Morbi તા 19
મોરબી સહિત સમગ્ર દેશ માટે ચકચારી ઘટના કહી શકાય તેવી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજે નવો વણાંક આવ્યો છે અને તેમાં સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવે ત્યારે પહેલા જયસુખભાઈ પટેલ સહિતના આરોપીઓના વકીલ તરફથી ડિસ્ચાર્જ માટે થઈને પાંચ અરજીઓ મુકવામાં આવી છે. અને જે કલમ હેઠળ તેઓની સામે ગુનો નોંધાયો છે તે મુજબ તેઓની સામે કોઈ ગુનો બનતો નથી તેવી કોર્ટમાં દલીલ કરેલ છે.
મોરબીમાં તા 30/10/2022 ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા.
તેને જે તે સમયે જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિકટીમ એસો. દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓને કોર્ટે રદ કરી હતી અને ત્યાર બાદ હવે કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય તેવી શક્યતા હતી.
જોકે આજે સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવેલ અને તેને કોર્ટ દ્વારા ક્ધફર્મ કરવામાં આવે ત્યારે પહેલા આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજીઓ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી છે જેમાં તેઓને આ કેસમાંથી તમામને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. અને આરોપીઓના વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી છે.
તેમાં જણાવ્યા મુજબ આઇપીસીની જે કલમ મુજબ તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે કલમ હેઠળ તેઓની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી. જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે તે મતલબની અરજી આરોપીઓના વકીલે કોર્ટમાં આપેલ છે. જેથી આગામી સમયમાં આ અરજીઓ ઉપર કાર્યવાહી થશે પછી કેસ ચાર્જ ફ્રેમ થશે તેવું જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી જાણવા મળે છે.