Morbi, તા.10
મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદાજુદા કામોમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેની માહિતી છેલ્લા પાંચ મહિનાથી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ખાસ કરીને પાલીકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં “સદબુધ્ધિ” હવન કર્યો હતો.
જિલ્લા કોંગેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદીધરમાં કરવામાં આવેલ ખર્ચની વિગતો, આવાસયોજનાના કામમાં કરવામાં આવેલ ખર્ચની વિગતો અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગવામાં આવી રહી છે. પરંતુ પાલીકામાંથી કોંગ્રેસનાં પ્રમુખોને સરકારી ચોપડે નોંધાયેલ માહિતી આપવામાં આવી રહી નથી જેથી અધિકારીઓ પણ ભાજપના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખે કરેલ છે
મોરબીમાં સોમવારે સવારે શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાઇ હતી અને ત્યાર બાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે “સદબુધ્ધિ” હવન કર્યો હતો. વધુમાં કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી પાલિકાની તિજોરી પાલિકાની છેલ્લી બોડી સાફ કરી નાખેલ છે.
જેથી મુખ્યમંત્રીને ફરિયાદ કરીશ તેવું કહેતા હતા પરંતુ આ બાબતે ધારાસભ્ય ચૂપ છે. જો કે, વારંવાર માહિતી માંગવા છતાં પણ માહિતી આપવામાં આવેલ નથી જેથી પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કરીને કોંગ્રેસનાં આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.
શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, છેલ્લી પાલિકાની ચૂંટણીમાં બાવાને બાવન સભ્યો ભાજપના હતા ત્યારે નંદીઘર ખર્ચની વિગતો, આવાસયોજનાના ખર્ચની વિગતો અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગી છે.
પણ પાલિકામાંથી માહિતી આપેલ નથી અને અગાઉ ધારાસભ્ય કહેતા હતા કે, વિજિલન્સ તપાસ કરાવીને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરતાં હતા જો કે, હજુ સુધી કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ભ્રષ્ટાચાર કરેલ હોવાથી લોકોની સમક્ષ સત્ય આવતું નથી અને અધિકારીઓ કોંગ્રેસને માહિતી ન આપીને સત્યને લોકોની સામે આવવા દેતા નથી.
ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, હાલમાં કોંગ્રેસનાં આગેવાનોએ જે માહિતી માંગેલ હતી .
તે આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલ ન હતી જેથી માહિતી આપવામાં આવી નથી જો યોગ્ય રીતે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવશે તો માહિતી આપી દેવામાં આવશે તેવું કહ્યું છે. જો કે, અગાઉ પાલીકમાં કેવી રીતે કોને કઈ માહિતી આપવામાં આવતી હતી તે સહુ કોઈ જાણે છે પરંતુ છેલ્લા પાંચેક મહિનાથી પાલિકામાંથી જે માહિતી કોંગ્રેસને આપવામાં આવેલ નથી તે આગામી સમયમાં કયારે આપવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.