Mumbai,તા.20
પંજાબી અને બોલિવૂડ ફિલ્મોમાં ઘણાં ગીતો ગાનારી પ્લે બેક સિંગર જાસ્મિન સેન્ડલસ હાલમાં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં પોતાના ગીતોની સફળતાનો આનંદ માણી રહી છે. તેણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે, જેમાં તેણે પર્સનલ લાઈફ અંગે ખુલીને વાત કરી છે. જાસ્મિને જણાવ્યું કે, ‘એક સમય એવો હતો જ્યારે હું દારૂના રવાડે ચડી ગઈ હતી. બાળપણમાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે હું સિંગર તરીકે તો પોપ્યુલર થઈ રહી હતી, પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હતી જે ખતમ નહોતી થઈ રહી.’
જાસ્મિને આગળ કહ્યું કે, બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેમની જરૂર હોય છે. તેણે સવાલ કર્યો કે માતા-પિતા પોતાના બાળકો સાથે આટલા સખત કેમ હોય છે. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલીમાં આવે છે, ત્યારે લોકો સહારો શોધે છે. હું સ્વીકારું છું કે તે 2-3 વર્ષ દરમિયાન જ્યારે હું દારૂના રવાડે ચડી ગઈ હતી, ત્યારે મેં કેટલાક ખોટા નિર્ણયો લીધા હતા, જેનો મને અફસોસ છે.
સિંગરે આગળ કહ્યું કે, ‘તે સમયે મારા જીવનમાં ઘણું બધું એક સાથે ચાલી રહ્યું હતું. એક તરફ હું ફેમસ હતી, બીજી તરફ હું અંદરથી પરેશાન હતી. મારો પરિવાર વિખેરાઈ ગયો હતો, મારા પિતાનું નિધન થઈ ગયું હતું, અને હું સફળ પણ હતી. મેં જરૂરતથી વધારે દારૂ પીધો હતો, જેનો મને અફસોસ છે, પરંતુ તે સમયે મને તે જ યોગ્ય લાગ્યું.’
જાસ્મિન સેન્ડલસે એ પણ જણાવ્યું કે, ‘બાળપણમાં મને ઘણીવાર મારા માતાપિતા તરફથી દિલ તૂટવાનું દર્દ મળ્યું. તેઓએ અજાણતાં ઘણી વખત મારું દિલ તોડ્યું, તેથી મનમાં થોડી નારાજગી રહી. હું તેમને પ્રેમ કરું છું, પરંતુ જ્યારે એક બાળકનું દિલ તૂટે છે, ત્યારે તે ક્યારેય સંપૂર્ણપણે નથી રૂઝાતું. જ્યારે તમારી પાસે કોઈ સુરક્ષિત સ્થાન નથી હોતું, ત્યારે તમે દરેક જગ્યાએ પોતાનું ઘર શોધવાનું શરૂ કરો છો. મેં આખી જિંદગી આવું જ કર્યું છે.’
તમને જણાવી દઈએ કે, જાસ્મિન સેન્ડલસનો જન્મ જલંધરમાં થયો હતો અને તેનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત 2008માં ‘મુસ્કાન’ ગીતથી કરી હતી. 2014માં જ્યારે તેણે સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ માટે ‘યાર ના મિલે’ ગાયું અને લખ્યું ત્યારે તેને મોટી ઓળખ મળી.
રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં વાત કરતા જાસ્મિને જણાવ્યું કે, ‘મેં ઘણો સંઘર્ષ કર્યો. મને લાગે છે કે મોટા થતાં, મેં મારા જીવનમાં કેટલોક એવો સમય જોયો, જ્યાં મારે મારી જાતે જ બધી વસ્તુઓ સમજવી પડી. તે સરળ નહોતું. જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. તે માતા-પિતા માટે પણ મુશ્કેલ હોય છે અને બાળકો માટે પણ.’

