Vadodara,તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ૩૫,૨૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. તેમાં ૩૨,૬૦૬ કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ૨,૫૯૭ કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ૩૨,૬૦૬ કરોડથી વધુના વિકાસકાર્યોમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના ૧,૮૪૦.૫૫ કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.એનએચએઆઇ હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં એનએચ-૪૮ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું ૯૦૭.૩૯ કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું ૬૮૬.૧૫ કરોડનું કામ તથા એનએચ-૫૩ પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું ૧૮૭.૧૧ કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,એનએચ-૪૮ પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ૫૯.૯૦ કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ભારતીય રેલવે હેઠળ ૩૦,૭૬૬ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. ?૨૦,૭૦૩ કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ વિભાગો—ન્યૂ સાણંદ -ન્યૂ મકરપુરા (૧૩૮ કિ.મી.), ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે (૮૬ કિ.મી.) અને ન્યૂ સફાળે-ન્યૂ જેએનપીટી (૧૦૨ કિ.મી.)—નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ, ૮,૮૮૫ કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે ૨૫૯ કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબલિંગના કામોનું લોકાર્પણ તેમજ વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને ડબ્લ્યુડીએફસી પર માલગાડીનું ફ્લેગ ઑફ પણ કરવામાં આવશે.
વડોદરા ખાતે ગુજરાત સરકારના ૨,૫૯૭ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ આઇએમડી જીઆઇડીસી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ , પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હેઠળના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ વિભાગ હેઠળ ગુજરાતને કુલ ૯૧૬.૩૮ કરોડના ખર્ચે ૮ જેટલા પ્રોજેક્ટ્સની ભેટ મળશે. તેમાં ૫૨૩.૫૯ કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન વોડાની હદમાં પૂર્વ વિસ્તારનાં ૧૧ ગામો માટે ૨૦૩.૭૭ કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ, પાણીની ટાંકી, પાઇપલાઇન, વિતરણ વ્યવસ્થા, અંડરગ્રાઉન્ડ સમ્પ તથા પમ્પિંગ સ્ટેશન સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓનું લોકાર્પણ કરશે. સાથે જ, ભાયલી ટી.પી.-૩ અને ટી.પી.-૪ વિસ્તારોમાં એલિવેટેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સમ્પ, ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી સહિતની સુવિધાઓ, આજવા સરોવર ખાતે ૧૫૦ એમએલડી ક્ષમતાના પોન્ટૂનનું નિર્માણ, વડોદરા શહેરના વિવિધ જંક્શનો ખાતે સ્ટોર્મ વોટર ડ્રેનેજની સુવિધા તથા પીએમએવાય હેઠળ ઇડબ્લ્યુએસ આવાસો જેવા વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય પર ૪૮૯.૨૦ કરોડના ખર્ચે ૧૧૦ મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા અને સુરતમાં કુલ ૯૪.૫૮ કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોના પરિણામે રાજ્યમાં માળખાગત સુવિધાઓને વધુ વેગ મળશે તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૩૬.૧૦ કરોડના ખર્ચે નિર્મિત ૧૩,૮૮૮ આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ મહીસાગર નદી પર ૧૫૦ કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ, વાત્રક નદી પર ૭૪.૧૦ કરોડના ખર્ચે મેજર બ્રિજ તથા નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ મેજર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન આણંદ ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. જ્યારે નવસારીના એરુ પીએચકયુ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત,આઇએમડી જીઆઇડીસી હેઠળ બે વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ તથા સાવલી જીઆઇડીસીમાં રસ્તાઓને પહોળા કરવા અને રિસરફેસિંગના કામોનો સમાવેશ થાય છે. પાણી પુરવઠા વિભાગ હેઠળ તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં ૨૧૪.૫૨ કરોડના ખર્ચે ત્રણ આરડબ્લ્યુએસએસ પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે.

