધિનો સ્ત્રોત છે.
આ અવસરે વૈદ્યશ્રી કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના શ્રી ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસરશ્રી ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. આ નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને આકર્ષક શૈલીમાં મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષકશ્રી પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિના સંવર્ધન માટે ‘આપણે પ્રકૃતિને શું આપી શકીએ’ તે દિશામાં લક્ષ્ય સાથે કાર્ય કરવા મક્કમ નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપ માટે ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં નિવૃત્ત વન સંરક્ષકશ્રી વી.ટી. કોરવાડિયા, રાજકોટ મદદનીશ વન સંરક્ષકશ્રી નરેન્દ્ર ગઢવી સહિતના વન વિભાગના અધિકારીઓ, દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં વસતા ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

