જીવનમાત્રમાં પવિત્ર આત્મદર્શન કરનાર વિશ્વમૈત્રીના પુરસ્કર્તા સંવેદનાના વિચારની પોતાના આચરણ દ્વારા પ્રરૂપણા કરી છે. ગર્ભસ્થકાળથી સાધનાકાળની ચરમસીમા સુધીની ભગવાન મહાવીરની જીવનચર્યા જોતાં અનુકંપા અને સંવેદનાના અમૂલ્ય વિચારરત્નોનો પવિત્ર ઝળહળતો પ્રકાશ તેમના આચરણમાં પરવિર્તિત થતો જરૂર દેખાશે.
ભગવાનને સંવેદના તેમના ગર્ભસ્થકાળથી જ જાગેલી. માતાને કષ્ટ ન પડે તેથી ગર્ભમાં હલનચલન બંધ કરેલું અને માતાની સંવેદનાથી પુન: ચાલુ કર્યું.
ભગવાન મહાવીરની બાલ્યાવસ્થાનું નામ વર્ધમાન હતું. ઉપવનમાંથી લાગેલા સુંદર પુષ્પોની વેણીથી, દાસીઓ ત્રિશલામાતાનો કેશકલાપ ગૂંથી રહી છે. નાની વર્ષની વયના બાળક વર્ધમાન એ કેશગુંફનની સજાવટને જોઈને એકાએક રડે છે. માતા ગભરાઈને દોડીને વર્ધમાનને તેડી લે છે અને રૂદનનું કારણ પૂછે છે. વેદનાસભર વાણીથી બાળક વર્ધમાને પ્રશ્ન કર્યો, “મા, ફૂલને કેમ મારે છે ?” માતા કહે, “માર્યા નથી, ડાળીમાંથી ચૂંટી લીધાં છે.” બાળક વર્ધમાન કહે, “ફૂલો ડાળી પર હોય ત્યાં સુધી જ જીવતાં રહે છે, ચૂંટી લઈએ તો એ મરી જાય.” માતા કહે, “જો, આ ફૂલ ક્યાં મર્યાં છે ? એ તો તાજાં છે, સુગંધી છે.” વર્ધમાન વ્યથાયુક્ત સ્વરે કહે છે, “ફૂલને ચૂંટીશ નહીં મા ! મને બહુ દુ:ખ થયું.” વર્ધમાનનું દિવ્યજ્ઞાાન અને સૂક્ષ્મસંવેદના સર્વત્ર આત્માનાં દર્શન કરે છે.કોઈ એકવાર, માતા વર્ધમાનને લઈ બગીચામાં ફરવા ગઈ. લીલા ઘાસની હરિયાળી પર માતા, દાસીઓ સાથે ચાલી રહી છે. વર્ધમાન દૂર ઊભા ઊભા એમને જુએ છે. મા તેને પોતાની પાસે બોલાવે છે, પણ તે આવતા નથી અને કહે છે,
“મા, તેં આ ઘાસના જીવોને શા માટે કચરી નાખ્યા ? એને કેટલી પીડા થઈ રહી છે ? જો એના ઉઝરડા મારી પીઠ પર પડયા છે !” માએ દોડીને વર્ધમાનને તેડી લીધો અને પીઠ પર જોયું તો ખરેખર ઉઝરડાનાં નિશાન હતાં. એ જોઈને માતા ખુબ દુ:ખી થઈ.
બાળક વર્ધમાન, મિત્રો સાથે પશુ-પંખીનું સંગ્રહાલય જોયા જાય છે. સંગ્રહાલયમાં પંખીઓની ક્રીડા જોઈ બાળકો નાચે છે, ખુશ થાય છે. વર્ધમાન તો આ જોઈ ઉદાસ થઈ જાય છે. ઘરે આવીને માને પૂછે છે, “મુક્ત ગગનમાં ઊડતાં પંખીઓને કયા અપરાધ માટે કેદની સજા કરી છે ? શું કામ તેમની સ્વતંત્રતાનો અધિકાર છીનવી લીધો છે ?”
વર્ધમાનના વ્યાકુળ અંત:કરણને ક્યાંય ચેન પતું નથી. બીજા દિવસે સંગ્રહાલયમાં જઈ પહેરેગીરને દૂર જવા કહ્યું. પાંજરામાં રહેલાં તમામ પશુ-પંખીઓને છોડી મુક્યા. બાલ વર્ધમાનની પ્રબુદ્ધ કરૂણાને તોફાનમાં ખપાવવામાં આવે છે.
પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે માટીમાંના એકેન્દ્રિથી પંચેન્દ્રિય જીવોના સંપુર્ણ સ્વીકાર ભગવાન મહાવીરે કર્યો. છકાયના રક્ષક જગતના જીવમાત્રનું કલ્યાણ ઈચ્છનાર ભગવાન મહાવીરના જીવનના આ પ્રસંગો અહિંસા, જીવમાત્ર પર દયા, અનુકંપા અને સૂક્ષ્મ સંવેદના વ્યક્ત કરે છે. પોતાના જમાઈ અને શિષ્ય જમાલી તેમની વિરૂદ્ધ ગયા. તેમના પ્રત્યે કોઈએ નહીં પણ પોતે શીખવેલી તેજોલેશ્યાનો પ્રયોગ ભગવાનના શિષ્ય ગોશાળાએ ભગવાને જ કર્યો. છતાંય પ્રભુએ તો તેનું કલ્યાણ જ વાંછયું. ચંડકૌશિકે વિષવર્ષા કરી. ભગવાન મહાવીરની અનુકંપાએ તેની ભવપરંપરા સુધારી દીધી.
શૂલપાણી યક્ષ એકસાથે અનેક વીંછીના રૂપ બનાવી મહાવરીના રોમેરોમમાં ડંખ દે છે. હાથીનું રૂપ લઈ સૂંઢમાં પકડી જમીન પર પટકે છે. છતાંય મહાવીરની સૂક્ષ્મ સંવેદનાની મધુર ઘંટડી રણકે છે. પ્રભુ કહે છે, “શૂલપાણી શાંત થા. હું તો તારો મિત્ર છું.” પ્રભુએ તેમને પૂર્વભવના એક સંચિત કર્મોનું સ્મરણ કરાવ્યું. વેરથી અગ્નિ જેમ બળતો શૂલપાણી શાંત થયો.
સંગમે અનેક પરિષહો આપ્યા, તે સમયે મહાવીરની આંખમાં અશ્રુ સર્યાં સંગમ કહે, “બસ, હારી ગયા.” ભગવાન કહે, “તું મને પીડા આપે છે તેના દુ:ખનાં આંસુ નથી પરંતુ ભવિષ્યમાં આવા કર્મબંધનથી તારી શી ગતિ થશે તે વિચારે મને આંસુ આવ્યાં. અન્યની ચિંતા કરતી પ્રભુની સૂક્ષ્મ સંવેદનાને વંદન. ભગવાન મહાવીરના જીવનની નાની નાની અનેક ઘનટાઓનું ચિંતન કરવા જેવું મહાપુરુષો અંત:કરણમાં જીવે છે. આપણે તેમના અવતરણમાં જીવીએ તો પણ આપણી આત્મોન્નતિ થાય.