New Delhi, તા.10
હવે આધારના વેરિફિકેશન માટે લોકોએ આધાર કાર્ડની ફોટો કોપી કે કોઇ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ)એ તેના માટે એક નવી એપ તૈયાર કરી છે. આ એપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા જ આધાર વેરિફિકેશન થઇ જશે.
આ નવી વ્યવસ્થાથી આધાર સાથે સંકળાયેલી છેતરપિંડી અને ઠગાઇના મામલામાં ઘટાડો આવવાની આશા છે. દિલ્હી સરકારે પોલીસ હોમગાર્ડ, તિહાર જેલ, એફએસએલ, અદાલતો અને ફાયર બ્રિગેડ સહિત અનેક એજન્સીઓને આ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ બારામાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી સલાહ આપી છે કે હોટેલ, ગેસ્ટ હાઉસ, હોસ્પીટલ, પરીક્ષા કેન્દ્રો જેવા સ્થળો પર આધાર એપથી ઓફલાઇન વેરિફિકેશનની વ્યવસ્થા અપનાવવામાં આવે.
મંત્રાલયના જણાવ્યા મુજબ આ એપ આધારધારકોને સુરક્ષિત રીતે શેર કરવા અને વેરિફાઇ કરવાની સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે આરકેપુરમમાં કેટલાક લોકો પાસેથી સરકારી યોજનાનો લાભ અપાવવાના નામે તેમના આધાર કાર્ડની જાણકારી લેવામાં આવી અને તેનાથી ઇલેક્ટ્રોનિક સામાન, લેપટોપ, મોબાઇલ ખરીદવામાં આવ્યો.
પીડિતોને આ મામલાની ત્યારે ખબર પડી જ્યારે તેમની પાસેથી લોનનો હપ્તો માગવામાં આવ્યો. હાલ, નવી વ્યવસ્થાથી આવા ઠગાઇના મામલા ઘટવાની આશા છે.

