ગઇકાલે બપોરે હું બેંકમાં ગયો હતો.ત્યાં એક વૃદ્ધ પણ તેમના કોઇ કામથી બેંકમાં આવ્યા હતા. બેંકમાં તેઓ કંઇક શોધી રહ્યા હતા.મને લાગ્યું કે કદાચ તેમને પેનની જરૂર હતી એટલે મેં પુછ્યું તો તેમને કહ્યું કે બિમારીના કારણે મારા હાથ કંપી રહ્યા છે અને મારે પૈસા ઉપાડવાની સ્લીપ ભરવી છે એટલે કોઇ મને મદદ કરે તો સારૂં તેવું હું વિચારી રહ્યો છું.મેં કહ્યું કે જો આપશ્રીને વાંધો ના હોય તો હું આપની સ્લીપ ભરી આપું? અને તેમને મને સ્લીપ ભરી આપવા સંમતિ આપી.તેમને કાઉન્ટર ઉપરથી પૈસા લઇને ગણવા માટે મને આપ્યા તો મેં પૈસા ગણીને તેમને પરત કરી દીધા.
મારૂં અને તેમનું કામ સાથે જ પુરૂં થતાં અમે બંન્ને એક સાથે જ બેંકમાંથી બહાર આવ્યા તો તેમને મને કહ્યું કે માફ કરજો પણ તમોને વધુ એક તકલીફ આપું છું આપ મારા માટે એક રીક્ષા કરી આપશો? ભરબપોરે રીક્ષા મળવી કઠીન હતી એટલે મેં તેમને વિનંતી કરી કે મારે પણ તમારા ઘરાસેથી જ પસાર થવાનું છે તો આપશ્રીને મારી કારમાં આપના ઘર સુધી છોડી દઉં તો ચાલશે? તે સંમત થયા.અમે તેમના ઘેર પહોચ્યા તો તેમના ઘરને બંગલો જ કહી શકાય કે જે ૬૦x૧૦૦ના પ્લોટ ઉપર બનાવવામાં આવ્યો હતો.ઘરમાં તેમની વૃદ્ધ પત્ની હતાં.અમોને આવતા જોઇને તેઓ ડરી ગયા કે તેમને કંઇક થઇ તો નહી ગયું હોયને? તેમને ઘેર મુકવા કોઇ અજાણ્યો માણસ કેમ આવ્યો હશે? પત્ની ચહેરાના ભાવ જોઇને તેઓ બોલ્યા કે ચિંતાની કોઇ વાત નથી આ ભાઇ મને ઘેર મુકવા આવ્યા છે.
ત્યારબાદ મારે તેમની સાથે થોડી વાતચીત થઇ ત્યારે તેમને કહ્યું કે આ ભગવાનના ઘરમાં અમે બે પતિ-પત્ની જ રહીએ છીએ,અમારા બાળકો વિદેશમાં રહે છે.મેં જ્યારે તેમને ભગવાનના ઘરના વિશે પુછ્યું તો તેમને કહ્યું કે અમારા ઘરમાં ભગવાનનું ઘર કહેવાની જુની પરંપરા છે.તેના પાછળની ભાવના એવી છે કે આ ઘર ભગવાનનું છે અને અમે તેમના ઘરમાં રહીએ છીએ.લોકો કહે છે કે આ ઘર અમારૂં છે અને ભગવાન અમારા ઘરમાં રહે છે.
હું મનોમન વિચારવા લાગ્યો કે આ બંન્ને વાક્યોમાં કેટલું અંતર છે.ત્યારપછી તેઓ બોલ્યા કે જો આપણે આ ભગવાનનું ઘર છે તેમ બોલીશું તો કોઇ નકારાત્મક કાર્ય નહી થાય અને હંમેશાં સદવિચારોથી ઓતપ્રોત રહી શકીએ છીએ.ત્યારબાદ તેઓ ર્હંસી-મજાકના મુડમાં બોલ્યા કે..લોકો મૃત્યુ પછી ભગવાનના ઘેર જાય છે પરંતુ અમે તો જીવતાં જીવ ભગવાનના ઘરનો આનંદ લઇ રહ્યાં છીએ.તેમનું આ વાક્ય વાસ્તવિક જ છે કેમકે આ ભગવાનનો આપેલ પ્રસાદ જ છે.
