Mumbai, તા.૧૮
ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવેએ વોર ફૂટિંગ પર કામગીરી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા માટે ઉધનાથી બિહાર અને બંગાળ તરફ જવા માટે વધારાની ૪ ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાઈ છે.
ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્રએ સુરતના ઉધના અને મુંબઈથી વિવિધ રૂટ પર ૫ નવી ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. સામાન્ય નાગરિકોને કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકો માટે ઉધનાથી સાંત્રાગાછી વચ્ચે ટ્રેન નંબર ૦૯૦૫૩/૦૯૦૫૪ અમૃત ભારત રેક સાથે ૨૦ અને ૨૫ એપ્રિલના રોજ દોડશે. આ ટ્રેન નંદુરબાર, ભૂસાવલ અને નાગપુર થઈને જશે. આ ઉપરાંત, બિહાર જતા મુસાફરો માટે ઉધના-જયનગર (૦૯૦૬૧) અને ઉધના-મધુબની (૦૯૦૬૭) અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ૧૯ એપ્રિલે રવાના થશે, જેમાં તમામ કોચ જનરલ રાખવામાં આવ્યા છે.
મુંબઈ સેન્ટ્રલથી ઈન્દોર વચ્ચે પણ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (૦૯૦૮૫) ૨૦ એપ્રિલથી ૨૯ મે દરમિયાન દર સોમવાર અને શુક્રવારે દોડશે. તેમજ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (૦૯૦૮૭) ૨૨ એપ્રિલથી ૨૮ મે સુધી દર બુધવારે મુંબઈથી અને ગુરુવારે અમદાવાદથી દોડશે. આ તમામ ટ્રેનો વડોદરા, સુરત અને વાપી જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. રેલવે દ્વારા મુસાફરોને અગાઉથી રિઝર્વેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
૧. ઉધના-સાંત્રાગાછી સ્પેશિયલ (અમૃત ભારત રેક)
ટ્રેન નંબરઃ ૦૯૦૫૩ / ૦૯૦૫૪
તારીખઃ ઉધનાથી ૨૦ અને ૨૫ એપ્રિલ । પરતમાં ૨૨ અને ૨૭ એપ્રિલ.
રૂટઃ નંદુરબાર, ભૂસાવલ, નાગપુર, રાયપુર, બિલાસપુર અને ખડગપુર.
ખાસિયતઃ આ ટ્રેન ૨૨ કોચના અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડશે.
૨. ઉધના-જયનગર અને ઉધના-મધુબની (અનરિઝર્વ્ડ સ્પેશિયલ)
બિહાર તરફ જતા મુસાફરો માટે બે ખાસ ટ્રેનો જાહેર કરવામાં આવી છેઃ
ઉધના-જયનગર (૦૯૦૬૧/૬૨)ઃ ૧૯ એપ્રિલે ઉધનાથી ઉપડશે અને ૨૦ એપ્રિલે પરત ફરશે.
ઉધના-મધુબની (૦૯૦૬૭/૬૮)ઃ ૧૯ એપ્રિલે ઉધનાથી રવાના થશે અને ૨૦ એપ્રિલે પરત આવશે.
નોંધઃ આ બંને ટ્રેનો સંપૂર્ણપણે જનરલ કોચ ધરાવતી હશે, જેથી વધુમાં વધુ મુસાફરો ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.
૩. મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સુપરફાસ્ટ (બાય-વીકલી)
ટ્રેન નંબરઃ ૦૯૦૮૫ / ૦૯૦૮૬
સમયગાળોઃ ૨૦ એપ્રિલ થી ૨૯ મે (દર સોમવાર અને શુક્રવારે).
સ્ટોપેજઃ બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન.
૪. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ (સાપ્તાહિક)
ટ્રેન નંબરઃ ૦૯૦૮૭ / ૦૯૦૮૮
સમયગાળોઃ ૨૨ એપ્રિલ થી ૨૮ મે (મુંબઈથી બુધવારે અને અમદાવાદથી ગુરુવારે).
સ્ટોપેજઃ બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને ગેરતપુર.

