Valsad તા.12
વલસાડમાં ઔરંગા નદી પર બાંધવામાં આવી રહેલા બ્રીજનો સ્લેબ આજે ધડાકાભેર તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી તેમાં પાંચ મજુરો કાટમાળ હેઠળ દટાતા દાખલ થયા હતા.
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પાંચ જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા.
કૈલાશ રોડ ઉપર નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતા.
ફાયર વિભાગે ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એક શ્રમિકની શોધખોળ ચાલુ છે.અહીંથી નીકળતા હરિચંન્દ્ર પ્રધાન નામના રાહદારીએ જણાવ્યું કે, બ્રિજમાં સળીયા નાખવાનું કામકાજ ચાલુ હતું. અનબેલેન્સ થતાં આ પડી ગયો હોવાનું દેખાય છે. મેં એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો, બે એમ્યુલન્સમાં ચાર માણસને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
પારડી-સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ભોલાભાઈ પટેલે જણાવ્યું કે, બ્રિજના છેલ્લા બે પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાના હતા, પરંતું કંઇક ટેકો ખસી જતા આજે ધડાકાભેર તૂટી પડ્યો છે. ચાર લોકોને હોસ્પિટલ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એકની શોધખોળ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