આ વડીલને તેમને ઘેર મુકવા આવવાની બુદ્ધિ કદાચ ભગવાને જ મને આપી હશે.ઘર ભગવાનનું અને અમે તેમના ઘરમાં રહીએ છીએ-આ વાક્ય ઘણા લાંબા સમય સુધી મારા મગજમાં ફરતું રહ્યું. વાસ્તવમાં કેટલો અલગ પ્રકારનો ઉત્તમ આ વિચાર છે તેમાં કોઇ શંકા નથી.જેવા વિચાર તેવા આચાર.
સંત નિરંકારી મિશનના પવિત્ર ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે..હે માનવ ! પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર છોડવાની,દર દર ફરી ભિક્ષા માંગવાની,ગૃહસ્થનો પરીત્યાગ કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી.ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ અને ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી પરંતુ આસક્તિ જ બાધક છે.(અવતારવાણી-૯/૪)
આ ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી.આ પ્રભુની અંદર અબજો પ્રકારના અવાજો થઇ રહ્યા છે,કરોડો પ્રકારના વાજાં વાગી રહ્યાં છે.અસંખ્ય રાગ અને તાન નિકળી રહ્યા છે.સિધ્ધ,શેખ,પંડિત અને સંતો અહીયાં પ્રભુનાં યશગાન કરે છે અને યોગીઓ અહીયાં સમાધિસ્થ થાય છે. આ ૫રમાત્માનું રહસ્ય તેને જ મળે છે જેને સૌભાગ્યવશ સદગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે.એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા, શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા,વિષ્ણું,મહેશ તથા કાળ, કર્મ,ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્ટ્રિને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.(અવતારવાણી-૨૭)
હે માનવ ! પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર છોડવાની,દર દર ફરી ભિક્ષા માંગવાની,ગૃહસ્થનો પરીત્યાગ કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી. ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ,ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી પરંતુ આસક્તિ જ બાધક છે.(અવતારવાણીઃ૯/૪)
ઘર છોડે એટલે જ ભગવાન મળે તેવું નથી.જેના મનમાં ઘર છે,સંસાર છે એ જ્યાં જાય ત્યાં સંસાર ઉભો કરે છે.મનુષ્યના છ શત્રુઓ.(કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર) વિકારો ચોરો એ જ્યાં જાય ત્યાં તેની પાછળ પડેલા છે.જો આ શત્રુઓને વશ ન થઈને ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી.ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે અને આ કિલ્લામાં રહી શત્રુ સામે લડવું એ ઘણી વખત શાણપણ ભર્યું છે સુરક્ષાભર્યું છે.વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો.ઘર બાધક થતું નથી પણ ઘરમાં રહેલી એક એક વસ્તુની આસક્તિ-બાધક થાય છે.સંસાર દુઃખ આપતો નથી,સંસારની આસક્તિ દુઃખ આપે છે.પ્રારબ્ધથી જે પ્રાપ્ત થયું છે તે પ્રભુની પ્રસાદી માની અનાસક્તપૂર્વક ભોગવો તો તેમાં વાંધો નથી.જેના રાગ (આસક્તિ) નિવૃત્ત થઇ ગયા છે તેને માટે ઘર જ તપોવન છે.
પ્રહલાદને ઘરમાં બિલકુલ અનુકુળતા નહોતી પણ તેને લક્ષ્યની ખબર હતી તેથી તેમણે ધ્યેય છોડ્યું નથી.પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘરમાં રહીને,ઘરમાં જ ભજન કર્યું.ઘરમાં તેમની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહિ પણ એકાંત વનમાં પણ ભરતજી માત્ર હરણ પરની આશક્તિને કારણે ભક્તિ કરી શક્યા નહિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદે જગતને બતાવ્યું અને અનુકૂળ પરિસ્થિતિમાં પણ જો મનુષ્ય સાવધ ના રહે તો તેનાથી ભજન કરી શકાતું નથી એ ભરતચરિત્રથી જાણવા મળે છે. ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)