New Delhi,તા.18
સોનિયા ગાંધી વિરુદ્ધ મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામ નોંધાવવા બદલ ચાલી રહેલા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. શનિવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સોનિયા ગાંધીના વકીલને એક સપ્તાહની અંદર આ મામલે જવાબ રજૂ કરવા જણાવ્યું છે. બીજી તરફ, અરજીકર્તા તરફથી તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને તેમણે કોર્ટ પાસે ચૂંટણી પંચનો રિપોર્ટ રજૂ કરવાની પરવાનગી પણ માંગી છે. હવે આ મામલે આગામી સુનાવણી 16 મેના રોજ હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર વિવાદ સોનિયા ગાંધીની નાગરિકતા અને મતદાર યાદીમાં તેમના નામની નોંધણી સાથે જોડાયેલો છે. અરજીકર્તા વિકાસ ત્રિપાઠીનો આરોપ છે કે સોનિયા ગાંધીને ભારતની નાગરિકતા 1983માં મળી હતી, પરંતુ તેમનું નામ તે પહેલા જ એટલે કે 1980માં દિલ્હીની મતદાર યાદીમાં ખોટી રીતે સામેલ કરી દેવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે 1980માં નામ જોડાયા બાદ 1982માં તેને હટાવી દેવાયું હતું અને ફરીથી 1983માં જોડવામાં આવ્યું હતું.અરજીકર્તાએ આક્ષેપ કર્યો છે કે તે સમયે રાજકીય પ્રભાવ અને છેતરપિંડી દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી હતી, તેથી સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવો જોઈએ. સોનિયા ગાંધીના વકીલે આ આરોપોના બચાવમાં કેટલાક પુરાવા રજૂ કરવા માટે સમય માંગ્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2025માં પણ આ મામલે સુનાવણી થઈ હતી અને હવે કોર્ટ એ તપાસી રહી છે કે નાગરિકતા મળ્યા પહેલા તેમનું નામ યાદીમાં કેવી રીતે આવ્યું.

