Rajkot તા.1
શહેરના જંગલેશ્વર વિસ્તારના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા ફરી કાનુની જંગના મંડાણ થયા છે. આ પ્રકરણમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અગાઉ ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ જંગલેશ્વર વિસ્તારના 720 જેટલા અરજદારોએ ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલએ જંગલેશ્વર વિસ્તારના આ 1358 મકાનોની જમીન સરકારી ઠેરવી આ જમીન મકાનના કબ્જાને ગેરકાયદે ઠેરવી અરજદારોની અપીલ ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ દ્વારા ગત તા.25 માર્ચના મંજુર કરવામાં આવી હતી.
જે બાદ કલેકટર તંત્ર દ્વારા આ જમીન પરનો કબ્જો સાત દિવસમાં ખાલી કરવા માટે આદેશ આપવામાં આવેલ હતો જે બાદ ગુજરાત ટ્રીબ્યુનલના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા કાનુની જંગના મંડાણ થવા પામેલ છે. જેમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર (પૂર્વ) તાલુકા ગૃપ-4માં આવેલી જંગલેશ્વરના સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં. 256 પૈકીની ટીપી સ્કીમ-6ના પ્લોટ નં. 159માં આશરે 1358 જેટલા મિલકતધારકો દ્વારા આ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની તપાસમાં આ બાંધકામ બિનઅધિકૃત જણાતા લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 અન્વયે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. શરૂઆતમાં તંત્ર દ્વારા કલમ-202 હેઠળ ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
તંત્રની નોટિસ બાદ દબાણકારોએ સિવિલ એપ્લિકેશન નં. 1315/2026 દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત 2 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે આ મામલે 3 માસનો સ્ટે આપી અરજદારોને મહેસૂલ પંચ (ટ્રિબ્યુનલ કોર્ટ) સમક્ષ જવા અને રેવન્યુ ટ્રીબ્યુનલને 90 દિવસમાં યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. 720 આસામીઓએ ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને શહેર પૂર્વ વિસ્તારના મામલતદાર સામે રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી હતી.
જોકે, 25 માર્ચના રોજ ગુજરાત મહેસૂલ પંચે સ્થાનિકોની આ અપીલ રદ કરતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હોવાથી અરજદારોની અપીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
દરમિયાન જંગલેશ્વરના 1358 મકાનોના મામલે આજે હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલ સુનાવણીમાં દબાણકર્તા અરજદારોના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અને વહેલીતકે સુનાવણી કરવા માંગણી કરવામાં આવી હતી. જો કે હવે આ પ્રકરણમાં વધુ એક મુદત પડી છે અને હવે આગામી મંગળવારે હવે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

