Mumbai, તા. 15
મુંબઈમાં હાલમાં વરસી રહેલાં ભારે વરસાદની વચ્ચે હોસ્પિટલો અને ક્લિનિક્સમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ સતત વધી રહી છે. આરોગ્ય નિષ્ણાતો અને સ્થાનિક ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, શહેરમાં ઇન્ફલ્યુએન્ઝા-એ અને શ્વાસ સંબંધિત રોગોનો વધારો જોવા મળી રહ્યો છે.
જો કે, ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે કે ચોમાસામાં આવતાં દરેક તાવને માત્ર સામાન્ય વાયરલ ચેપ ન ગણવો જોઈએ. વરસાદનાં ભરાયેલાં પાણીમાં ચાલવાથી ફેલાતી ‘લેપ્ટોસ્પાયરોસિસ’ નામની બીમારી આ દિવસોમાં મુંબઈકર્સ માટે એક મોટો ખતરો બનીને ઉભરી રહી છે.
લેપ્ટોસ્પાયરોસિસ એ વાસ્તવમાં બેક્ટેરિયાથી થતો ચેપ છે, જે મુખ્યત્વે ઉંદર, કૂતરાં અને અન્ય પશુઓનાં પેશાબથી દૂષિત થયેલાં પાણી કે કાદવ દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચોમાસાનાં ભરાયેલાં પાણીમાં ખુલ્લાં પગે કે ચંપલ પહેરીને ચાલે છે, ત્યારે પગમાં રહેલાં કોઈ નાના ઘા, ચીરા અથવા તો આંખ, નાક અને મોંના માધ્યમથી આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરી લે છે.
મુંબઈમાં ઠેર-ઠેર ભરાયેલાં પાણી, ગટરના નાળા અને કચરાના ડબ્બાઓને કારણે ઉંદરોની સંખ્યા વધે છે, જે આ રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ બને છે.આ રોગ વધુ ખતરનાક એટલાં માટે છે કારણ કે તેનાં શરૂઆતનાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે. દર્દીને અચાનક જોરદાર તાવ આવવો, માથાનો અસહ્ય દુખાવો, ખાસ કરીને પિંડલીઓ (કાફ મસલ્સ) અને કમરનાં નીચેનાં ભાગમાં સ્નાયુઓનો દુખાવો થવો, ઉલટી થવી અને આંખો લાલ થઈ જવી એ આના મુખ્ય લક્ષણો છે.
સમયસર સારવાર ન મળે તો આ ઇન્ફેક્શન વધી જાય છે અને લિવર, કિડની કે ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, જેને મેડિકલ ભાષામાં ‘વેઇલ્સ ડિસીઝ’ કહે છે.સારી વાત એ છે કે જો સમયસર નિદાન થાય તો એન્ટિબાયોટિક્સ દવાઓ દ્વારા લેપ્ટોસ્પાયરોસિસનો સંપૂર્ણ ઈલાજ શક્ય છે.
આથી જ ડોક્ટરો સલાહ આપે છે કે વરસાદનાં પાણીનાં સંપર્કમાં આવ્યાં બાદ જો તાવ આવે, તો જાતે દવાઓ લેવાનાં બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ બીમારીથી બચવા માટે વરસાદી પાણીમાં જવાનું ટાળવું, જો જવું જ પડે તો વોટરપ્રૂફ બૂટ પહેરવા, શરીર પરનાં ઘાને બેન્ડેડથી ઢાંકીને રાખવા અને હાથ-પગની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

